પોતાના માટે, પરિવાર માટે, સૌ કોઈ માટે
આહારનું જ્ઞાન હોય તે વ્યક્તિ મોટે ભાગે બિમાર પડતી નથી. અને ઔષધનું જ્ઞાન હોય તે વ્યક્તિની બિમારી લાંબી ટકી શકતી નથી. આ બંને હેતુથી મારા આહાર અને ઔષધ ને લગતાં પુસ્તકો “ફળો : આહાર રૂપે-ઔષધ રૂપે અને “શાકભાજી-કઠોળ : આહાર રૂપે-ઔષધ રૂપે”ની
પંક્તિમાં આ ત્રીજું પુસ્તક પ્રગટ થાય છે. જેનો હેતુ વાચકોને સ્વસ્થ રહેવા ને મદદ કરવાનો અને માંદગીમાંથી ઓછા ખર્ચે કે ખર્ચ વિના સ્વાવલંબી રીતે સરળ પદ્ધતિથી મુક્તિ અપાવવાનો
છે. કારણ કે આયુર્વેદે પોતાનાં બે મુખ્ય કર્તવ્ય બતાવ્યાં છે તેમાં (૧) સ્વસ્થસ્ય સ્વાસ્થ્યરક્ષણમ્ – સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું; અને (૨) આતુરસ્ય રોગપરિમોક્ષણમ્ – આતુર (રોગી)ના રોગનું પરિમોક્ષણ કરવું. (દરદ જડમૂળમાંથી મટાડવું.)
મોંઘવારી, પરાવલંબન, યાંત્રીકરણ, શહેરીકરણ, વિદેશાવલંબન અને રિએક્શનને પેદા કરનારી પરદેશી ચિકિત્સાપદ્ધતિની નાગચૂડમાંથી આંશિક રૂપે છુટવા માટે આ વિના મૂલ્ય કે અલ્પમૂલ્ય, સ્વાવલંબી, સરળ, દેશી અને નિર્દોષ ઘરગથ્થુ ૪૦ જેટલા મસાલા અને મુખવાસના ઘરગથ્થુ ઉપાય સૌકોઈને સામાન્ય રોગ મા કે જીવલેણ ઇમર્જન્સી અવસ્થામાં પણ પોતાના માટે, પરિવાર માટે કે પડોશી માટે અવશ્ય ઉપયોગી થશે જ.
આયુ સેન્ટર – શોભન
તા. ૩–૧૨–’૯૨
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
“યસ્ત્વાહારં શરીરસ્ય ધાતુસામ્યકરં નર: ।
સેવતે વિવિધાશ્ચાન્યાશ્રેષ્ઠાઃ સ સુખમશ્નુતે ।।”
જે માણસ શરીરની ધાતુઓને અને સમ્યગ્ (સમાન અને સ્વસ્થ) રાખે તેવા આહારનું સેવન કરે છે તેમજ (શરીરની ધાતુને સમ કરે તેવી જ) વિવિધ જાતની ચેષ્ટા (વિહાર) કરે છે તે સુખ (આરોગ્ય) પ્રાપ્ત કરે છે.
– ચરકસંહિતા, નિદાનસ્થાન, ૪/૪૯
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
અજમો આટલો બધો ઉપયોગી !
રસોઈ, મુખવાસ કે ઘરગથ્થુ ઔષધરૂપે અજમો આમ તો આપણે ત્યાં સુપરિચિત છે. છતાં, તેના તાત્કાલિક સારવારરૂપે તેમજ જીર્ણ અને હઠીલા રોગો માટે અનેક ઉપયોગ આયુર્વેદમાં દર્શાવવામાં આવેલા છે તે ઘણા ઓછા લોકો જાણતા હશે. તેના ઘરગથ્થુ, સરળ, નિર્દોષ અને રોજિંદા થોડા ઉપયોગ આ પ્રમાણે છે :
શૂળ, ચૂંક, વેદના, પેઇન, પીડા, દર્દ વગેરે જ્યાં જ્યાં વપરાય ત્યાં ત્યાં તમે અંતર-બાહ્ય રૂપે અજમાનો ઉપયોગ કરી શકો. શિયાળા–ચોમાસામાં શરદી કે થયેલા માથાના દુખાવામાં અજમો ચવરાવવો તેમ જ સૂંઠ સાથે પીસીને તેનો કપાળે લેપ કરવો. માથાના દુખાવામાં વપરાતાં મોટા ભાગનાં પેઈન બામમાં આ અજમાના અર્કનો જ ઉપયોગ થતો હોય છે. કફ-વાયુના કારણે માથું દુખતું હોય ત્યારે પીસેલો અજમો રૂમાલમાં બાંધી પોટલી સૂંધ્યા કરવી. નાનાં બાળકોને શરદીમાં અજમાની નાની પોટલી ગળે બાંધી રાખવાથી અજમાના ઉડનશીલ તેલની અસર નાકને થતી
રહેવાથી રાહત થાય છે. બાળકોને શરદી જામ થઈ ગઈ હોય તેમાં અજમાનો નાહ ખૂબ અસરકારક બને છે. દાઢના દુખાવામાં અજમાનો લેપ બહાર ગાલ ઉપર કરવો તેમજ હિંગ સાથે અજમો પીસી તેનું પોતું દાઢ ઉપર દબાવવું. દાઢમાં કૃમિ થવાથી દંતકૃમિને કારણે થયેલ અસહ્ય શૂળમાં પણ અજમાની ધુમાડી લેવાથી લાભ થશે. શરદી-વાયુને કારણે સાદ બેસી ગયો હોય અને ગળામાં દુખતું હોય તેમણે પણ અજમો ચાવ્યા કરવો. છાતીના દુખાવામાં અજમો ઘણીવાર ચમત્કારિક પરિણામ બતાવે છે. અજમો અને મીઠું ચાવી જવાથી તથા છાતી ઉપર અજમાનો ગરમાગરમ લેપ કરવાથી ઉર:શૂળ શમે છે. તે જ રીતે હૃદયશૂળ એટલે કે “હાર્ટપેઈન’માં પણ અજમો ખાવાથી રાહત થાય છે. હૃદ્ય તેમજ શૂલઘ્ન હોવાથી હૃદયરોગના દર્દી માટે અજમો કાયમી ઉપયોગમાં લઈ શકાય તેવું ઔષધ છે. પેટના દુખાવામાં તો મીઠું મેળવીને અજમો ફકાવવાની પ્રથા આપણે ત્યાં ઘણી વ્યાપક છે. ગોળો, ઉદરશૂળ, આફરો વગેરેમાં અજમો, સંચળ અને હિંગનું ચૂર્ણ ગરમ પાણી સાથે હંમેશાં બે વખત લેતા રહેવું હિતાવહ છે.
અજમો તીખો, કડવો અને કફઘ્ન હોવાથી કૃમિમાં પણ કામયાબ છે. અજમામાં ચોથા ભાગે વાવડીંગ, હિંગ તેમજ શેકેલા કાંચકાંનું ચૂર્ણ રોજ ત્રણ વખત લેતા રહેવાથી કૃમિને કાબુમાં લાવી શકાય છે. અજમાનો વાયુનાશક અને શૂલઘ્ન ગુણ વાયુના રોગોમાં પણ અસરકારક બને છે. પગની એડીના દુખાવામાં મેથી અને અજમો સરખે ભાગે ખાંડી ફાકડી લેતા રહેવી. ઢીંચણના દુખાવામાં તથા સોજામાં, સૂંઠ અને ગૂગળનો લેપ કરવો. તેમ જ અજમો, સૂંઠ અને મેથીનું ચૂર્ણ બનાવી લાંબા સમય સુધી લેતા રહેવું. આમવાતના દર્દીએ ખોરાકમાં શક્ય તેટલો અજમો વધુ લેવો. કેડ, ખભા જેવા સાંધાના દુખાવામાં અજમો રોજ લઈ શકાય. વાયુને કારણે થયેલા મસાથી ગુદામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે અજમાની ધુમાડી લેવી તેમજ અજમો અને હરડે ગોળમાં મેળવીને ખાવા.
આયુર્વેદના આધારભૂત ગ્રંથ ચક્રદત્તમાં અજમાનો શીળસ માટે સાત દિવસનો પ્રયોગ આપવામાં આવેલ છે. તેમાં જૂના ગોળ સાથે પાંચથી દસ ગ્રામ અજમો સવારે-સાંજે લેતા રહેવાનો છે. તેમાં હળદર મેળવવામાં આવે તો થોડો વધુ ફાયદો થવા સંભવ ખરો.
સંદર્ભ : શોભનકૃત “મસાલા–મુખવાસ આહાર–ઔષધરૂપે”માંથી સાભાર.