અગ્નિરક્ષા
“આયુર્વર્ણો બલં સ્વાસ્થ્યમુત્સાહોપચયૌ પ્રભા ।
ઓજસ્તેજોડગ્નય: પ્રાણાશ્ચોક્તા દેહાગ્નિહેતુકા: ।।
શાન્તેડગ્નૌ મ્રિયતે ચિરં યુક્તે જીવત્યનામયઃ |
રોગી સ્યાત્ વિકૃતે, મૂલમગ્નિતસ્માન્નિરુચ્યતે ।।”
આયુષ્ય, શરીરનો રંગ, બળ, આરોગ્ય, ઉત્સાહ, પુષ્ટિ, પ્રતિભા, ઓજ, તેજ, અગ્નિઓ (જઠરાગ્નિ, સપ્તધાત્વગ્નિ, પંચમહાભૂતાગ્નિ એમ તેર અગ્નિ) અને પ્રાણ – એ બધાનું
કારણ જઠરાગ્નિ છે. જઠરાગ્નિ ઓલવાઈ જાય તો માણસ મરી જાય છે, સમ હોય તો નીરોગી રહી લાંબું આયુષ્ય ભોગવે છે. વિકૃત (મંદ, તીણ કે વિષમ) થાય તો માંદગી
આવે છે. માટે સ્વાસ્થ્યનું મૂળ જઠરાગ્નિ છે એમ નિશ્ચયપૂર્વક કહ્યું છે.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
* કફ કરનારો, ભારે, ચીકણો, કાચો, પચે નહીં તેવો, ઠંડો, મધુર અને વધુ આહાર વારંવાર લેનારનો અગ્નિ મંદ થાય છે.
* વાયુ કરનાર, હળવો, લૂખો, ઠંડો, વિષ્ટંભી, તૂરો, કડવો અને ઓછો આહાર વારંવાર લેવાથી અગ્નિ વિષમ (અનિયમિત) થાય છે.
* પિત્ત કરનાર, ગરમ, ઉગ્ર, વિદાહી, તીખો, ખારો, ખાટો અને ઓછો આહાર વારંવાર લેનારનો અગ્નિ તીક્ષ્ણ (ભસ્મકાગ્નિ જેવો) થાય છે.
* ષડરસયુક્ત, સમ, પથ્ય, માપસર; ઋતુ, બળ, કાળ, વય, સાત્મ્ય વગેરેનો વિચાર કરીને નિત્ય આહાર લેનારનો અગ્નિ સમ (આરોગ્યપ્રદ) થાય છે.
* કાયમી કબજિયાત રહેવાથી જઠરાગ્નિ વિકૃત થાય છે.
* ભોજનના નિયમોના વારંવાર ઉલ્લંઘન કરનાર લોકો જઠરાગ્નિનું રક્ષણ કરી શકતા નથી.
* ખૂબ પાણી પીવાથી, વારંવાર પાણી પીધા કરવાથી, જમ્યા પહેલાં પાણી પી લેવાથી, જમ્યા પછી તરત વધુ પાણી પીવાથી જઠરાગ્નિ મંદ થાય છે.
* લૉજ, હોટલ, લારી કે બજારનો તૈયાર ખોરાક રોજ ખાનારા; ઠંડાં પીણાં કે ચા-કોફી-દારૂ પીધા કરનારા લોકો જઠરાગ્નિનું જતન કરી શકતા નથી.
* શોક, દુઃખ, ભય, ચિંતા, કામ, ક્રોધ વગેરે માનસિક આવેગો અગ્નિને સમ રહેવા દેતા નથી.
* અગ્નિરક્ષા ઇચ્છનારે રાત્રે ઉજાગરા ન કરવા, દિવસે નિદ્રા ન કરવી.
* અતિ આરામ અને વ્યાયામ અગ્નિને વિષમ કરે છે.
* પ્રાણાયામ, આસન, સૂર્યપ્રકાશ, પ્રિય વાતાવરણ વગેરે જઠરાગ્નિમાં વધારો કરનારાં છે.
* આદું, લસણ, લીંબુ, મરી, કુણી મોગરી, કુમળા મૂળા, ગાજર, મરચાં, સિંધવ, હરડે, બિજોરું, કોઠું, ફૂદીનો, મસાલા વગેરે પાચકાગ્નિમાં ઉમેરો કરે છે. ચટણી, કચૂંબર,
પાપડ અને સારાં અથાણાં જઠરાગ્નિમાં વધારો કરે છે. વિવેકપૂર્વકનું તેનું સેવન અગ્નિવર્ધક છે. અગ્નિ તેનું રક્ષણ કરનારનું હંમેશાં રક્ષણ કરે છે –
અગ્નિ રક્ષતિ રક્ષિત !’
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
(સંદર્ભ : “રોજિન્દો
આહાર”માંથી સાભાર)