Category Archives: Lekhak

હીંગ અહો, રસોડાની રાણી !!

હીંગ !

        — સ્વ. નરહરીભાઈ ભટ્ટ.       

હીંગ અહો, રસોડાની રાણી !

તીખી સુગંધે છમકારાતાં દાળ-શાક

                મોંમાં તત્કાળ લાવે પાણી !…હીંગ અહો.

કોઈ  કરે  ભાભીના  હાથનાં વખાણ,

કોઈ માતાના અનુભવી હાથની કમાલ;

આ તો દીયરજી લાવ્યા એ હીંગની ધમાલ,

          એને આંગળાં ચાટીને  વખાણી !…હીંગ અહો.

ભોજનને સ્વાદીષ્ટ-સુગંધી બનાવે;

બાજુના ઘરમાંયે   જાણ કરી આવે !

નાકને સુગંધ,સ્વાદ જીભને લલચાવે,

          એનું વર્ણન ના કરી શકે વાણી !…હીંગ અહો.

રુચીને જગાડતી ને ભુખને લગાડતી,

પાચનમાં   સાથ   શો   અપાવતી !

આંતરડે જામેલા મળોને ભગાડતી-

              ભેદનશક્તી મેં એની જાણી !!…હીંગ અહો.

ગોળો ને ગૅસ એ તો ક્ષણમાં શમાવતી,

આફરો  ને  શ્વાસને       દમાવતી;

હેડકી, બગાસાંને બળથી હંફાવતી,

                   બંધ વાળતી એનો તાણી !…હીંગ અહો.

મોંઘા વઘારથી ભોજન શણગારતી,

પાચનક્ષમ એને બનાવી મલકાવતી;

ના એ  રસોડાને, ઘરનેયે  તારતી-

                      રાણી મસાલાની શાણી !!

હીંગ અહો, રસોડાની રાણી !     

……………………………

‘ઔષધીગાન ભાગ – 2’માંથી.

આયુર્વેદના પાયામાં ત્રિદોષ–વિજ્ઞાન

– સ્વ. શ્રી શોભન

વાત-પિત્ત-કફ શું છે ?

      આ સૃષ્ટિ પંચમહાભૂતોની બનેલી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પંચમહાભૂતો જ પ્રાણીઓના શરીરરૂપી પિંડમાં પણ મળે છે. શરીરમાં વાત, પિત્ત, અને કફ એ આ પંચમહાભૂતોનાં જ સ્વરૂપ છે. ખાલી જગ્યા તે આકાશ છે. પૃથ્વી અને જળ તે કફ છે. તેજ અથવા અગ્નિ તે પિત્ત છે અને વાયુ તે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પાંચ પ્રકારે રહેતો વાયુ છે. વાયુનો ગુણ વહન કરવું, લઈ જવું, હલનચલન વગેરે ક્રિયાશક્તિ છે. પિત્તનો ગુણ ઉષ્મા, પ્રકાશ અને જ્ઞાન છે. કફનો ગુણ વાત અને પિત્તનાં કાર્યોને આધાર આપવાનો તેમની ભૂમિકારૂપ બનવાનો છે.  

વાત

  • શરીરમાંનો વાત અથવા વાયુ લૂખો, ઠંડો, હળવો, ચંચળ, વક્ર ગતિવાળો અને સૂક્ષ્મ છે; વળી તે યોગવાહી અને બળવાન છે. તેનો રંગ કાળો અને અરુણ (ઈંટના રંગ જેવો) છે.
  • વાયુ વ્યક્તિ અને સમષ્ટિની સમગ્ર ક્રિયા કરે છે. શરીરમાં તે પ્રાણસંચાર કરે છે, ચેતનાનું સંચાલન કરે છે તેમજ ઉત્સાહ અને બળ આપે છે.
  • પ્રાણ, ઉદાન, સમાન, અપાન અને વ્યાન – એમ વાયુના પાંચ પ્રકાર છે. પ્રાણવાયુ હ્રદય, છાતી અને નાકમાં રહી શ્વાસોચ્છવાસની ક્રિયા કરી પ્રાણ ટકાવે છે; ઉદાનવાયુ છાતી, કંઠ અને મુખમાં રહી બોલવાની ક્રિયા કરે છે; સમાનવાયુ કોઠામાં રહી આહારની પાચનક્રિયામાં મદદ કરે છે; અપાનવાયુ આંતરડામાં વસી મળમૂત્રાદિ બહાર લાવવાની ક્રિયા કરે છે તથા બાકીના વાયુઓને પોષણ આપે છે; વ્યાનવાયુ સમગ્ર દેહમાં વસી સર્વ અંગોની ક્રિયા કરે છે.
  • વહેલી સવારે, સાંજે, રાત્રે અને ભોજન પચી ગયા પછી-ભૂખ્યા પેટે; ઘડપણમાં, વર્ષા-શિશિરમાં તેમજ ઉજાગરાથી, વાહનમાં વધુ મુસાફરીથી; વેગાવરોધ, લંઘન, અતિશ્રમ, ચિંતા, શોક, દુઃખ અને ભયથી; કડવા, તૂરા, તીખા, ઠંડા, હળવા, લૂખા પદાર્થો ખાવાથી વાયુ વધે છે, બગડે છે.
  • વાયુ વિકૃત થાય ત્યારે મુખ્યત્વે તો શૂળ વ્યક્ત થાય છે. અસુખ, દૌબલ્ય, અરુચિ, અનિદ્રા, કાળાશ, રોગની અનિયમિતતા વગેરે ઉપરથી વાયુના રોગનું નિદાન થઈ શકે છે.
  • ઉદરશૂળ, ઉરઃશૂર, પાશ્વર્શૂળ, પિંડીશૂળ; પક્ષાઘાત, રાંઝણ, આંચકી, ધનુર વગેરે વાયુના રોગો છે.
  • વાયુ યોગવાહી હોવાથી પિત્ત સાથર મળીને પિત્તના અને કફ સાથે મળી કફના રોગ પણ કરાવે છે.
  • ઉષ્ણ અને સ્નિગ્ધ આહારવિહારથી વાયુ શમે છે. તલનું તેલ, લસણ, હિંગ, ઘી, અજમો, સિંઘવ, રાસ્ના, એરંડો, નગોડ, ગૂગળ વગેરે આહાર અને ઔષધો તેમજ બસ્તિ, અભ્યંગ, શેક, ચંપી, આરામ, ઊંઘ, દબાણ વગેરે ક્રિયા વાયુને મટાડે છે; વાયુનું સર્વોત્તમ ઔષધ તલનું તેલ અને સર્વોત્તમ ક્રિયા વાતઘ્ન ઔષધોની સ્નિગ્ધ બસ્તિ છે.
  • પિત્ત અને કફની સરખામણીમાં વાયુ વધુ શક્તિશાળી છે. પિત્ત અને કફ પાંગળા છે, તેમને પ્રવૃત્ત કરનાર વાયુ છે. 

પિત્ત

  • અગ્નિ મહાભૂતને જ ‘પિત્ત’ નામ આપવામાં આવયું છે. પિત્ત તપે છે અને તપાવે છે.
  • પિત્ત ગરમ, ઉગ્ર (તીક્ષ્ણ), સર તથા થોડું સ્નિગ્ધ છે. વળી તે તેજસ્વી અને ઊર્ધ્વગતિશીલ છે. કાળા, અરુણ, ધોળા અને પાંડુ સિવાયને લગભગ બધા રંગો પિત્તના છે.
  • શરીરમાં અને સૃષ્ટિમાં રહી તે પકાવવાનું, તેજ આપવાનું અને ગરમી ટકાવી રાખવાનું કામ કરે છે. તેમજ વાયુ અને કફના ગુણ સામે સમતા રાખવાનો પ્રયત્ન કરે છે.
  • પાચક, ભ્રાજક, રંજક, આલોચક અને સાધક એમ પિત્તના પાંચ પ્રકાર છે. પક્વાશયમાં રહેલું પાચક પિત્ત ખોરાકને પચાવે છે; ત્વચામાં રહેલું ભ્રાજક પિત્ત દેહોષ્માને ટકાવે છે; યકૃત અને બરોળમાં રહેલું રંજક પિત્ત લોહીને લાલ રંગે છે; આંખમાં રહેલું આલોચક પિત્ત દ્રષ્ટિ દ્વારા દર્શન કરે છે અને હ્રદયમાં રહેલું સાધક પિત્ત સાધના કરવા માટે બુદ્ધિ જ્ઞાન અને નિશ્ચયનું બળ આપે છે.
  • બપોરે, મધરાતે, યૌવનમાં, ગ્રીષ્મ-શરદમાં, ભોજન પચે ત્યારે; તીખા, ખારા, ગરમ, વિદાહી ને તીક્ષ્ણ પદાર્થોનું ભોજન વધુ પ્રમાણમાં ખવાય ત્યારે; તડકો, તાપ, ક્રોધ, ઉપવાસ, દિવસની ઊંઘ, ઉષ્ણદેશ, અસંતોષ વગેરેથી પિત્ત કોપે છે.
  • પિત્ત બગડે ત્યારે મુખ્યત્વે દાહ થાય છે; તદુપરાંત તરસ, શરીર તપવું, લાલાશ-પીળાશ આવવી, અલ્પ નિદ્રા, ફેર ચડવા, ક્રોધ, અકળામણ વગેરે લક્ષણો જણાય છે.
  • દાહ, સંતાપ, તૃષા, અલ્પનિદ્રા, અમ્લપિત્ત, વિદગ્ધાજીર્ણ, અતિ ભૂખ લગાડનાર ભસ્મકાગ્નિ, રક્તપિત્ત, મુખપાક, કમળો, પાક થવો, વિસર્પ વગેરે પિત્તના વ્યાધિ છે.
  • ઠંડા ઉપચારથી પિત્ત શમે છે. ઘી, દૂધ, સાકર, શેરડી, દ્રાક્ષ, મીઠાં ફળો, ચંદન, માટી, જળ, ઠંડો પવન, શીતળ સ્નાન, ચાંદની, છાંયો, આનંદ, શાંતિ, પ્રસન્નતા, રક્તસ્ત્રાવ, ઠંડો પાતળો લેપ, નિદ્રા; કડવો, તૂરો, મધુર, શીતવીર્ય-ઠંડા ગુણવાળો-આહાર વગેરે પિત્તનું શમન કરે છે. પરંતુ પિત્તનું વધુ સંશમન તો ઘી અને વિરેચન જ કરે છે. સામપિત્તનું વિરેચન કદી કરાવવું ન જોઈએ.

કફ

  • પંચમહાભૂતોમાંથી જળ અને પૃથ્વી મળવાથી કફ (શ્લેષ્મા) થયેલ છે. કફ શરીરમાં હાડકાં, સ્નાયુઓ તેમ જ અંગપ્રત્યંગોને ચોંટાડે છે, સ્થિર રાખે છે.
  • કફ ચીકણો, ભારે, ઠંડો, સ્થિર, મૃદુ અને સ્થૂળ છે; આ ઉપરાંત તે હિતકારી, અલ્પક્રિય, પ્રિય અને સુવ્યવસ્થિત છે. તેનો રંગ સફેદ અને આછો પીળો (પાંડુ) છે.
  • પ્રાકૃત કફ દીર્ઘાયુષ્ય, બળ, સુંદરતા, ધૈર્ય, સ્મૃતિ, ક્ષમા, શાંતિ, સુખ અને સમૃદ્ધિ આપનાર છે.
  • બોધક, શ્લેષક, તર્પક, ક્લેદક અને અવલંબન એમ કફના પાંચ પ્રકાર છે. બોધક કફ જીભમાં રહી સ્વાદને પારખે છે; ક્લેદક કફ આમાશયમાં રહી ખોરાકને દ્રવ બનાવે છે, તર્પક કફ મગજમાં રહી નિદ્રા, શાંતિ, સ્મૃતિ અને ધૈર્ય આપે છે; શ્લેષક કફ શરીરના સાંધા અને અવયવોને સ્નિગ્ધ રાખે છે અને અવલંબન કફ છાતીમાં રહી બળ આપે છે તથા બાકીના કફ પ્રકારોને પોષણ આપે છે.
  • સવારે, જમ્યા પછી, સાંજે જમ્યા પછી, રાતની શરૂઆતમાં; બાળપણમાં; વસંત-હેમંતમાં; અતિ મધુર-અમ્લ-લવણ, ગુરુ, શીત, સ્થિર, મૃદુ, આહાર લેવાથી; આનંદ, આરામ, ઊંઘ, દિવાસ્વપ્ન, નિશ્ચિતતા, સુખ, વૈભવવિલાસ વગેરેથી કફ વધે છે.
  • કફ વધે ત્યારે શરીરમાં સ્નિગ્ધતા, ગૌરવ, તંદ્રા, નિદ્રા, આળસ, પુષ્ટિ, પ્રમાદ, અરુચિ તથા સ્વાર્થ, તમસ અને અજ્ઞાન વધે છે; તેમ જ લાંબા સમય સુધી ન મટે તેવા કફ રોગો થાય છે.
  • પ્રમેહ, ચર્મરોગ, સોજા, અરુચિ, શરદી (સળેઅમ), મંદાગ્નિ, દ્રષ્ટિદૌબલ્ય, શીતળા, કૃમિ, અતિનિદ્રા, વગેરે કફજ વ્યાધિ છે.
  • ગરમ અને લૂખા ઉપચાર કરવાથી કફ ઘટે છે; તદુપરાંત વમન, વિરેચન, શિરોવિરેચન, લૂખો શેક, ઉજાગરા, શ્રમ, દુઃખ, શોક, ભય, અસુખ તેમ જ તીખા, તૂરા, કડવા, ગરમ, લૂખા, અસ્વાદિષ્ટ આહાર કફ વિરાધી છે.
  • કફજન્ય રોગનું શ્રેષ્ઠ ઔષધ મધ અને શ્રેષ્ઠ ક્રિયા વમન છે. વમનમાં પણ મીંઢળ સર્વશ્રેષ્ઠ છે. અતિશય વધી ગયેલા કફનો વમન દ્વારા સામ સ્થિતિમાં પણ શરીરમાંથી નિકાલ કરવામાં દોષ નથી.

આયુર્વેદના સાવ સરળ પાઠો

આયુર્વેદ

आयुर्हिताहितं व्याधिर्निदानं शमनं तथा ।

विद्यते यत्र विद्वदिभः स आयुर्वेद उच्यते ।।

આયુષ્ય માટે હિતકર શું અને અહિતકર શું ? રોગોનાં કારણ અને ઉપાય શાં ? એ બધું વિદ્વાનો જે શાસ્ત્ર દ્વારા જાણે છે તેને ‘આયુર્વેદ’ કહેવામાં આવે છે.

–  भावप्रकाश

રાષ્ટ્ર-ચિકિત્સા

આયુર્વેદ-ચિકિત્સા જ રાષ્ટ્ર માટે સૌથી વધુ ઉચિત ચિકિત્સા પ્રણાલી છે, કારણ કે-

  • તે ભારતીય સંસ્કૃતિનું મુખ્ય અંગ છે; ઋષિમુનિઓનો અમર વારસો છે; આપણા ભગીરથ પુરુષાર્થનું પ્રતીક છે.
  • તે હજારો વર્ષોના અનુભવથી રચાયેલ છે; હજારો વર્ષો પસાર થયા છતાં તેમાંનું કશું પણ ખોટું ઠરી શક્યું નથી, ઊલટાનું સત્યની કસોટીમાં દિનપ્રતિદિન વધુ ને વધુ ઉત્તીર્ણ થતું જાય છે.
  • તેનાં મૂળ હજારો વર્ષ પહેલાં નંખાયેલા છે અને તે તિબેટ, ચીન, બ્રહ્મદેશ, સિલોન, જાવા, સુમાત્રા, અરબસ્તાન, ઈરાન અને ગ્રીસ સુધી પણ ફેલાયેલાં છે !
  • તે ગામડે-ગામડે, શહેરે-શહેર અને ઘેર-ઘેર પ્રત્યેક ભારતવાસીઓની રગેરગમાં વસી ગયેલ છે.
  • તેનાં ઔષધો સર્વત્ર મળી શકે તેવા, સસ્તાં, હિતકર અને નિર્દોષ છે.
  • ગુલામીનાં સેંકડો વર્ષ પસાર થવા છતાં, દેશની ૮૨ ટકા જનતા આજે પણ એનું જ શરણ સ્વીકારી તંદુરસ્તી જાળવે છે, મેળવે છે.
  • સ્વસ્થવૃત્ત અને સદ્દવૃત્ત દ્વારા તે તન કે મનમાં, રોગના એક પણ અંશને દાખલ થવા દેતી નથી અને દાખલ થયેલાને પૂર્વરૂપમાં જ પથ્ય દ્વારા આગળ વધતો અટકાવે છે.
  • તે એક રોગને કાઢતાં તેની સાથે સંબંધ ધરાવનાર અનેક રોગોને જડમૂળથી દૂર કરે છે. જૂનામાં જૂના અને દરેક જાતના સાધ્ય રોગોને શોધન, શમન કે પથ્ય દ્વારા બહાર ફેંકી દે છે.
  • યુગોથી વારસાગત સંબંધ હોવાથી તેમાં આપેલા ઉપાયો, નિયમો કે ઉપચારો પ્રત્યેક માણસને અનુકૂળ બને તે વા છે.
  • તેને અપનાવવાથી માણસ પોતાની જાતે રોગ, તેનાં કારણ અને ઔષધો વિષે જાણકાર થઈ જાય છે તેમ જ તેને નીરોગી રહેવા માટેનો સાચો માર્ગ પણ મળી જાય છે.
  • તે માત્ર રોગની ચિકિત્સાનું જ શાસ્ત્ર નથી પણ જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શનાર અદ્રિતીય વિજ્ઞાન છે.
  • તે સ્વાવલંબન, સ્વદેશી અને રાષ્ટ્રપ્રેમના તાણાવાણાથી વણાયેલ છે. અને એ રીતે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાષ્ટ્રિય દ્રષ્ટિએ દેશને સૌથી વધુ અનુકૂળ છે.
  • ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા સમયે, વધુ વિસ્તારમાં તે આપણી આરોગ્ય-સમસ્યાને હલ કરી શકે તેમ છે.
  • ટૂંકમાં, આરોગ્યશાસ્ત્ર અને ચિકિત્સાશાસ્ત્રની જે લાયકાત હોવી જોઈએ તે બધી આયુર્વેદમાં છે અને એ રીતે તે આપણી રાષ્ટ્ર-ચિકિત્સા છે.

આયુર્વેદ – પરિચય

  • આયુર્વેદ એ આપણું પ્રાચીન મહાન વિજ્ઞાન છે; કારણ કે તેને ऋग्वेद અને अथर्ववेद નો ઉપવેદ માનવામાં આવે છે.
  • ચરક, સુશ્રૃત, અષ્ટાંગહ્રદય, ભાવપ્રકાશ, માધવનિદાન, શાડર્ગંધર એ આયુર્વેદના છ મુખ્ય ગ્રંથો છે. તેમાં ચરકસંહિતા કાર્યચિકિત્સા (મેડિસિન) અને સુશ્રૃતસંહિતા શસ્ત્રચિકિત્સા (સર્જરી) માટે દુનિયાભરમાં અજોડ છે.
  • કાર્યચિકિત્સા, શલ્પચિકિત્સા, શાલાક્યતંત્ર, બાળરોગ, ગ્રહબાધા, વિષતંત્ર રસાયન અને વાજીકરણતંત્ર એમ આયુર્વેદનાં આઠ અંગ છે. આઠેય અંગમાં આરોગ્ય અને ચિકિત્સાની લગભગ તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે.
  • શસ્ત્રક્રિયા, ક્ષારકર્મ, અગ્નિકર્મ, મંત્ર, શોધન (પંચકર્મ), શમન (લંઘન-પાચનાદિ) એમ અનેક પદ્ધતિ આયુર્વેદે રોગશમન માટે યોજેલ છે.
  • વાયુને ૮૦, પિત્તના ૪૦, કફના ૨૦ તેમજ અન્ય આગતુંક વગેરે રોગોના વર્ણનમાં લગભગ તમામ રોગોનો સમાવેશ થયેલો છે. અને ચરકસંહિતા તથા અન્ય નિઘંટુઓમાં સેંકડો વનૌષધિઓના ગુણ આપ્યા છે. જેમાંથી પ્રાયઃ તમામ રોગોનાં ઔષધો પ્રાપ્ત થઈ શકે તેમ છે.
  • ‘માનવ-આયુર્વેદ’ના સિદ્ધાંતોને આધારે ‘ગજાયુર્વેદ’ ‘અશ્વાયુવેદ’ ‘અજાયુર્વેદ’ વગેરેની પણ રચના કરવામાં આવી છે; જેના કેટલાક ગ્રંથો આજે પણ પ્રાપ્ય છે.
  • આયુર્વેદની અનેક શાખાના અગણિત ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે. તેમાંથી નાશ પામતાં બચેલા ગ્રંથો સેંકડોની સંખ્યામાં આજે પણ મોજૂદ છે.
  • દુનિયાની તમામ ચિકિત્સાપદ્ધતિઓ આયુર્વેદમાંથી જન્મેલી છે, નવી જન્મે છે તેના ચિકિત્સા-સિદ્ધાંત પણ આયુર્વેદમાં સમાયેલા છે.
  • ૨૫૦૦ વર્ષ પૂર્વે બૌદ્ધ ધર્મના પ્રચાર વખતે આયુર્વેદ પણ દૂર-દૂરના દેશોમાં પહોંચ્યો હતો; સાથે સાથે આપણાં ઔષધો, વૈદ્યો, સિદ્ધાંતો અને ગ્રંથો પણ પહોંચેલાં. યુરોપ અને એશિયાખંડના છાત્રો તે વખતે આયુર્વેદવિદ્યા મેળવવા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં આવતા, દૂર-દૂરના દર્દીઓ પણ અહીં સારવાર લેવા આવતા.

આયુર્વેદનો આદર્શ

समदोषः समाग्निश्च समधातु-मल-क्रियः ।

प्रसन्नात्मेन्द्रियमनाः स्वस्थ इत्यभिधीयते ।।

જે માણસના ત્રણે દોષ (વાત,પિત્ત,કફ); તેર અગ્નિ (જઠરાગ્નિ, પંચભૂતાગ્નિ, સાત ધાત્વગ્નિ); સાત ધાતુઓ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર) અને મળ (પુરીષ, મૂત્ર સ્વેદ વગેરે), ક્રિયાઓ સમ હોય તેમજ આત્મા, (દશેય) ઇન્દ્રિયો અને મન પ્રસન્ન હોય તેને જ સ્વસ્થ કહી શકાય.

-सुश्रृतसंहिता

  • પ્રત્યેક મનુષ્ય તન-મનથી પૂર્ણ સ્વસ્થ રહી સો વર્ષ જેટલું જીવવો જોઈએ.
  • રજોગુણ અને તમોગુણ માનસરોગનું કેરણ હોવાથી સત્વગુણને પ્રબળ બનાવવા સદવૃત્ત આચરવું જોઈએ.
  • દરેક બાબતમાં હીનયોગ, અતિયોગ અને મિથ્યાયોગ દુઃખદાયક છે. રોગકર છે, તેથી સમયોગ સાચવવા કે મેળવવા પ્રયત્ન થવો જોઈએ.
  • બુદ્ધિ, ધૃતિ અને સ્મૃતિને અવગણીને કરાયેલો પ્રજ્ઞાપરાધ જ આધિ, વ્યાધિ અને ઉપાધિનું કારણ બને છે. તેથી તેમ ન થવા દેવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
  • જઠરાગ્નિ જ માનવમાત્રનું સાચું બળ છે. તથી તેનું સતત જતન થવું જોઈએ. ‘પોષણવાદ’ કરતાં ‘પાચનવાદ’ને મહત્વ અપાવું જોઈએ.
  • ‘ભોગ રોગનું મૂળ છે’ તેથી જીભને કે મનને વશ ન થતાં અંતઃકરણ કે જ્ઞાનને વશ થઈ વર્તન કરવું જોઈએ.
  • ‘રોગો થવા તે આહારવિહારની ભૂલનું પરિણામ છે’ માટે આહારવિહારનું જ્ઞાન છેલ્લામાં છેલ્લા માણસ સુધી પણ પહોંચાડવું જોઈએ.
  • કુકર્મોના કારણે પણ ઘણા રોગ થતા હોય છે, તેથી પ્રત્યેક વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ.
  • રોગપ્રતિકારક કે ચિકિત્સામાં ચેતનના ભોગે કે શરીરના બંધારણના ભોગે પ્રવૃત્તિ કરવાથી સરવાળે દુઃખદ પરિણામ આવતું હોય છે; તેવા માર્ગ ત્યજવા જોઈએ.
  • આહારવિહારની પ્રત્યેક ક્રિયા વખતે દેશ, કાળ, બળ, પ્રકૃતિ, સાત્મ્ય, અગ્નિ, વય, સ્થિતિ, સંયોગ વગેરેનો વિચાર સતત કરવો જોઈએ.

આયુર્વેદની વિશિષ્ટતા

  • આયુર્વેદ રોગનું કેવળ ઉપર દેખાતું લક્ષણ દૂર કરીને રોગ મટાડ્યો એમ માનતો નથી.

આયુર્વેદની ચિકિત્સા શરીરમાંથી રોગનું કારણ દૂર કરી રોગને જડમૂળથી મટાડવાની છે. એથી આયુર્વેદ એ લક્ષણ-ચિકિત્સા નથી પણ કારણ-ચિકિત્સા છે.

  • આયુર્વેદ બંધારણના ભોગે રોગ દૂર કરવાની ચિકિત્સા બતાવતો નથી, પરંતુ બંધારણના રક્ષણ સાથે રોગને દૂર કરે છે.
  • આયુર્વેદ કેવળ રોગની ચિકિત્સા કરવામાં માનતો નથી, પણ રોગ અને રોગી બંનેની ચિકિત્સા કરવામાં માને છે.
  • આયુર્વેદ રોગને દાબી દેવામાં માનતો નથી, કિન્તુ તેનું સંશમન કરવામાં કે શોધન કરી બહાર કાઢવામાં માને છે.
  • આયુર્વેદ શરીરમાં ઝેર ઉત્પન્ન કરનારાં કે એક રોગ મટાડવા જતાં બીજા રોગને ઉત્પન્ન કરનારાં ઔષધોમાં માનતો નથી; પરંતુ તે શરીર તથા મનનું આરોગ્ય આપનારાં ચેતન-રસાયન-ઔષધોમાં માને છે.
  • આયુર્વેદ રોગોનું કારણ જીવાણુઓ છે તેમ માનતો નથી; પરંતુ ત્રણે દોષોની વિષમતા છે તેમ માને છે.
  • આયુર્વેદ માત્ર ઔષધોને જ માનતો નથી, પથ્યાપથ્યને પણ માને છે.
  • આયુર્વેદ કેવળ ભૌતિક ઉપભોગમાં માનતો નથી; તપમાં અને સંયમમાં પણ માને છે.
  • આયુર્વેદ કેવળ વજન વધારવામાં માનતો નથી; તે જઠરાગ્નિ, શક્તિ અને ઉત્સાહમાં પણ માને છે.
  • આયુર્વેદ માનવદેહને પ્રયોગશાળા માનતો નથી; ચેતનને વસવાનું મંદિર માને છે.

ભીંડાભાઈ અંગે જાણવા જેવું ખરું !

– સ્વ. શ્રી શોભન

શક્તિદાયક શાક:  ભીંડો

રાજનિઘંટુથી માંડીને આજ સુધીના આયુર્વેદીય ગ્રંથોમાં ભીંડાના ગુણ-દોષનું વિગતે વર્ણન કરવામાં આવેલ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભીંડાનો મૂળ સંસ્કૃત તત્સમ પર્યાય છે ‘ભેંડા’ ! આયુર્વેદીય સાહિત્યમાં તેના માટે સુમધુર પર્યાય ‘કરપર્ણફલ’ એટલે કે ‘હાથની આંગળીઓના જેવા આકાર ધરાવતું ફળ’ પણ વપરાયો છે ! (લેડીઝ–ફીંગર !)

ભીંડો રસમાં મધુર, પચવામાં ભારે અને ગુણમાં પિચ્છિલ-ચીકણો હોવાથી કફ કરનાર છે. સાથે સાથે એ જ કારણે તે જઠરાગ્નિ બરાબર હોય અને પચે તો શક્તિદાયક એટલે કે બલ્ય છે. તેમજ શુક્રવર્ધક અને જાતીયશક્તિ વધારનાર એટલે કે વૃષ્ય છે. રાજનિઘંટુમાં ભીંડાને ‘પરં વૃષ્ય’ એટલે કે પુષ્કળ પુરુષાતન આપનાર કહ્યો છે તેથી નપુસંકતા, શુક્રધાતુની અલ્પતા, શુક્રદોષ, જાતીય નબળાઈ કે પુરુષ વંધ્યત્વમાં ભીંડો હિતાવહ છે.

ભીંડો ગરમ પણ છે અને ઠંડો પણ કહેવાયેલો છે. તેનો વિપાક (પાચન થયા બાદ) મધુર પણ છે ને અમ્લ પણ કહેલ હોવાના મતભેદ શાસ્ત્રમાં મળી આવે છે. પરંતુ મારા મત મુજબ તે ભીંડો કુમળો અને ઘરડો તેમજ શરદઋતુ અને અન્ય ઋતુના સંદર્ભમાં હશે. કુમળો અને શરદઋતુ એટલે કે ભાદરવા-આસો માસમાં થનારા સિવાયનો ભીંડો મધુર અને શીત સમજવો જોઈએ. ભાદરવાનો ભીંડો નવું પાણી પીવાથી, તાપ પડવાથી અને ઘરડો થવાથી ગરમ અને પચે ત્યારે ખાટો તેમજ અપથ્ય સમજવો જોઈએ. કારણ કે ત્યારે તે ખાવાથી તાવ, અમ્લપિત્ત વગેરે રોગોને પોષણ મળે છે. તે ભીંડો અમ્લવિપાકી હોવાથી તેની સાથે દૂધ ખાવું હિતાવહ ન ગણાય. કારણ કે તેમ થવાથી વિરુદ્ધ આહારજન્ય રોગો થવાની શક્યતા છે. કાકડી, મૂળા જેવાં દ્રવ્યોમાં કુમળા-ઘરડાનો તેમજ શરદઋતુમાં તેના ગુણમાં જેમ તફાવત જોવામાં આવે છે તેમ ભીંડામાં પણ સમજવું જોઈએ.

ભીંડો ગ્રાહી ગુણવાળો હોવાથી પ્રદર, સ્વપ્નદોષ જેવા રોગોમાં પણ આપવાનું સૂચવવામાં આવે છે.

જેમ કેળાં ભારે, ચીકણાં અને કફકારક હોવા છતાં રુચિકર હોવાથી વધારે ખવાઈ જતાં તેનો ભાર રહે છે તેમ ભીંડાનું પણ થાય છે. તે રુચિકારક હોવાથી વધુ ખવાઈ જતાં તેનો ભાર રહે છે. મંદાગ્નિવાળાં બાળકોને ભીંડો હિતાવહ નથી.

‘કાસે મંદાનલે વાતે પીનસેષુ વિનિંદિતમ્’ એમ કહીને ‘નિઘંટુસંગ્રહ’ નામના ગ્રંથમાં ઉધરસ, મંદાગ્નિ, વાયુના રોગો, જૂની શરદી (પીનસ-સાઈનસ)ના દરદી માટે ભીંડો વિશેષ નિંદિત હોવાથી તેવા દરદીએ ન ખાવો તેવું કહ્યું છે.

ટૂંકમાં, ભીંડો સદા પથ્ય શાક ન હોવા છતાં, જેનો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય તેવા અને વાયુપ્રકૃતિવાળા, પરણેલાં, શ્રમજીવી ગરીબ યુવાનો માટે અવારનવાર ખાવા જેવા ખરા, જેથી તે શ્રમહર, બલ્ય, પૌષ્ટિક અને પરં વૃષ્યતાનો ગુણ ઓછા ખર્ચે મેળવી શકે.

બે વિચિત્રનામા ઔષધો : ભાંગરો ને લોધર

– વૈદ્ય નીતા ગોસ્વામી

ભાંગરો

સૌંદર્યની વાત આવે એટલે સૌપ્રથમ સ્ત્રી હોય કે પુરુષ દરેક પોતાના વાળ વિષે ચિંતા વ્યક્ત કરતાં હોય છે. વાળનું સૌંદર્ય જોઈને તો કવિ કાલિદાસજીએ પણ મોહ પામીને વાળ વિષે કાવ્યો લખ્યાં છે. સૌંદર્યના પૂજારી એવા તમામ રસિક કવિઓ અને લેખકો પણ વારંવાર વાળ વિષે લખે છે. આમ વાળ એ સૌંદર્ય માટે અનિવાર્ય અંગ છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વાળના રોગોની અદ્દભૂત સારવાર બતાવી છે. વાળને લગતા જે કંઈ રોગો થાય છે તેમાં મહત્વની એક વનસ્પતિ છે, ભાંગરો. વર્તમાન સમયમાં ભાંગરાનો ખૂબ જ પ્રચાર થયો છે. તેનું કારણ છે કે વિવિધ પ્રકારના હેરઓઈલો બજારમાં ઉપલબ્ધ થયાં છે અને આ તમામ હેરઓઈલો ભાંગરો તો હોય છે, ગ્રામ્યવિસ્તારના લોકો, ખાસ કરીને મહિલાવર્ગ તો પરાપૂર્વથી ભાંગરાને એકઠો કરીને તેનું તેલ બનાવીને પોતાના વાળમાં નાંખે છે. અને તેના પરિણામે તેઓના વાળ કાળા અને ચકચકિત અને ખૂબ જ લાંબા હોય છે. અહીં આપની સમક્ષ ભાંગરાના જે સૌંદર્યવર્ધક કર્મો છે તેનું વર્ણન કરીએ છીએ.

આમ જોવા જઈએ તો શરીરમાં તથા અનેક રોગો પર ભાંગરો કામ કરે છે. પરંતુ ભાંગરો વિશેષ પ્રકારે બેસ્ટ બ્યુટી એજન્ટ છે. તેનાં જે કંઈ નામો છે, તેનાં પરથી આપણને ખ્યાલ આવે છે કે તે હેરબ્યુટી એટલે કે વાળનું સૌંદર્ય વધારવા માટેની શ્રેષ્ઠ વનસ્પતિ છે. વાળ વધારવા માટે, વાળને રંગ આપવા માટે તથા વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે ભાંગરો શ્રેષ્ઠ વનસ્પતિ તો છે જ, સાથે સાથે યૌવનને જાળવી રાખે છે, તથા સર્વાંગ સૌંદર્ય યૌવન માટે ભાંગરો ઉપયોગી છે તે ખૂબજ ઓછા લોકો જાણે છે. ભાંગરાને ભૃંગરાજ કહેવામાં આવે છે, અને તે સ્વર્ણીકરણ કરે છે એટલે કે તે શરીરને સુવર્ણ જેવું બનાવે છે. વિવિધ પ્રકારના કુષ્ઠના રોગો, સફેદ દાગ, શીળસ, શૂદ્રરોગ જેવા ચામડીના રોગોમાં પણ ભાંગરો અતિ ઉપયોગી છે. શાસ્ત્રોમાં ભાંગરાના અનેક પ્રકારે પ્રયોગો બતાવ્યા છે.

રસાયન પ્રયોગઃ જે માણસ ૧ મહિના સુધી સવારે ભાંગરાનો રસ ૧ તોલો દરરોજ પીવે અને માત્ર દૂધ પર જ રહે તો તે માણસનું બળ અને વીર્ય વધે છે અને તે પ્રયોગથી પુનર્યૌવન પ્રાપ્ત કરે છે. ભાંગરો રસાયન ગુણ ધરાવતો હોવાથી તેનો રસ પીવાથી ચામડી પણ મુલાયમ અને તેજસ્વી બને છે.

સફેદ વાળઃ આજકાલ નાની વયના બાળકોને સફેદ વાળની સમસ્યા વધતી જોવા મળે છે. યુવાન યુવતી અને યુવકોને તો આ સફેદ વાળની સમસ્યા તો ડગને પગલે જોવા મળે છે. દરેક વ્યક્તિઓ સફેદ વાળનો તિરસ્કાર કરતી હોય છે, અને પોતાના વાળ કાળા બને તે માટે ઉપાયોની શોધ કરતી હોય છે. શાસ્ત્રોમાં સફેદ વાળને કાળા બનાવવા માટે તો અનેક પ્રયોગો છે. તેમાં ભાંગરાનું માધ્યમ અતિ શ્રેષ્ઠ છે. જુઓ……

૧.      ભાંગરાનાં ફૂલ, જાસૂદના ફૂલ અને ઘેટીનું દૂધ આ ત્રણેયને એક સાથે ઘૂંટીને બારીક પેસ્ટ બનાવવી. ત્યારબાદ આ પેસ્ટને લોખંડના વાસણમાં મૂકી તે વાસણને જમીનમાં દાટી દેવું. સાત દિવસ પછી તે વાસણને જમીનમાંથી બહાર કાઢી તેમાં ફરીવાર ભાંગરાનો રસ નાંખીને ઘૂંટવું. આ લેપ રાત્રે વાળમાં લગાવી તેનાં ઉપર કેળનું પાન બાંધી દેવું. સવારે માથું ધોઈ લેવું. આ પ્રયોગ થોડા સમય સુધી કરવાથી વાળ કાળા થાય છે.

૨.      ભાંગરાના રસમાં જેઠીમધનું ચૂર્ણ અને દૂધ તથા તેલ મેળવીને ઉકાળવું. તેલના ટીપાં નાકમાં નાખવાથી વળિયા-પળિયા દૂર થાય છે.

        માત્રા – ભાંગરાનો રસ ૧૨૮ તોલા, જટઠીમધનું ચૂર્ણ ૪ તોલા, દૂધ ૬૪ તોલા અને તલનું તેલ ૧૬ તોલા, બધું ઉકાળતા માત્ર તેલ બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવું. આ તેલનાં ટીપાં નાકમાં નાંખવા.

૩.      ભાંગરાનો રસ ૧૦ ગ્રામ રોજ સવારે નરણા કોઠે પીવાથી પણ સફેદ વાળ કાળા થાય છે.

સફેદ કોઢઃ લોખંડના વાસણમાં તલનાં તેલમાં ભાંગરો શેકવો. લૂગદી જેવું થાય એટલે આ ભાંગરો ખાવો અને તેના પર બિયાંની છાલથી પકાવેલું દૂધ પીવું. આ પ્રયોગ કરવાથી સફેદ દાગ મટે છે.

માથાના ચાંદાઃ ભાંગરાનો રસ માથામાં લગાડવાથી ચાંદા મટે છે.

વાળની સુંદરતાઃ ભાંગરાનું તેન માથામાં નાખવાથી વાળ ખરતા બંધ થાય છે તથા નવા વાળ આવે છે, તથા વાળની લંબાઈ પણ વધે છે, તથા વાળ ઘટ્ટ બને છે, મુલાયમ બને છે.

ખરતા વાળઃ ભાંગરો, ત્રિફળા, ઉપલસરી, કણજીનાં બીજ, લીમડાની આંતરછાલ, કરેણના મૂળ, સફેદ ચણોઠી. દરેક ઔષધો ૨૦-૨૦ ગ્રામ લઈ તેનો પાવડર બનાવવો. આ પાવડરને ચાર લિટર ભાંગરાના રસમાં પલાળવો. બીજા દિવસે તેમાં ૧ લિટર તલનું તેલ નાખી ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય પછી તેલ ઠંડુ થયે ગાળી લેવું અને બોટલમાં ભરી લેવું. આંગળીના ટેરવા વડે આ તેલ રોજ વાળના મૂળમાં માલિશ કરવાથી ખરતા વાળ, ખોડો વગેરે દૂર થઈ નવા વાળ આવે છે, વાળ ઝાડા તથા લાંબા પણ થાય છે.

સગેદ વાળ માટે તેલઃ આમળાં, અનંતમૂળ, હરડે, જેઠીમધ, મોથ, સુગંધી વાળો, બહેડાં, મહેંદીના પાન, કેરીની ગોટલી-આ તમામનો ૨૦-૨૦ ગ્રામ પાવડર લેવો. આ પાવડરને ૨૦૦ ગ્રામ ભાંગરાનો રસ તથા ૧૦૦ ગ્રામ આમળાંના રસમાં લોખંડના વાસણમાં ૧૫ થી ૨૦ કલાક સુધી પલાળવો. ત્યારબાદ તેમાં ૧ લિટર કાળા તલનું તેલ નાખી તપેલા પર બારી કપડું બાંધી સૂર્યના તડકામાં મૂકવું. આ તપેલું ૬ થી ૮ દિવસ રાખવું. ત્યારબાદ તેમાં ભાંગરાનો રસ ૧૧/૨ લિટર, આમળાંનો રસ ૧ લિટર તથા ગળીના પાનનો રસ ૫૦૦ ગ્રામ નાખીને તેલ ઉકાળવું. તેલ પકવ થયા બાદ ઠંડુ થયા બાદ ગાળી લઈ બાટલમાં ભરી લેવું. આ તેલનું રોજ વાળમાં માલિશ કરવાથી ધીરે ધીરે સફેદ વાળ કાળા થાય છે તથા ખરબચડા વાળ સુંવાળા અને ચમકદાર બને છે.

સફેદ વાળ માટે લેપઃ ૧. ભાંગરાનું ચૂર્ણ, ત્રિફળા, કેરીની ગોટલી, અખરોટની છાલ અથવા છોડાં આ તમામ મેળવીને તેને લોખંડના વાસણમાં દહીં અથવા કાંજી સાથે પલાળીને લેપ કરવાથી ધીમે ધીમે વાળ કાળા થાય છે.

૨. ભાંગરાનું ચૂર્ણ, મેથી, સોપારી અને લોખંડના કાટનો લેપ કરવાથી પણ વાળ કાળા થાય છે.

આભ્યંતર પ્રયોગઃ (૧) ભાંગરાના પાન તથા કાળા તલ રોજ ચાવીને ખાવાથી પણ સફેદ વાળ કાળા થાય છે. (૨) દરરોજ નરણા કોઠે ૧ તોલો ભાંગરાનો રસ પીવાથી વાળ સુંદર બને છે. (૩) ભાંગરાના રસનાં ટીપાં અથવા ભાંગરા તેલના ટીપાં નાકમાં નાખવાથી પણ વાળ કાળા થાય છે. (૪) ભૃંગરાજઘન, ભૃંગરાજાસવ વગેરેનું સેવન કરવાથી પણ ખરતા વાળ કે સફેદ વાળમાં ફાયદો થાય છે.

પઠાણી લોધર

        કેટલીક વનસ્પતિની આગવી ઓળખાણ હોય છે, આવી વનસ્પતિ આપોઆપ ઓળખાઈ જાય છે. જેમ કે લોધર નામનું જે વૃક્ષ થાય છે, તેના સફેદ પડતા પીળાં ફૂલ ૨ થી ૪ ઈંચ લાંબા દંડ પર આવે છે, અને આ પુષ્પ અને દંડ સુગંધી અને અતિ સુંદર હોય છે. પુષ્પ સહિત સુગંધી દંડને જોતા જ ખ્યાલ આવે છે કે આ લોધરનું વૃક્ષ છે. સામાન્ય રીતે લોધર ઘણાં રોગોમાં અતિ ઉપયોગી સિધ્ધી થયેલ છે. આપણે તો અહીં સૌંદર્ય વિષયક જ વાત કરવાની છે. સૌંદર્યપ્રાપ્તિ માટે ખાસ કરીને લોધરની છાલ વાપરવામાં આવે છે, તે શરીરના અનેક તંત્રો પર અનેક રોગોમાં કાર્ય કરે છે. પરંતુ સૌંદર્ય માટે તેના ઉપયોગો જોઈએ તો તે કુષ્ઠઘ્ન એટલે કે કોઢને મટાડે છે, તથા ચામડીના અનેક રોગોમાં ઉપયોગી છે. ખાસ કરીને ચામડીનો રંગ સુધારવા માટે તે ફાયદાકારક છે. આંખની આજુબાજુના કાળા, કુંડાળાં, ચામડી પરના કાળા ડાઘ (હાયપર પિગમેન્ટેશન) વગેરેને મટાડવામાં ખૂબ ઉપયોગી છે. લોધર તુરું અને શીતળ હોવાથી ખીલ તથા ખીલના ડાઘ અને ખીલથી થતા ખાડા વગેરે મટાડવા માટે ઉપયોગી છે.

ખીલ

(૧)    લોધર, ઘોડાધ્વજ, ધાણા, અને ઉપલેટનું સમભાગ ચૂર્ણ બનાવી પાણી અથવા કોથમીરના રસમાં ઘૂંટીને તેનો લેપ ખીલ ઉપર કરવાથી ખીલ મટે છે.

(૨)    લોધર, કપૂરકાચલી, ઘોડાધ્વજ, ચંદન તથા લીમડાની છાલ અથવા લીમડાના પાન-આ તમામને પાણીમાં નાખી ગરમ કરવું. વાસણમાંથી જે વરાળ નીકળે તે વરાળનો શેક ખીલ પર કરવાથી પરુવાળા ખીલ તથા કાચા ખીલ મટે છે.

(૩)    ખીલમાં ચાંદા પડી ગયા હોય તો તુંબડીના પાન અને લોધરની છાલનું ચૂર્ણ સમભાગ લઈ પાણી સાથે લેપ કરવો.

કાળા દાગ+કાળા કુંડાળાઃ

(૧)    લોધર, મજીઠ, લાલચંદન, સરસવ, મસૂરની દાળ તથા હળદરનો પાવડર બનાવી ગુલાબ જળ કે પાણી સાથે લેપ કરવાથી કાળા દાગ તથા કુંડાળાં વગેરે મટી જાય છે અને ચામડી ગોરી અને સુંવાળી બને છે.

(૨)    લોધર, કપૂરકાચલી, મજીઠ, લાલચંદન અને લાખને તલના તેલમાં ઉકાળી લેવું.  તેલથી દરરોજ માલિશ કરવાથી કાળા દાગ દૂર થઈ ત્વચા ગોરી તથા મુલાયમ બને છે તથા શિયાળામાં ચામડી ફાટતી નથી.

(૩) લોધરના ઉકાળાથી મોં તથા આંખો ધોવાથી કે મોં પર ઉકાળો છાંટવાથી મુખ પર થતી ઝાંય, કાળા દાગ, આંખની આસપાસ થતાં કુંડાળાં, ફોલ્લીઓ વગેરે મટે છે.

(૪)    લોધરની છાલનું ચૂર્ણ ઘીમાં સહેજ શેકી પાણી સાથે તેનો આંખની આસપાસ જાડો લેપ કરવો. આ પ્રકારના લેપને બિડાલક કહે છે. સામાન્ય ભાષામાં બિલાડો કરવો કહેવાય છે. આ બિલાડાથી કુંડાળાં મટે છે.

ખીલ અને શીતળાના ખાડાઃ લોધર, વરિયાળી અને ફૂલાવેલી ફટકડીનો પાવડર પાણી સાથે ઘૂંટીને ખીલના કે શીતળાના ખાડા પર કે ત્વચાજન્ય કોઈ પણ નિશાન પર લેપ કરવામાં આવે તો ધીમે ધીમે ખાડા મટી જાય છે, નિશાન જતાં રહે છે.

પરસેવાની દુર્ગંધઃ

(૧)    લોધર, અગર, જટામાંસી, કમળ, સુગંધી વાળો, કપૂર, જાંબુના પાનનો પાવડર બનાવી ચણાના લોટ સાથે મેળવી લેવો. આ પાવડરને શરીર પર ઘસીને કે ચોળીને નહાવાથી શરીરની ચિકાશ દૂર થાય છે, અને શરીર સુગંધિત બને છે.

(૨)    લોધર, મજીઠ, ગોદંતીભસ્મ, દારૂહળદર, લાલ ચંદન, સફેદ ચંદન તથા શંખજીરૂ મેળવી તેનો બારીક પાવડર બનાવવો. ટેલ્કમ પાવડર બનાવવો. આ ટેલ્કમ પાવડરથી ખીલ, અળાઈ, પરસેવાની દુર્ગંધ વગેરે મટે છે, તથા ચામડીના દાગ પણ દૂર થાય છે.

કેન્સરની ઓળખાણ.

 – રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ.

કેન્સરને કેમ ઓળખશો ?

        કેન્સરને ઓળખવું એટલે તેના લક્ષણો જાણવા. અત્યારના કેન્સર વિજ્ઞાનમાં આ ઘણું જ અઘરું થઈ ગયું છે. ત્યા આયુર્વેદની જેમ વાયુ, પિત્ત, કફ પ્રમાણે લક્ષણો આપવામાં આવ્યા નથી જ. ત્યાં બે બાબત છે. એક તો રોગીની સામાન્ય ફરિયાદ અને તેના પછી શરૂ થાય છે, જુદા જુદા ટેસ્ટની ભરમાળ. દાખલા તરીકે એક રોગી ફરિયાદ કરે કે મને ગળે ઉતારવામાં તકલીફ છે, એટલે ગળાના કોઈ ભાગમાં કેન્સર હોવાનું માની જુદી જુદી અનેક તપાસ થાય છે. જેમાં એન્ડોસ્કોપી, બેરીયમમીલ પીવરાવીને તેના એક્સરે. જો ગાંઠ જોવા મળે તો પછી તેની ગાંઠમાંથી થોડો ટૂકડો લઈને તેની બાયોપ્સી કરવામાં આવે છે. કેન્સરની જાત નક્કી થાય છે. સામાન્ય ગાંઠ-બિનાઈન ટ્યુમર છે કે ઘાતક અર્બુદ-મેલિગ્રન્ટ ટ્યુમર છે, તે પહેલાં નક્કી થાય છે. અને પછી સારવારનો ક્રમ શરૂ થાય છે. આતો તમે સમજી ગયા કે જેમ સ્થળ જુદા તેમ લક્ષણો જુદાં. દા.ત. મળાશયમાં જાજરુના ભાગનું કેન્સર હશે તો ઝાડામાં લોહી-પરુ આવશે. ઝાડાનો સમય બદલી જશે. ફેફસાનું કેન્સર હશે તો ખાંસી, શ્વાસ, કફ સાથે થોડું લોહી આવવું, કદાચ ગાંઠ ઉપસવી વગેરે, માથાના-મગજમાં કેન્સર હોય તો માથાનો દુઃખાવો, ચક્કર આવવા, આંખે ઝાંખ આવવી, હાથપગ કે મળ-મૂત્રના ભાગ પર કાબુ ઘટવો કે લકવા થઈ જવો જેવા લક્ષણો જોવા મળે છે.

        આયુર્વેદે આ વાત જુદી રીતે કરી છે. આયુર્વેદને ઉપર બતાવ્યા તે લક્ષણો સાથે વાંધો નથી જ-આયુર્વેદ સંમત છે. આ ઉપરાંત આયુર્વેદ આ લક્ષણોને ત્રણે દોષો સાથે સાંકળે છે. દા.ત. ફેફસાંના કેન્સરમાં (પાનકોટ ટ્યુમરમાં) જે તે તરફના હાથમાં બહુજ દુઃખાવો થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ આફ્રુફૃસાર્બુદ (ફેફસાનું કેન્સર) વાતિક છે. કારણ કે પીડા છે. આવું ક્યાંયનું કેન્સર હોય, જો પીડાવાળું હોય તો તેને વાતાર્બુદ નામ આપવામાં આવે છે. આવું જ પિત્તર્બુદનું છે, તેમાં બળતરા થાય છે, તાવ આવે છે, થોડા પાણી જેવા ઝાડા થઈ શકે છે વગેરે. યાદ રાખો અત્યારના કેન્સર ઓકોલોજીમાં બતાવવામાં આવેલ ‘સાર્કોમાં’એ પિત્તાર્બુદ ગણાય, કફાર્બુદ હોઈ શકે, જો તેમાં ઠંડો સ્પર્શ, ખંજવાળ, ઓછામાં ઓછી પીડા, ભાર લાગવો જેવાં લક્ષણો જોવા મળે છે. ચરબીના કારણે જોવા મળતું કેન્સર-મેદાર્બુદમાં કફના બધાજ લક્ષણો હોય છે, ઉપરાંત શરીરમાં ચરબી વધે ત્યારે તે વધે છે અને ચરબી ઘટે ત્યારે તે ઘટે છે. આ ચાર અર્બુદો જ અમુક શરત હોય તો જરૂર મટાડી શકાય. બાકી રહેતા બે અર્બુદો, રક્તાર્બુદ અને માંસાર્બુદ. જેમાં લોહી ખરાબ થઈ તેને વહન કરનાર રક્તવાહિનીઓમાં પણ અર્બુદ પગ પેસારો કરે, તેને રક્તાર્બુદ કહેવામાં આવે છે. આ અર્બુદમાં રક્તવાહિનીઓ પર દબાણ વધે છે, તેમાં સંકોચ-ખેંચાઈ જાય છે. રક્તના સ્ત્રાવવાળો માંસનો ઉભાર જોવા મળે છે. આ શોથ ઉપર ઝડપથી વધે છે. અને ઉપરના ભાગમાં માંસના અંકૂર જોવા મળે છે. આ રોગોમાં રક્તક્ષયજન્ય પાંડુ તરત જ જોવા મળે છે.

        આવું જ માંસાર્બુદ-માંસપેશીમાં થતા કેન્સરનું છે. જો કોઈ માંસપેશી પર સતત દબાણ કે ઉત્તેજના (આયુર્વેદમાં આને ‘અર્દિત’ કહે છે) થાય તો તે માંસપેશીમાં કેન્સર થાય છે. આ કેન્સર પથ્થર જેટલું કઠણ, પીડા વિનાનું, સ્પર્શમાં સુંવાળું, આજુબાજુની ચામડીના રંગ જેવાજ રંગવાળું, ન પાકતું અને આજુબાજુના અંગો સાથે જોડાઈને હલે ચલે નહી તેવું હોય છે. આ માંસાર્બુદ-અત્યારના રેમ્બડોમાયોમા જેવા પ્રભાવવાળું બનાવવામાં આવ્યું છે, તે અસાધ્ય છે.

        હવે તમે આયુર્વેદપ્રેમી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવો છે. એટલે એક પ્રશ્ન ફરી પુછો તે શક્ય છે. આ બધા કેન્સર તો બહાર થયા હોય તો તેના ઓળખી શકાય. પણ ફેફસામાં અન્નનળી, આમાશય, મોટું આંતરડું, હ્રદય વગેરેમાં થયા હોય તેની આયુર્વેદના નિષ્ણાતોને ખબર હતી ? પ્રશ્ન અંત્યંત મહત્વનો અને તીક્ષ્ણ છે. આવા બે પુરાવા આયુર્વેદમાં છે. એક તો તેણે ગાત્ર પ્રદેશે કવચિત દોષા શબ્દ વાપરીને શરીરના કોઈપણ ભાગમાં કેન્સર થઈ શકે છે. તે બતાવ્યું છે. બીજું કેન્સર મટાડી શકાય તેમ હોવા છતાં કેટલીક સ્થિતિમાં તે ન મટે તેવું બતાવતા તે લખે છે કે હ્રદય, ફેફસાં જેવા ભાગમાં થયું હોય, અન્નનળી, મોટું આંતરડું જેવા સ્ત્રોતમાં (સોતોથ્ત) થયું હોય તો તે  મટાડી શકાતું નથી.

        આયુર્વેદમાં સ્થાનાનુસાર ઘણા કેન્સર બતાવવામાં આવ્યા છે. હોઠ પર થતું કેન્સર, ઔષ્ઠાર્બુદ, ગાલમાં થતું કેન્સર, કપોલાર્બુદ, જીહ્યા, મૂળ અને ગળામાં થતું કેન્સર ગલાર્બુદ, જીભનું કેન્સર જીહ્યાર્બુદ, નાકનું કેન્સર નાસાર્બુદ, આંખનું કેન્સર વર્માર્બુદ, કાનનું કેન્સર કર્ણાર્બુદ, લિંગનું કેન્સર લિંગાર્બુદ કેન્સર એટલે આયુર્વેદમાં સ્થાનની દ્રષ્ટિએ ઘણા નામના અર્બુદ છે.

        ઉપરાંત આયુર્વેદમાં કેન્સર સામાન્ય લક્ષણો બતાવવામાં આવ્યા છે. પછી આ કેન્સર વાત્તિક હોય, પૌત્તિક હોય કે દ્વંદ્વજ હોય. આ કેન્સર મેદ ધાતુના આધારવાળું હોય, માંસના આધારવાળું હોય કે રક્તના આધારવાળું હોય. તેના કેટલાંક લક્ષણ અચૂક હોય છે. આ લક્ષણો છે.

–          કોઈપણ કેન્સર શરૂઆત પામે ત્યારે તે ગોળાકાર હોય છે.

–          તે સ્થિર હોય છે. મતલબ કે જ્યાં તે થયું હોય ત્યાં તેની મજબૂત પકડ હોય છે.

–          મંદરુજા-તદ્દન નહિવત પીડા હોય છે. હા, વાતાર્બુદ તીવ્ર પીડા એક અપવાદ છે.

–          મહાન્ત-તેનું કદ મોટું થતું જ જાય છે. કહેવાય છે કે માનવીના માથા જેટલું કદ જોવા મળ્યાના દાખલા છે. તમે પેપરમાં તો વાંચતા જ હશો કે ફલાણા બેનના પેટમાંથી પ્ કિલોની ગાંઠ કાઢી વગેરે.

–          અનલ્પમૂલ-ન અલ્પ=અનલ્પ. જેના મૂળિયાં એકાદ બે-બે અંગ કે સીસ્ટીમમાં ન હોતા આખા શરીરમાં વ્યાપ્ત હોય-લગભગ દરેક સીસ્ટીમમાં જોવા મળે તે અલ્પ મૂલ.

–          ચિર વૃદ્ધિ-સામાન્ય રીતે આપણે આગળ બતાવ્યું તેમ-કેન્સરની ગાંઠ બીજા કોઈ ઉભારવાળા રોગો ચેપના કારણે પાકે છે. કેન્સર ભાગ્યેજ પાકે છે. અને પાકે તો ક્યારેક થોડું પરું નિકળતું જોવા મળે છે. વિચારો આજથી હજારો વર્ષ પહેલાં કેન્સરને સ્પષ્ટ બતાવવું-તેની રચનાને મોર્ફોલોજિકલ સમજાવવું તે કેટલી બધી સાધના માગી લેતું કામ હશે ? કેટલી વૈજ્ઞાનિક દ્રષ્ટિ હશે ? કેટલી સચોટતા હશે આટલું વિકસીત ઓકોલોજી પણ કેન્સરના સ્વરૂપને જે આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે-તેની ના પાડી શકે તેમ નથી.

હવે તમારો એક પ્રશ્ન હશે. આયુર્વેદમાં સાદી ગાંઠ-ગ્રંથી અને અર્બુદ કેન્સર-મેલિગ્રન્ટ ટ્યુમર બતાવ્યું છે. પણ કેન્સર ઘાતક છે, તેવું સ્પષ્ટ કેમ બતાવવામાં આવ્યું નથી ? આ તમારો પ્રશ્ન બરાબર છે. જે શબ્દ પોતે પોતાની જાતને ઓળખાવતો હોય તેને ફરી બતાવવાનું જુના જમાનામાં પ્રચલન ન હતું. વધુ સ્પષ્ટ કહું તો એકલો ‘અર્બુદ’ શબ્દ જ ઘણું બતાવી જાય છે. અર્બુદમાં બે શબ્દો વ્યુત્પત્તિની દ્રષ્ટિએ છે. વ્યુત્પત્તિની એટલે શબ્દની રચના સમજાવતું વિજ્ઞાન. અર્બુદમાં અર્બ+ઉદ છે. અર્બ શબ્દ હિંસાના અર્થમાં-મારી નાંખવાના અર્થમાં છે-અર્બહિંસાયામ્ ! અને ઉદ્ એટલે ઉત્પતિના અર્થમાં છે. જે રોગ મારી નાખવા માટે ઉત્પન્ન થાય તે જ અર્બુદ. આમ અર્બુદ એટલે ઘાતક કેન્સર જ. વાત થોડી આડા પાટે ચલાવીને પણ તમને એક ઐતિહાસિક માહિતી આપવા માંગુ છું. જુના જમાનામાં અર્બ-સૈનિકના અર્થમાં પણ વપરાતો. કારણ કે સૈનિક મારવાનું કામ કરે છે.

શ્રીકૃષ્ણના કુટુંબના ઝઘડા બહુ હતા. અનિરૂદ્ધ ફરતો ફરતો ગલ્ફ દેશમાં ગયો. રાજકુમાર હતો એટલે આ વિસ્તારમાં રાજ સ્થાપવાનું વિચાર્યું. રાજ્ય સ્થાપવા માટે તો સૈન્ય જોઈએ. એટલે તેણે ભારતમાંથી હિન્દ મહાસાગરના માર્ગે સૈનિકો બોલાવવા શરૂ કર્યા. આ સૈનિકો ત્યારે અર્બ તરીકે ઓળખાતા. એટલું જ નહીં ત્યાંની સ્થાનિક પ્રજા તેને અરબ કહેતી. આમ આજની અરબ પ્રજા એ મૂળ ભારતીય સૈનિકો જ છે. જેને અનિરૂદ્ધ ભારતમાંથી સૈન્ય તરીકે લઈ ગયો હતો અને આ સૈનિકો હિન્દ મહાસાગરના જે ભાગમાંથી ગયા હતા, તે બહુ વપરાશના કારણે અરબ સમુદ્ર કહેવાવા લાગ્યો. આનો બીજો પુરાવો છે કે હજુ તેલ નહોતું મળ્યું તેટલા વર્ષ પહેલાં ૫૦-૬૦ વર્ષ પહેલાં અરબો માત્ર લડવાનું જ કામ કરતા, ભારતના ઘણા રાજ્યોમાં આરબ ‘આરબની બેરખ’ તરીકે સૈનિકોનું જ કામ કરતા. આ જ આરબો આજે પેટ્રો ડોલરના કારણે વિકાસ બની ગયા. મૂળ તેઓ ભારતીય છે.

અરબ સો કરોડ માટે પણ છે. ભારતીય વૈજ્ઞાનિકોને એ પણ ખબર હતી કે કેન્સર કોષો હજારોની સંખ્યામાં હોય છે. અને તેથી આ ગાંઠ વધતી જ જાય છે.

અર્બુદનો ત્રીજો અર્થ માઉન્ટ આબુ છે. આબુ જુના જમાનામાં અર્બુદગિરી તરીકે ઓળખાતો. તેની રચના બહુજ વિષમ હોવાથી કેન્સરની ગાંઠની સરખામણી આ પર્વત સાથે કરવામાં આવી છે. હવે જો તમે પર્વત-ડુંગરની રચનાને જુઓ તો અર્બુદ કેન્સરની ગાંઠની રચના કેવી છે, તે બહારથી પણ ખબર પડે. જેમ કે

–          પર્વતની જેમ કેન્સરની ગાંઠ રચનામાં વિષમ હોય છે.

–          ભૂગોળના નિયમ પ્રમાણે પર્વત જેટલો ઉપર તેટલો જ નીચે હોય છે. કેન્સરની ગાંઠ પણ ઊંડા મૂળવાળી હોય છે.

–          રચનામાં પથ્થર જેવી કઠણ હોવાથી કેન્સરની ગાંઠ ‘સ્ટોનીહાર્ડ’ કહેવાય છે. એટલે આયુર્વેદમાં અર્બુદ (માંસાર્બુદ) ને ‘અશ્મવત્’ પથ્થર જેવી બતાવવામાં આવી છે.

–          પર્વતની માફક સ્થિર (દ્રઢ) હોવાથી કેન્સરની ગાંઠ તેની જગ્યાએથી ચાલતી નતી. ઈમ્મોબાઈલ છે.

–          ઊંડા મૂળવાળો હોવાથી પર્વત જેમ ઉખેડીને કાઢી શકાતો નથી. કેન્સર-અર્બુદની ગાંઠનો નાશ કરી શકાતો નથી.

તમારા ખ્યાલમાં હવે આવ્યું હશે કે કેન્સર-અર્બુદનું આયુર્વેદમાં કેટલું અગાધ વર્ણન છે. અને તેથી ભારતની પ્રજા સંસ્કૃતનું જ્ઞાન હોય જેમ તમારે જાનકી શબ્દનો અર્થ નથી સમજાવવો પડતો, દાશરશિનો અર્થ નથી સમજાવવો પડતો, વાસુદેવનો અર્થ નથી સમજાવવો પડતો. આ શબ્દો જ સ્વયં સ્પષ્ટ છે અને પોતાની વાત પોતે જ કહે છે. જાનકી એટલે જનક રાજાની પુત્રી, દાશરશિ એટલે દશરથ રાજાનો પુત્ર રામ અને વાસુદેવ એટલે વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ. કેવી વૈજ્ઞાનિક ભાષા છે ? તમે એમ નહીં સમજશો કે આવા નામોની પરંપરા આપણે ત્યાં જ છે. બધે જ છે. અંગ્રેજીમાં પણ ડેવિડસન એટલે ડેવિડનો છોકરો. પણ આ લોકો પાસે સંસ્કૃત જેવી સમૃદ્ધ ભાષા ન હોવાથી તેઓના રૂપો આપણા જેવા સુગમતાવાળા નથી. આમ કેન્સર માટે મેલિગ્રન્ટ જેવો શબ્દ ઉમેરવાની આયુર્વેદને જરૂર નથી.

સાધ્યાસાધ્યત્વ-પ્રોગ્નોસોસીસઃ-

        કેન્સર મટે છે, ખરું ? બીજા શબ્દોમાં કેન્સર મટે તેવું-સાધ્ય છે કે ન મટે તેવું અસાધ્ય છે ? કેન્સર થયા પછી બચી ગયાના આંકડા તો સ્પષ્ટ બતાવે છે કે કેન્સર મટાડવું મુશ્કેલ છે. કારણ બહુ સરળ છે. કેન્સર એ કોઈ જગ્યાએ થયેલ ગાંઠ નથી જ. અલબત્ જ્યાં વધુ ખરાબી ત્યાં તે જોવા મળે છે. પણ તેનો અર્થ એ નથી કે તમે જ્યાંથી કાપ્યું તે ત્યાં જ હતું. પણ આ અગત્યનું નથી. અત્યારની ત્રણ જુનવાણી સારવાર-હા, આપણે જેને મોડર્ન કહીએ છીએ, તેને પશ્ચિમમાં લોકો ઓર્થોડોક્ષ કહે છે. સારવાર પછી તે સર્જરી-વાઢકાપ હોય. કીમોથેરાપી-એન્ટી કેન્સર દવાઓ અપાતી હોય કે પછી રેડિએશન-શેક હોય કેન્સર દૂર કરવાનું કામ કરે છે. સાથો સાથ કેન્સર કરવાનું કામ પણ છે, એટલે હું આને બેધારી તલવાર કહું છું. બે ધારી આગળ-પાછળ એમ બંને જગ્યાએ વાગી શકે છે. આ બાબતને થોડી વિગતથી જોઈએ.

        વાઢકાપ અથવા સર્જરી કેન્સરના કોષોને કાપે ત્યારે ત્યાં હાજર રહેલ લોહીની નળીઓ અને લસિકાવાહિનીઓ પણ કપાય છે. આ ખુલ્લા થયેલા બંને માર્ગોમાં કેન્સરના કોષો પ્રવેશ મેળવે છે. અને અન્ય જગ્યાએ આ કોષ અનાજના બીજની માફક ઉગી નીકળે છે અને તે ત્યાં અડીંગો જગાવે છે. આને અર્ધ્યર્બુદ-સેકન્ડરી મેટાસ્ટેસીસ કહે છે. તો કીમોથેરાપિ પણ ઝેરી રસાયણ જ છે. તે પોતે કેન્સર કોષોનો વિનાશ કરે છે, તેમ નોર્મલ કોષોમાં પણ વિકૃતિઓ કરે છે. આ વિકૃતિઓમાં કેન્સર પણ એક હોય શકે.

        રેડિએશન વીશે તો અત્યારે સામાન્ય જ્ઞાન ધરાવનારને ખબર છર કે તે કેન્સર કરનાર પદાર્થથી કેન્સર મટાડી શકાય છે. એક્સરે રેડિએશન, સોલર રેડિએશન જેમ કેન્સર કરનાર છે તેમ રેડિએશન પોતે કેન્સર કોષોને બાળે છે, પણ પ્રાકૃત કોષોમાં કેન્સરના બીજ રોપી દે છે. આમ આજની ત્રણે ત્રણ સારવાર કેન્સર પર લગભગ નકામી થઈ ગઈ છે. હા, જ્યારે આઈએસટી-ઈમ્યુનો સ્ટીમ્યુલન્ટ થેરાપી અજમાવવામાં આવે તો તે ચોક્કસ પરિણામદાયી બની શકે. ઈમ્યુનિટિનો હાસ થવાનો કેન્સરમાં પાયાની વિકૃતિ છે. ત્યારે ફરી કિમોથેરાપિ અને રેડિએશન વધુ ઈમ્યુનિટિનો નાશ કરે છે. માત્ર આયુર્વેદ ક મદદ કરી શકે. જેનો વિચાર સારવારમાં કરીશું. આમ અત્યારે તો કેન્સર અસાધ્ય જ છે.

આયુર્વેદ શું કહે છે ?

        આપણે ઉપર જોયું તેમ કેન્સરના મૂર્ધન્યનિષ્ણતો-ઓકોલોજિસ્ટ તો સ્પષ્ટ માને છે કે કેન્સર મટતું નથી જ જે કંઈ સારવાર છે, તે થિગડા જેવી છે. થોડાસમય માટે પરિણામ દાયક દેખાય છે. હા, બીજો વર્ગ અને નિષ્ણાતો-જેઓ સંશોધનમાં લાગ્યા છે તેઓ માને છે કે ભવિષ્યમાં કેન્સરને સાધ્ય બનાવી શકાશે. પણ વ્યવહારમાં આજે તો ઉપર બતાવી તે જ સ્થિતિ છે. એટલું જ નહીં કેન્સરના નામે અબજો ડોલર સંશોધનમાં ખર્ચવામાં આવે છે. પણ કોઈએ તેના વર્લ્ડક્લાસ નિષ્ણાતને પૂછયું હતું કે આ તમે આ આંતરડાના કેન્સરને કાપો છો પણ તમને જ આ કેન્સર થાય તો શું કરો ? તેનો જવાબ હતો હું ઓપરેશન ન જ કરાવું.

        આયુર્વેદ સાધ્યાસાધ્યમાં વિશ્વના કોઈ પણ ચિકિત્સા જગતથી આગળ છે. એટલે કે કેન્સર-અર્બુદના છ પ્રકારો – વાતાર્બુદ-પિતાર્બુદ, કફાર્બુદ, મેદાર્બુદ, રક્તાર્બુદ અને માસાંર્બુદમાં પાછલા બે તો થતાં જ અસાધ્ય છે. જ્યારે આગલા ચાર સાધ્ય છે. પણ આ સાધ્ય અર્બુદો પણ કેટલીક શરતો સાથે જ સાધ્ય છે. જેમ કે ઉપર બતાવેલ ચાર કેન્સરો-અર્બુદોમાં જો સ્ત્રાવ થતો હોય, તે હ્રદય, ફેફસાં, મગજ, કીડની જેવા મહત્વના અંગો (મર્મ-વાઈટેલ ઓર્ગનમાં થાય કે અંદરના માર્ગો (અન્નનળી, આમાશય, મોટું આંતરડું, નાનું આતરડું વગેરે)માં થાય અને થતાંની સાથે આજુબાજુના અંગોમાં જોડાયેલ હોય અને એક સ્થળે થયા પછી અન્ય સ્થળે-અધ્યર્બુદના રૂપમાં જોવા મળે તો સામાન્ય રીતે તે અસાધ્ય ગણાય છે. આમ વ્યવહારમાં મળતાં લગભગ બધાં જ અર્બુદ-કેન્સરો અસાધ્ય સ્વરૂપનાં જ જોવા મળે છે. કારણ ? કારણ બહુ જ સ્પષ્ટ છે. પી.એ.હર્ઝન કરીને એક નિષ્ણાતે આ કારણ બતાવ્યું છે. તે કહે છે. કેન્સરનું નિદાન થયા પછી દર્દી અને ડૉક્ટરની મનોદશા ભ્રમિત થઈ જાય છે. અને બીજા એવા ડ્રાસ્ટીક એકશન લે છે અને કહે છે, કાપીનાખો, બાળીનાખો અને તેનો નાશ કરી નાખો. અંગ્રેજીમાં કટ ઈઝ આઉટ, બર્નઈટ આઉટ અને ડીસ્ટ્રોય ઈટ એમ કહેવાય છે. બીજા શબ્દોમાં રોગી કાંતો સર્જરી કરાવીને, તરણોપાય-છેલ્લા ઉપાય તરીકે આયુર્વેદને શરણમાં આવે છે. એટલે આયુર્વેદમાં બતાવવામાં આવી તેવી અસાધ્ય અવસ્થાજ હોય છે અને છતાં વ્યવહારમાં આયુર્વેદ ઘણું કરે છે. સારવારની શ્રેષ્ઠ રીત આપણે સારવારમાં જોઈશું.                           

 

કેન્સર એટલે શું ?

રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ

તમને જાણીને નવાઈ લાગશે, પણ એ હકીકત છે કે કેન્સરની સ્પષ્ટ વ્યાખ્યા હજુ સુધી ઉપલબ્ધ નથી. કેન્સર અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘આંતરરાષ્ટ્રીય કેન્સર શોધ સંસ્થાન’-ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (આઈ.એ.આર.સી) લિયોન્સ નામના શહેરમાં આવી છે. આ શહેરમાં જ આજથી બરાબર બસો વર્ષ પહેલાં ત્યાંની અકેડમીએ ‘વોટ ઈઝ કેન્સર’ પર એક હરીફાઈ રાખી હતી. તેમાં ઉત્તમ જવાબ આપનાર હરીફ બર્નોર્ન પેરીલે જે આપ્યો હતો તે આજે પણ સાચો જ છે. તેનો જવાબ હતો, ‘કેન્સર એટલે જેની વ્યાખ્યા અને સારવાર બંને મુશ્કેલ છે એવો રોગ’.

તમે મસા, રસોળીની ગાંઠ, હાથપગના ઘસાતા ભાગોમાં જોવા મળતાં ડંખ જોયા છે. તે જેમ પોતાની જગ્યાએથી ઉપસીને વધેલા જોવા મળે છે, તેવું જ કેન્સરની ગાંઠમાં હોય છે. ફરક માત્ર એટલો કે મસા, રસોળીની ગાંઠ અને ડંખ એક મર્યાદા પછી વધતા અટકી જાય છે. જ્યારે કેન્સરની ગાંઠ અમર્યાદિત વધે જ જાય છે. એટલું જ નહીં સામાન્ય ગાંઠ અને કેન્સરની ગાંઠ વચ્ચે બીજા પણ કેટલાક ફેરફાર છે, જેમ કે,-

સામાન્ય ગાંઠ

  • બહુ ધીમે ધીમે વધે છે.
  • વધે તેમ આજુબાજુની રચનાને બાજુમાં ખસેડે છે.
  • પોતાનું એક આવરણ હોય છે.
  • મર્યાદિત જ વધે છે.
  • જે કોષોમાં ગાંઠ થાય તે જ તેમાં છેક છેલ્લે સુધી જોવા મળે છે.
  • મૂળ કોષો જ રહેતા હોય તેના સ્થાનિક કાર્યમાં કોઈ ફેરફાર થતા નથી.
  • કોષોનું વિભાજન મૂળ ગતીથી જ આગળ વધે છે.

કેન્સરની ગાંઠ

  • ઝડપથી વધે છે.
  • વધે તેમ આજુબાજુની રચનાનો નાશ કરે અને તેમાં ફેલાય છે.
  • કોઈ આવરણ હોતું નથી.
  • અમર્યાદિત વધે છે. કેન્સરની ગાંઠ માણસના માથા જેટલી વધે છે.
  • જે કોષોમાં થયું હોય તેના બદલે આગળ જતાં કોષો બદલી જાય છે.
  • કોષોમાં ફેરફાર થતો હોય ક્રિયામાં પણ જેમ કે થાઈરોઈડ ગ્રંથી વૃષણનો સ્ત્રાવ ટેસ્ટોસ્ટીરોન ઉત્પન્ન કરવા માંડે છે.

થોડુંક વધું સમજીએ. બાળક જન્મે છે, કિશોર બને છે, યુવાન બને છે, પૌઢ અને છેલ્લે વૃદ્ધ       થઈને મરી જાય છે. આ ગાળા દરમિયાન જન્મથી મળેલા મૂળ કોષો વધુમાં વધુ પચાસ વખત વિભાજીત થાય છે. જેમ એક કાગળના તમે ટૂકડા કરતા રહો અને પછી આગળ વધુ ટૂકડા ન થઈ શકે તેમ. પણ કેન્સરના કોષો અંતરહિત વિભાજીત થતા જ રહે છે. તમે ઉધઈવાળો રાફડો જોયો છે ? હા, પણ તમે ઉધઈને કામ કરતા નથી જોઈ ? આ એક જાતની કીડીઓ જ છે. તેઓનો સમૂહ હોય છે અને સમૂહને કામ વહેંચવામાં આવ્યું હોય. તેઓ આ કામ એકધારી રીતે પાર પાડે છે. પણ તેની એક રાણી હોય છે. તે માત્ર ખાય છે અને બચ્ચા પેદા કર્યે રાખે છે. આ બધાઓને કામ અંગે કોઈ માહિતી હોતી નથી. તેઓ એટલા બધા વધી પડે છે અને બધે ફેલાય છે કે પેલા બિચારા કામઢાઓનું કામ રઝળી પડે છે. બધી જ અવ્યવસ્થા ઊભી થાય છે. કેન્સરના કોષો બસ આવું જ કરે છે.

તમે હિમશીલા વિશે કેટલું જાણો છો ? હિમશીલા દરિયામાં તરતી હોય છે. ૭/૮મો ભાગ પાણીમાં ડૂબેલો હોય છે. જ્યારે ૧/૮મો ભાગ જ તમે જોઈ શકો છો. કેન્સરનું કંઈક આવું જ છે. છતાં એટલું ચોક્કસ છે કે તે આટલો સમય ગુપસુપ આગળ વધે છે. રોગીને કોઈ જ ફરીયાદ થવા નથી દેતું. પણ જેવું તે ૧/૮મો ભાગ બહાર આવ્યો કે તેની વધવાની ઝડપ બહુ ઝડપી બને છે. ઉપરાંત અવરોધો ઊભા કરે છે. છેલ્લે કેન્સરના કોષો અન્ય સ્થળે, ‘બીજ’ની જેમ ફેલાવે છે. બીજા કોઈ રોગમાં આ શક્તિ નથી. એટલે કેન્સર હોય છે વૃષણનું, ગાંઠ દેખાય છે. ગળામાં, કેન્સર હોય છે, જીભના મૂળમાં અને ગળાની પડખે ગાંઠ દેખાય છે. કેન્સર ફેફસામાં હોય, પાંસળીમાં તેની બીજી ગાંઠો થાય છે. બીજોને કેન્સર સેલને લઈ જાય છે લીમ્ફ-લસિકા અને લોહી.

આયુર્વેદમાં સામાન્ય ગાંઠ મોટી થાય, મટાડવી મુશ્કેલ બને ત્યારે તે અર્બુદ કહેવાય છે. એટલું જ નહીં શરીરના કોઈપણ ભેમાં તે થઈ શકે છે. આયુર્વેદમાં બતાવેલ કારણોથી ત્રણે દોષો – વાયુ, પિત્ત અને કફનો પ્રકોપ થાય છે. આ દોષો માંસ અને લોહીને ખરાબ કરીને જે ન મટે તેવી ગાંઠ કરે છે. તેને અર્બુદ કહે છે. ટૂંકમાં આયુર્વેદમાં કેન્સર કોને કહેવાય – અર્બુદ કોને કહેવાય તેનૌ સ્પષ્ટ વ્યાખ્યા હતી.

પ્રકારો

      કેન્સરના પ્રકારો અનેક રીતે પાડવામાં આવ્યા છે. ખરેખર તો આ ગાંઠોના પ્રકારો છે. એટલે આ ગાંઠ મૃદુ (બીનાઈન) હોઈ શકે અને દારૂણ (મેલિગ્રન્ટ) પણ હોઈ શકે. યાદ રાખો મૃદુ (સાદી ગાંઠ) દારુણમાં ફેરવાઈ શકે છે, પણ એક વખત દારુણ ગાંઠ સ્પષ્ટ થયા પછી તે મૃદુમાં ફેરવાઈ શકતી નથી.

        બીજો પ્રકાર તે ક્યાં થયું છે. કઈ ધાતુમાં તેનાં મૂળિયાં છે, તેનાં આધારે આ પ્રકારો છે. આ પણ બે પેટા વિભાગમાં વહેંચાઈ જાય છે. જેમાં એક છે એપિથેલિયલ કોષોમાં થનારું કેન્સર અને બીજું સંયોજક ધાતુ – કનેકટીવટીસ્યુમાં થયેલ કેન્સર. પહેલિ પ્રકાર વધુ ધાતુ અને કોષોમાં ફેલાયેલો હોય ત્યાં વધુ કેન્સર થતાં જોવા મળે છે. આમાં ચામડીનું કેન્સર, માંસનું, મ્યુકસમેંબ્રેઈન સાથે જોડાયેલ અંદર થતાં કેન્સરનો આમાં સમાવેશ થાય છે. આ પ્રકારનાં કેન્સર કાર્સિનોમાં તરીકે ઓળખાય છે. તો સંયોજક ધાતુ-કનેકટીવ ટીસ્યુના કેન્સર હાડકાં, તરૂણાસ્થિ (કાર્ટિલેજ) અને સ્નાયુઓમાં થતા જોવા મળે છે. આ કેન્સરનો પ્રકાર ‘સાર્કોમા’માં કરીકે ઓળખાય છે. તમે આનંદ પિક્ચરમાં રાજેશ ખન્નાને થયેલું કેન્સરએ આંતરડાનું લીમ્ફોસાર્કોમા હતું.

                યાદ રાખો કાર્સિનોમા એ સામાન્ય રીતે પ્રૌઢ અને વૃદ્ધ વ્યક્તિઓનો રોગ છે. જ્યારે સાર્કોમા યુવાન વ્યક્તિનું કેન્સર છે. બીજું આપણે ઉપર જોયા તો ફેરફારો બીનાઈન ટ્યુમર અને મેલિગ્રન્ટ ટ્યુમર એકજ સ્થળના હોઈ શકે. તે વખતે તેના નામમાં મેલિગ્રન્ટ ઉમેરીને તે દારુણ કેન્સર છે તેમ બતાવવું પડે છે. જેમ કે એડીનોમાએ ગ્રંથી પ્રધાન કેન્સર છે. જ્યારે ત્યાનું કેન્સર એડીનોમાને બદલે મેલિગ્રન્ટ પ્રકારનું થાય તો એડીનો કાર્સિનોમા કહેવાય છે. કારણ કે એડિનોમા સાદી ગાંઠ છે. આવું જ પેપિલોમાં સાદી ગાંઠ પણ તે મેલિગ્રન્ટ હોય તો પેપીલરી એડીનો કાર્સિનોમા કહેવાય છે.

        ત્રીજો પ્રકાર શરીરમાં ગમે ત્યાં થતા કેન્સરો-ગમે ત્યાં થઈ શકે તેવાં કેન્સરો અને ચોક્કસ જગ્યાએ થતાં ચોક્કસ કેન્સરનો છે. આપણે હમણાં જેના ઉદાહરણો આપ્યાં તે એપિથેલિયલ કોષોમાં ગમે ત્યાં થનારા કેન્સર છે. તો એડીનો લીમ્ફોમાંએ લાલાસ્ત્રાવી ગ્રંથીએનું સાદું કેન્સર છે, જ્યારે આ જ જગ્યાનું મેલિગ્રન્ટ કેન્સર સીલીન્ડ્રોમા છે.

        આયુર્વેદ આ બાબતમાં સ્પષ્ટ છે પણ એટલું સ્વીકારવું પડે છે કે તેમાં મર્યાદાઓ પણ છે. જેનો ઉલ્લેખ આપણે સારવારમાં કરીશું. આ નિષ્ણાતોએ ચાર બાબતને નજર સમક્ષ રાખીને વર્ગીકરણ કર્યુ છે. જેમકે કેન્સર-અર્બુદ શરીરના ગમે તે ભાગમાં થઈ શકે છે. ૨. વાતાદિ ત્રણ દોષો અને રક્તાદિ ધાતુઓના જોડાણવાળા કેન્સર જોવા મળે છે. ૩. શરીરના બહુ મહત્વ-વાઈટેલ પ્લેસીસ-મર્મમાં થાય છે. અને ૪. આભ્યંતર અંગોસ્ત્રોત્થ-અન્નનળી, શ્વાસનળી, ફેફસાં વગેરેમાં થાય છે. તેમણે છેલ્લા બે પ્રકારને અસાધ્ય ગણ્યા છે. પહેલાં પ્રકારના છ અર્બુદો-કેન્સર છે. વાતાર્બુદ, પિત્તાર્બુત, કફાર્બુદ, મેદાર્બુદ, રક્તાર્બુદ અને માંસાર્બુદ. અઅ વર્ગના આગલા ચાર મટાડી શકાય તેવા છે. જ્યારે છેલ્લા બે મટાડી ન શકાય તેવા છે. અહીં રક્તથી એપિથેલિયલ પ્રકાર અને માંસ ધાતુથી કનેકટીવટીસ્યુ સંયોજક ધાતુઓના બે પ્રકાર છે એટલે રક્ત ધાતુની દ્રષ્ટિથી તેઓ  બે કામ બતાવ્યા છે. એક તો બધી આસ્તર સ્થળો ચામડી, મ્યુક્સ મેમ્બ્રેનનો સમાવેશ કરી કાર્સિનોમાનો અને માંસ ધાતુને બતાવીને સંયોજક ધાતુ કનેકટીવટીસ્થુના કેન્સર એવા સાર્કોમાની વાત કરી છે. ઉપરાંત એક બીજી સિદ્ધિ પણ મેળવી છે. રક્તની દ્રષ્ટિનો તેને વહન કરનાર રક્તવાહિનીઓનું જો કેન્સર હોય તો તેને પ્રથમથી જ અસાધ્ય બતાવવામાં આવયું છે. એન્જીઓમા-હેમીજીઓમા કે બ્લડ કેન્સર અસાધ્ય છે. તો સામે પક્ષે માંસ ધાતુ-સંયોજક ધાતુઓના કેન્સરો વ્યવહારમાં અસાધ્ય જ બતાવવામાં આવ્યા છે.

        યાદ રાખો દરેક વિજ્ઞાનને પોતાનાં વર્ગીકરણ હોય છે. આયુર્વદને પણ કેન્સર અંગે પોતાનું વર્ગીકરણ છે. તો ઓકોલોજીમાં કેન્સર ફેલાવાના ચાર પ્રકાર બતાવ્યા છે. જેમકે એક્સપાન્સિવ માત્ર ફેલાતું અને અંદર આગળ ન વધતું, એક્ઝાફેટિવ કાંઠે કે પોલાણમાં થતું અને એન્ડોફેટિક આગળથી બહારની રચના પર થતું.

શરીર સૌંદર્ય માટે પુષ્પો

જૂઈ ચમેલી

      ચમેલીના ફૂલો આંખના રોગો, માથાનો દુઃખાવો, કાળાદાગ, ફ્રેકલ્સ, પીગમેન્ટેશન, ખીલ, વાઢિયા, લોહીવા, રતવા, આંખો આવવી, ટાલ, ઉંદરી તથા અન્ય ઘણાં રોગોમાં ઉપયોગી છે.

  • ચમેલીના પાન ચાવવાથી દાંત મજબૂત અને સુંદર બને.
  • ચમેલી કે જૂઈના ફૂલ, ચંદન, હળદર, મસૂર દાળને દૂધ સાથે વાટી લેપ કરવાથી ખીલ મટે છે.
  • ચમેલી કે જૂઈ ફૂલ, પાન, મહેંદી, આંબળા, ભાગરો, શંખપુષ્પી, દાડમછાલ, લીમડા પાન, કેરીની ગોટલી, કમળના પાન વગેરેનો પાવડર + નારીયેળ પાણી કે આંબળાના રસમાં લેપ તૈયાર કરી વાળ માટે ઉત્તમ હેરપેક તૈયાર થાય છે. ખુજલી, ઉંદરી, ટાલમાં ફાયદો કરે છે.
  • ચમેલી ફૂલ, કપૂર કાચલી, ચારોળી, લોધર, હળદર, અરીઠા પાવડર દૂધ સાથે કે પાણી સાથે મીક્ષ કરી નહાવાથી ત્વચા ફાટતી નથી અને સુંવાળી સુંદર બને છે.
  • ત્વચા પર ખંજવાળ આવતી હોય તો આના ફૂલોને પાણીમાં વાટી તેનો લેપ કરવો.
  • ચમેલીના ફૂલનો પાવડર, ચંદન, હળદર, ચણાના લોટનું પેસ્ટ બનાવી નહાવાથી ત્વચા સુંવાળી, ફોડલી, દાગ રહિત ગોરી બને છે.
  • ચમેલી ફૂલ, ગુલાબના ફૂલ, ગોપીચંદ, લીમડા પાન, અરીઠા પાવડર બનાવી ન્હાવાથી અળાઈ, ગરમી મટી કાળા દાગ – ધબ્બા, ખુજલી મટી ત્વચા સુંદર બને છે.
  • ચમેલી ફૂલ, જૂઈના ફૂલ, ગુલાબના ફૂલ, મજીઠ દહીં સાથે કે દૂધ સાથે વાટી કાળા કે ફાટી ગયેલા હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી, સુંદર બને છે.
  • જૂઈ ફૂલ, ચમેલી ફૂલનો રસ લગાડવાથી ખીલ-ખંજવાળ મટે છે.
  • ચમેલી ફૂલ તથા પાન, જૂઈના ફૂલ તથા પાન, હળદર, સરસવ, જેઠીમધ, આંકડા પાનનો રસ, તલ તેલમાં કે ઘીમાં ઉકાળી મલમ બનાવી પગના તળિયા, એડી પર લગાડવાથી વાઢિયા મટે તથા એડી કમળ સમાન સુંવાળી-સુંદર બને.
  • જૂઈ-ચમેલીના ફૂલો તેલમાં ઉકાળી કે તેને વાટી તેનો લેપ લગાડવાથી વાળની રૂક્ષતા મટી ટાલ-ઉંદરીમાં નવા વાળ આવે છે.
  • આ ફૂલ શરીરની ગરમી, પેશાબની બળતરા, ખીલ, ખંજવાળ, પરસેવાની ગંધ મટાડે છે.
  • ત્વચાની રૂક્ષતા, ઘા, પગના વાઢિયા મટાડી રૂક્ષત્વચાને સુંવાળી તથા ગોરી બનાવે છે. 

                                                         કમળ

કમળ લક્ષ્મીજીનું આસન છે અને લક્ષ્મીજીનું પ્રિય ફૂલ છે. યોગશાસ્ત્રમાં પણ તેનું ખૂબ ઉંડુ મહત્વ છે. તે કીચડમાં ઉગી આપણને ઘણું શીખવાડે છે.

  • મુખ્ય તો કમળ રક્તવિકારો, પિત્તના રોગો, હ્રદયના વધેલા ધબકારા, કોલેરા, હર્પિસ, ઝાડા, બળતરા, માથાનો દુઃખાવો, વધુ બ્લીડીંગ થવું વગેરે મટાડે છે. વાળ અને ત્વચા માટે ઉત્તમ સૌંદર્ય વર્ધક છે.
  • લોહીવિકાર – ગરમી – દાહઃ આના ફૂલ ઠંડા પાણીમાં પલાળી સવાર – સાંજ પીવું.
  • હ્રદયના ધબકારાઃ ધબકારા નિયમિત કરવા માટે કમળના ફૂલનો ઉકાળો કે ફાંટ (ફૂલને રાત્રે પલાળી સવારે પીવું) કે ફૂલનો રસ કે તેનું ચૂર્ણ મધ સાથે પીવું.
  • દૂઝતા હરસ – એસિડીટી – દાહઃ ફૂલના વચ્ચેના પીળા કે સફેદ તાંતણા મધ + સાકર સાથે ખાવા
  • આંખના રોગોઃ ફૂલના ટીપાં આંખમાં નાંખવા, ફૂલનો ઉકાળો પીવો, ફૂલનો મુરબ્બો રોજ ખાવો.
  • બાળકોના ઝાડાઃ ફૂલનો ઉકાળો કે રસ પાવો. આયુર્વેદમાં બાળકો માટે ઉત્તમ અરવિંદાસવ કમળના ફૂલમાંથી જ બને છે.
  • વધારે બ્લીડીંગ કે વારંવાર એબોર્શન થતું હોય તો લાલ કમળનું ફૂલ રાત્રે પલાળી વાસણ ચાંદનીમાં મૂકી સવારે તે પાણી રોજ પીવું
  • તાવ – બેચેની કે બબડાટમાં ફૂલનો પાણીમાં લસોટી હ્રદય તથા માથા પર લેપ કજવો.
  • ઓરી – અછબડા – એસિડીટી, બળતરા, લોહીવા, ચક્કર, લૂ લાગવી, માથાનો દુઃખાવો વગેરેમાં આનું શરબત ૧૦ થી ૩૦ ગ્રામ સુધી પીવું.
  • કમળનું શરબતઃ ખડી સાકર ૫૦૦ ગ્રામની ચાસણી કરી તેમાં કમળના ફૂલનો રસ ૧ લીટર નાંખી ઉકાળી શરબત તૈયાર કરી તેમાં એલચી નાંખી બોટલો ભરી લેવી. 

                                                       બ્યુટી માટે

  • ઠંડુ હોવાને કારણે ખીલ, ફોડલી, અળાઈઓ, સફેદ વાળ, ત્વચા પરના કાળા દાગ – કુંડાળા, આંખોની લાલાશ – બળતરા વગેરે મટાડે છે.
  • કૂંડાળા – પીગમેન્ટેશન – કાળા દાગ વગેરે માટે કમળ, લાલ ચંદન, ખસખસ, ચારોળી નો દહીં સાથે લેપ કરવો તથા કમળના પાન + ગુલાબ પત્તી + ખસ + સંતરા છાલ + લીંબુ છાલ + હળદર વગેરેનો પાવડર બનાવી ન્હાવાથી કે તેનો લેપ કરવાથી દાગ – ધબ્બા – ખુજલી વગેરે મટી ત્વચા ગોરી – સુંવાળી – સુંદર બને છે.
  • રીંકલ્સ – કરચલીઓ તથા બાળકોને માલીશ માટેઃ કમળના દાંડા, કમળ કેસર, કમળ પુષ્પ, પદમક છાલ, શ્રીપર્ણી, અશ્વગંધા, શતાવરી વગેરે ને પાણી તથા દૂધ નાંખી તેલ ઉકાળી બનાવવું તથા તેનાથી હળવા હાથે માલીશ કરવું
  • કમળકંદ, કમળ ફૂલ, નીલપુષ્પ, જટામાંસી, તલ, બ્રામી, રતાંજલી, સફેદ ચણોઠી, કેરી ગોટલી, આમળા, ભાંગરાનો પાવડર તલ તેલમાં ઉકાળી તેલ બનાવી વાપરવાથી ખરતા વાળ અટકી વાળ લાંબા, સુંવાળા સુંદર બને છે. સફેદ વાળ કાળા થાય છે.
  • દૂધ + કાળા કમળના ફૂલ વાટી લેપ કરવાથી સફેદ વાળ કાળા થાય છે.
  • નીલ કમળ, સફેદ કમળ, ચંદન, ખસખસ, લોઘ્રને દહીં સાથે વાટી ત્વચા પર લેપ કરવાથી કાળા દાગ, આંખની આજુબાજુના કાળા કુંડાળા મટી ત્વચા ગોરી, કાંતિયુક્ત, કમળ જેવી મુલાયમ બને છે.
  • કમળ ફૂલ, કમલદંડ, જટામાંસી, લીંડી પીપર, અશ્વગંધા, માલ કાંકણી બી, અઘેડા બી, ફટકડી વગેરે નો પાવડર દૂધ સાથે રાત્રે સ્તન પર લગાડવાથી ઢીલા સ્તન પુષ્ટ, કઠણ, સુંદર બને છે.
  • બોગન ફૂલનો ઉકાળો પીવાથી મેદવૃદ્ધિમાં પરિણામ મળે છે.
  • પારિજાતકના ફૂલ + જાસૂદ ફૂલ + લીમડા પાન વાટી લેપ લરવાથી ખોડો – ખુજલી મટે છે.
  • મોગરાના ફૂલની પેસ્ટ થી રીંકલ્સમાં ફાયદો થાય છે.
  • આજકાલ ફ્લાવર રેમેડિઝ, એરોમાથેરપી વગેરે કેટલાયે પ્રકારની થેરપી સૌંદર્ય માટે છે. જેને આધુનિક સંશોધન કહે છે. જ્યારે આયુર્વેદમાં તો હજારો વર્ષોથી અનેક ફૂલો દ્વારા સૌંદર્યવૃદ્ધિનું વિવરણ ખૂબ સુંદર રૂપે આપેલું છે.
  • ફૂલો સૌંદર્ય – સ્વાસ્થ્યની સાથે લાગણીઓ અને મનને પણ તરોતાજા અને સુંદર રાખે છે.

દા.ત. લાલ ગુલાબઃ પ્રેમની અભિવ્યક્તિનું માધ્યમ છે, પીળુ ગુલાબઃ મિત્રતાનું પ્રતિક છે, ગુલાબી ગુલાબઃ ગુપ્ત પ્રેમ વ્યક્ત કરે છે. મિત્રતા કે પ્રેમ વચ્ચેની અસમંજસ ભરી સ્થિતિ દર્શાવે છે, સફેદ ગુલાબઃ નિર્દોષ પ્રેમનું પ્રતિક છે. કુટુંબીજનોને આપવા માટે ઉત્તમ ભેટ છેઃ ઓર્કિડના ફૂલઃ પ્રેમ અને સૌંદર્યની અભિવ્યક્તિ દર્શાવે છેઃ ડેઈઝના ફૂલઃ સંનિષ્ઠ પ્રેમનું પ્રતિક ગણાય છે. માતા – પિતા કે પ્રિયવડીલોને અપાય છેઃ લીલી ફૂલઃ પવિત્રતા અને માધુર્યનું પ્રતિક છે. પુત્રી તથા ભત્રીજા – ભત્રીજીને આપી શકાયઃ ચેરી સેન્થમમઃ આ પુષ્પો મિત્રતા વ્યક્ત કરે છે. કોઈપણ પ્રસંગે મૈત્રીભાવ વ્યક્ત કરી શકાય. 

કેન્સરનાં કારણોમાં હજી વધુ … …

કેન્સર(૨)

રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ

      પહેલા કારણનો વિચાર કરો તો જણાશે કે બહારના બધા જ કેન્સર કરનાર દ્રવ્યો-કાર્સિનોજન્સ શરીરના બહારના ભાગે છે કે અંદરના ભાગે સતત સંપર્કમાં રહે તો જ તે કેન્સર કરી શકે છે. આપણે અગાઉ જોઈ ગયા કે જાપાનમાં બે વિજ્ઞાનીઓએ સસલાના કાનમાં ડામર સતત ઘસ્યા કર્યો. ત્યારે ત્યાં કેન્સર થયું. આંતરડામાં ખાસ કરીને મોટા આંતરડામાં કબજિયાતના કારણે મળ સાથે રહેતા કેન્સરના દ્રવ્યો જ ત્યાં કેન્સર કરી શકે છે. જુના જમાનામાં મલ્લયુદ્ધો બહુ થતા ત્યાં કેન્સર થતું જોવા મળતું એટલે ચોક્ક્સ ભાગ પર મુઠ્ઠી મારી શકતો એટલે મુઠ્ઠીના પ્રહારો જેમાં વધુ થતાં ત્યાં કેન્સર થતું જોવા મળતું એટલે આયુર્વેદમાં મુષ્ટિપ્રહારનો ઉલ્લેખ છે. કહેવાની ભાગ્યેજ જરૂર છે કે આજે ધરતી પર કોલસા-સળગતા રાખતાં થતું ‘કાંગરી કેન્સર’ જે કાશ્મીરના ગરીબ પ્રજાજનોમાં થતું જોવા મળે છે. ધોતી કેન્સર, કછોટા કેન્સર એ આ સતત પીડા પામતા અંગોમાં થતા કેન્સરનાં ઉદાહરણો છે. તો મોઢામાં તમાકુ ભરી રાખતાં કે સોપારીનો ડુચો ભરી રાખતાં, જોવા મળતાં કેન્સર વધુ ધુમ્રપાનથી થતાં કેન્સર પણ આ ‘સતત પીડન’નાં ઉદાહરણો છે.

      બીજું ઉદાહરણ પ્રદુષ્ટ આહાર-પેયનું છે. પ્રદુષ્ટ એટલે પોલ્યુટેડ. અનાજ, ફળો, શાકભાજી કે માંસ પ્રદુષિત હોય તો પણ કેન્સર થઈ શકે છે. તે વાત આયુર્વેદમાં હજારો વર્ષથી પ્રચલિત છે. હા, અન્ય ખાદ્ય સામગ્રી કરતાં માંસ જો પ્રદુષિત હોય તો કેન્સરનું જોખમ વધે છે. એટલે ત્યાં ‘પ્રદુષત માંસસ્ય’ શબ્દ વાપરવામાં આવ્યો છે. પ્રદુષિત કેવો કાળો કેર વર્તાવે તે તો તમે ‘મેડ કાઉ-ગાયો’ના કિસ્સામાં વાંચ્યું હશે ? આ માટે યુરોપ કંટ્રીમાં હજારો ગાયોની કત્લ કરવામાં આવી હતી. અને લોકો-માંસાહારીઓ માંસ ખાતા થરથરી ગયા હતા.

      ત્રીજું કારણ માંસાહારનો વધુ પડતો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. કહેવાની જરૂર નથી કે માંસમાં રેષા હોતા નથી. એટલે તેમાં જો પ્રદુષણ જમા થયું હોય તો આહારની સાથે તે પુરેપુરું શોષાઈ જાય છે. જ્યારે અનાજમાં છોડા, રેસાઓ હોવાના કારણે તે મોટાભાગે મળ માર્ગે નીકળી જાય છે. એટલે વધુ માંસાહાર, વધુ કેન્સર એવું સૂત્ર બતાવી શકાય. તમે રોજ છાપાઓમાં વાંચો છો કે પશ્ચિમના દેશોમાં શાકાહારીઓનું પ્રમાણ વધતું જાય રે. તેઓ કેન્સરથી બચવા માંગે છે. આયુર્વેદમાં આ કારણને ‘માંસ પરાયણ’ શબ્દથી નવાજ્યો છે. બોલો છે ને ગાગરમાં સાગર ?

      હવે શું તમે એમ માનવા તૈયાર થશો કે કેન્સર શબ્દ અને તેનાં કારણો સૌ પ્રથમ હીપોક્રેટસએ બતાવ્યાં હતાં ? આજે કોઈ ઓકોલોજિસ્ટ-કેન્સર નિષ્ણાતને પૂછો કે હીપોક્રેટસ અને ગેલન દ્વારા બતાવવામાં આવેલ કારણો કેટલાં વૈજ્ઞાનિક છે ? તો કહેશે કે સહેજ પણ નહીં ? અને સામે પક્ષે સુશ્રુત દ્વારા બતાવવામાં આવેલ કેન્સરનાં તદ્દન સૂત્રાત્મક કારણો આજે પણ એટલાં જ વૈજ્ઞાનિક છે. હવે જો હીપોક્રેટસને ફાધર ઓફ મેડિસિન્સ કહેવા હોય તો સુશ્રુતને કોના ફાધર કહેશો ? યાદ રાખો હીપોક્રેટસનો ગાળો અઢી હજાર વર્ષ પહેલાં છે, સુશ્રુતનો સમય ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાંનો છે. ટૂંકમાં ઓગણીસમી સદીનો અંત અને વીસમી સદીની શરૂઆત પહેલાં આજના શ્રેષ્ઠ ગણાતા કેન્સરવિજ્ઞાન પાસે કેન્સર કેમ થાય છે તે ખબર નહોતી. જ્યારે આયુર્વેદવાળાઓને હજારો વર્ષ પહેલાં કેન્સરના કારણોનું વૈજ્ઞાનીક જ્ઞાન હતું. અને બીજું કેન્સર અને અન્ય રોગના જે ચાર કારણો-મ્યુક્સ, યલો બાઈલ, બ્લેક બાઈલ અને બ્લડ બતાવવામાં આવ્યાં છે, તે કેન્સરની દ્રષ્ટિએ અપ્રસ્તુત હોવા છતાં કહેવું જોઈએ કે તે પણ આયુર્વેદે બતાવેલ ચાર કારણોની જ વાત છે. આરબો દ્વારા અને ભારતીય ક્ષત્રિયો દ્વારા આ જ્ઞાન ગ્રીક પ્રજાને થયું હતું તેનો આ પુરાવો છે.

      કેન્સરના કારણ અંગે હવે જો તમારો કોઈ પ્રશ્ન બચ્યો હોય તો એક જ બચ્યો હોઈ શકે કે અમે અમારા વ્યવહારમાં કેન્સર કરનારાં કેટલાં કારણોથી બચીએ તે બતાવો. તમારે કેન્સર કરનારાં કારણોથી બચવું છે ? શક્ય જ નથી. હા, શહેર કરતાં ગામડાવાળાઓને માટે થોડો બચાવ છે. બાકી અમેરીકન લેખકના શબ્દો યાદ કરો, તેણે કેન્સર કરનાર દ્રવ્યોથી બચવું હોય તો ‘શ્વાસ લેવાનું બંધ કરો, ખાવા-પીવાનું બંધ કરો અને બહાર જવાનું બંધ કરો’ શું આ શક્ય છે ? લગભગ અશક્ય છે, છતાં—

–          જેટલું વાતાવરણ વધુ ખુલ્લું તેટલું પ્રદુષણ ઓછું.

–          શહેરમાં બહાર નીકળો તો રીક્ષાના, સ્કુટરના અને ડીઝલવાળા વાહનોના ઘૂમાડા માત્ર કેન્સરનાં ઘર છે.

–          ઘરમાં વપરાતા ટૂથપેસ્ટ અને પ્લાસ્ટિકના બ્રશો કેન્સર કરી શકે છે.

ડીટરજન્ટ અને તેની બનાવટોવાળી બધી જ કોસ્મેટિક્સ આઈટમ કેન્સર કરે છે. એર ફ્રેશનરથી માંડીને ફ્રીઝ કોઈથી, તમો બચી શકો તેમ નથી.

–          સિગારેટ, બીડી, તમાકુ, ગુટખા, બહુ પાન, બહુ સોપારી કેન્સર કરે છે.

તમે ખાઓ છો તે અનાજ, શાકભાજી, દૂધ, ઘી બધામાં પ્રદુષણ કરનારાં તત્વો આવી ગયાં છે. તમે ખાઓ છો તે અનાજ, શાકભાજીઓ ફર્ટિલાઈઝર નાંખીને ઉછેર્યા હશે. તમે વાવેલા ફળો આજ ફર્ટિલાઈઝરથી ઉછેર્યા હશે તો કેન્સર કરશે. છાણિયું ખાતર નહીં કરે. તમે જો જંતુનાશક દવાઓ આ શાકભાજી, ફળો અને અનાજ પર છાંટ્યા હશે તો કેન્સર કરશે અને માંદગીમાં તમે જે દવાઓ સ્ટ્રેપ્ટોમાઈસીન, ક્લોરોફેનિકોલ, એનાલ્જેસિક કે ટ્રાંકવિલાઈઝર લેતા હો તો તે પણ કેન્સર કરી શકે છે.     

આપણાં બે અતિ કિંમતી શાક

ઠંડુ પૌષ્ટિક શાક દૂધી

– સ્વ. શ્રી શોભન

પ્રવર્તમાનમાં શાકો વધુ ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે, પણ આયુર્વેદીય દૃષ્ટિકોણથી બધાં જ શાકો પથ્ય નથી. મોટા ભાગના શાકો રૂક્ષ, વાયુકારક, વિષ્ટંભી (મળને રોકનારા) વગેરે ગુણવાળાં છે. ભાવપ્રકાશ સંહિતાનો શાક વર્ગનો આ શ્લોક સૌએ યાદ રાખવા જેવો છેઃ

પ્રાયઃ શાકાનિ સર્વાણિ વિષ્ટંભીનિ ગુરુણિ ચ ।

રૂક્ષાણિ બહુવર્ચાંસિ સૃષ્ટવિણ્મારુતાનિ ચ ।।

ઘણું કરીને બઘાં જ શાકો (રીંગણ, પરવળ, સરગવો, તાંદળજો, જીવન્તી વગેરે અપવાદ છે.) કબજિયાત કરનારાં, ભારે, રૂક્ષ, મળને વધુ ઉત્પન્ન કરનારાં અને વાયુ કરનારાં છે.

આવા ગુણવાળાં શાકો આપણા પૂર્વજો ન છૂટકે વાપરતાં. મગની દાળ, દૂધ, છાશ વગેરે રોટલી-રોટલા સાથે લેતા અને પથ્ય શાકોમાં પરવળ, તાંદળજો, કૂણાં રીંગણ, જીવન્તી (દોડી), કૂમળા મૂળા વગેરે મળે ત્યારે રોજ લેવાનો આગ્રહ રાખતાં. પરંતુ ક્યારેય પણ તે સિવાયનાં શાકભાજી લેતાં તો ઉપરોક્ત ગુણ હાનિ ન કરે તે માટે ઘી, તલતેલ, લસણ, હિંગ, કોકમ, રાઈ, મેથી, સિંઘવ, મીઠો લીમડો, કોથમરી, આદું, ગોળ, ખાંડ, લીંબુ વગેરે નાખીને શાક વઘારવાની કે બનાવવાની તેમણે યુક્તિ કરી, જેથી તે વાયુ કરવાનો, કબજિયાત કરવાનો, રૂક્ષતા પેદા કરવાનો દુર્ગુણ ન કરી શકે.

સર્વત્ર બારેમાસ મળતી અને સાજામાંદા માટે નિર્દોષ મનાતી દૂધીને આયુર્વેદે સદાપથ્ય આહારમાં ગણાવેલી ન હોવા છતાં રોજ લઈ શકાય તેવી છે. પ્રાચીન યુગથી લખાયેલા નિઘંટુઓમાં તેના ગુણનું વર્ણન છે. તેનું મૂળ સંસ્કૃત નામ છે ‘દુગ્ઘતુમ્બી’ તેના ઉપરથી મીઠી દૂધી, ધોળી દૂધી, દૂધીનું તુંબડું, દૂધી વગેરે નામ પડ્યા. તેને ગામડાંમાં ‘નઈ’ પણ કહેવામાં આવે છે. દૂધી પુષ્કળ થતી હોવાથી અને સોંઘી હોવાથી તેનો શાક રૂપે છૂટથી ઉપયોગ થાય છે. શાક ઉપરાંત તેનો હલવો બનાવવામાં ઘણો ઉપયોગ થાય છે. દૂધીનો હલવો કેટલાંક પરિવારમાં ખૂબ પ્રિય છે. તે ઉપરાંત કૂણી દૂધીને ખમણીને ઢોકળાં, ખમણ, કચૂંબર, થેપલાં, કઢી વગેરેમાં વપરાય છે. દૂધીનું સ્વતંત્ર શાક કરતાં બટાટા, ચણાની દાળ વગેરે સાથે વધુ ખવાય છે.

દૂધી રસમાં મધુર છે. ‘મદનપાલ નિઘંટુ’માં તેને ‘સુમધુરા’ કહી છે. મધુરતાને કારણે દૂધીમાં દૂધના જેવા મધુર રસના કેટલાક ગુણ હોવાથી તે ઠંડી છે. ‘શોઢલ, નિઘંટુ’માં તેને ‘અતિ શીતલા’ કહી છે તેથી ગરમીવાળા, ગરમીના રોગો અને ગરમ ઋતુ માટે તે માફક આવે છે. તે અતિ શીતલા હોવાથી જે પિત્તજ્વરમાં તાવનું પ્રમાણ વધી જાય છે ત્યારે દૂધી ખમણીને તેનાં પોતાં મૂકવામાં આવે છે. બરફના અભાવે તે સારું પરિણામ લાવે છે. ગરમીની આંખો દુખતી હોય ત્યારે તેને ખમણીને પાટા બાંધી શકાય. હાથ-પગનાં તળિયામાં કે તાળવે બળતરા થતી હોય ત્યારે તેનો રસ ચોપડી શકાય કે ખમણીને બાંધી શકાય. મધુર હોવાને કારણે દૂધી શીતળ છે. ઉપરાંત તે પૌષ્ટિક, ધાતુવર્ધક, બળપ્રદ, ગર્ભપોષક અને વૃષ્ય છે. ગરમીને કારણે જેમનું શરીર વધતું ન હોય, વજન ઘટતું હોય, અશક્તિ જણાતી હોય તો સારું પાચન હોય તેવી વ્યક્તિએ દૂધ અને ખાંડમાં બનાવેલો દૂધનો હલવો છૂટથી ખાવો જોઈએ. સગર્ભાવસ્થામાં ગર્ભને પોષણ મળે તે માટે દૂધીનો હલવો, દૂધીનું શાક વગેરે વધુ લેવાં જોઈએ. જાતીય નબળાઈવાળા પુરુષો પણ દૂધીનો હલવો લે તે હિતાવહ છે. દૂધી બાફીને તેનો સૂપ પણ છૂટથી લઈ શકાય. દૂધી હ્રદ્ય ગુણવાળી હોવાથી હ્રદય રોગીઓએ પણ તેનો ઉપયોગ કરવો સારો. ‘રાજ નિઘંટુ’ વગેરેમાં તેને ‘ઘાતુપુષ્ટિવિવર્ધનમ્’ કહેલી હોવાથી બાળકોને તેનો હલવો આપવો સારો. શરદી-કફ ન હોય તેવાં બાળકોને નાસ્તામાં છૂટથી આપી શકાય. દૂધી રુચિકર હોવાથી કોઈ પણ શાકમાં રોજ થોડી થોડી મેળવવામાં આવે તો શાક સ્વાદિષ્ટ બને છે.

બાહ્ય ઉપયોગ રૂપે ‘દૂધીનું તેલ’ પણ વાપરવા જેવું છે. મગજની અને આંખોની ગરમીમાં, ઉનાળામાં ગરમીને કારણે ખરતા વાળમાં તે ફાયદાકારક છે. રોજ તે તેલની માલિશ કરવાથી અને નાકમાં તેનાં ટીપાં પાડવાથી મનને શાંતિ મળે છે. ઊંધ સારી આવે છે. કેટલાંક લોકો દૂધીને બુદ્ધિવર્ધક માનતા હોવાથી તેના તેલમાલિશથી બુદ્ધિને લાભ પણ મળે છે.    

સર્વોત્તમ શાક – પરવળ

        ખાસ કરીને ચોમાસામાં અને હંમેશા વધુ પડતાં શાક ન ખાવાની આયુર્વેદે સૂચના કર્યા પછી પરવળ, ખરખોડી-ડોડી (જીવન્તી), મેથી, સરગવો, સુવા, કુમળા મૂળા, તાંદળજો, ગલકાં, કંકોડા, રીંગણ, સૂરણ વગેરે શાક-ભાજીને વિવેકપૂર્વક હંમેશા અપનાવવાનું સૂચવ્યું છે. તેમાંય તે પરવળ પ્રત્યે તો સવિશેષ પક્ષપાત વ્યક્ત કર્યો છે. ‘હંમેશા કયા આહારદ્રવ્ય ખાવા હિતાવહ છે ?’ તેના જવાબમાં ફળશાકમાં કેવળ પરવળનું નામ આપવામાં આવયું છે. પરવળને અવારનવાર નિત્ય પથ્ય, સદા પથ્ય અને પરં પથ્ય પણ કહ્યાં છે. પરવળની આટલી બધી પ્રશંસા પાછળ આયુર્વેદની ગુણગ્રાહ્યતા છે. પરવળની એવી સુંદર ગુણસંયોજના થઈ કે તેના વખાણ કરીએ તેટલા ઓછા.

            પરવળનો સર્વોત્તમ સદગુણ તો છે તેની ત્રિદોષશામકતા. પરવળ મધુર હોવાથી પિત્તનું શમન કરે છે. સ્નિગ્ધ, મધુર અને ઉષ્ણ હોવાથી વાયુનું શમન કરે છે. લઘુ અને ઉષ્ણ હોવાથી કફનું શમન કરે છે.

        ઉપરાંત તે લઘુ હોવાથી જલ્દી પચી જાય છે અને અન્ય આહારને પચવામાં મદદ કરે છે. એટલે કે તે પાચક ગુણવાળાં છે. ઉષ્ણ હોવાથી તે દીપન ગુણવાળાં એટલે કે ભૂખ લગાડનારાં છે. મંદાગ્નિવાળા કે માંદા માણસો માટે એ રીતે એ ખૂબ માફક આવે છે.

        પરવળમાં હ્રદ્ય ગુણ હોવાથી તેનું હંમેશા સેવન કરવાથી હ્રદયરોગ સામે રક્ષણ મળે છે. અને હ્રદયરોગી તેનું નિત્ય સેવન કરે છે તો તે રોગ મટાડવામાં મદદ કરે છે. પરવળ વૃષ્ય હોવાથી જાતીય નબળાઈવાળા પુરુષો તેનું રોજ સેવન કરી શકે છે. તે શુક્રધાતુને પણ વધારનારાં છે.

પરવળનું શાક ઉધરસના દરદીને ખૂબ જ લાભદાયક છે. ઉધરસ એટલે કે કાસમાં એ એટલા બધાં ગુણકારક છે કે તેનો એક આયુર્વેદીય પર્યાય ‘કાંસભંજન’ એટલે કે ઉધરસને મટાડનાર એવો છે. લોહીવિકાર એટલે કે રક્તદોષમાં મીઠું, તેલ અને મરચું નાખ્યા વિના કેવળ ધાણા, જીરું, હળદર અને મરી નાખીને શાક ખાવું હિતાવહ છે. પરવળ મધુર હોવા છતાં કૃમિના દરદી કારેલાંની જેમ કડવાં પરવળનું શાક ખાય તો વધુ ફાયદો થતો હોય છે. પરવળ મધુર, સ્નિગ્ધ અને ત્રિદોષશામક હોવાથી તેમાં વજન વધારવાનો ગુણ હોવાથી કૃષ લોકોએ તેનું ઘીમાં વઘાર કરી હંમેશા વધુ પ્રમાણમાં શાક ખાવાનું રાખવું. શરીરમાં ફીકાશ આવી હોય, પાંડુ થયો હોય તેવા દરદી હંમેશા પરવળ ખાય તો લોહી વધશે અને રંજનપિત્ત-હેમોગ્લોબીનમાં પણ વધારો થશે. જીર્ણજ્વર, પિત્તજ્વર અને વિષમજ્વરના દરદીને પરવળનું શાક પથ્ય છે. કડવાં પરવળ લેવામાં આવે તો તે વધુ પ્રમાણમાં જ્વરધ્ન ગુણ આપે છે.

        આટલા બધા ગુણવાળાં અને જેનો સંસ્કૃત પર્યાય ‘અમૃતફળ’ છે એવાં પરવળ કે જેને ગ્રામ્યજીવનમાં પંડોળા કે પટોળાં પણ કહે છે તે પરવળનું શાક રૂપે ચલણ આપણે ત્યાં ખૂબ ઓછું છે. શાકપ્રેમી લોકો માટે તે અણમાનીતું શાક છે ને શાકમાર્કેટમાં તેનું સ્થાન છેવાડે હોય છે ! ગુજરાતમાં તો મીઠાં પરવળની ખેતી પણ ખૂબ ઓછી થાય છે. આવા ગુણિયલ શાકના ગુણ વિષે વેચનારા, લેનારા કે ખાનારા કોઈને પ્રાયઃ ખ્યાલ જ નથી તે આશ્ચર્યજનક બાબત છે.

જાગ્યા ત્યારથી સવાર સમજીને હવે વાચકવર્ગ પરવળ પ્રત્યે પ્રીતિ વધારશે તો તેનું પોતાનું ચોક્કસ હિત થવાનું જ છે.