– રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ.
કેન્સરને કેમ ઓળખશો ?
કેન્સરને ઓળખવું એટલે તેના લક્ષણો જાણવા. અત્યારના કેન્સર વિજ્ઞાનમાં આ ઘણું જ અઘરું થઈ ગયું છે. ત્યા આયુર્વેદની જેમ વાયુ, પિત્ત, કફ પ્રમાણે લક્ષણો આપવામાં આવ્યા નથી જ. ત્યાં બે બાબત છે. એક તો રોગીની સામાન્ય ફરિયાદ અને તેના પછી શરૂ થાય છે, જુદા જુદા ટેસ્ટની ભરમાળ. દાખલા તરીકે એક રોગી ફરિયાદ કરે કે મને ગળે ઉતારવામાં તકલીફ છે, એટલે ગળાના કોઈ ભાગમાં કેન્સર હોવાનું માની જુદી જુદી અનેક તપાસ થાય છે. જેમાં એન્ડોસ્કોપી, બેરીયમમીલ પીવરાવીને તેના એક્સરે. જો ગાંઠ જોવા મળે તો પછી તેની ગાંઠમાંથી થોડો ટૂકડો લઈને તેની બાયોપ્સી કરવામાં આવે છે. કેન્સરની જાત નક્કી થાય છે. સામાન્ય ગાંઠ-બિનાઈન ટ્યુમર છે કે ઘાતક અર્બુદ-મેલિગ્રન્ટ ટ્યુમર છે, તે પહેલાં નક્કી થાય છે. અને પછી સારવારનો ક્રમ શરૂ થાય છે. આતો તમે સમજી ગયા કે જેમ સ્થળ જુદા તેમ લક્ષણો જુદાં. દા.ત. મળાશયમાં જાજરુના ભાગનું કેન્સર હશે તો ઝાડામાં લોહી-પરુ આવશે. ઝાડાનો સમય બદલી જશે. ફેફસાનું કેન્સર હશે તો ખાંસી, શ્વાસ, કફ સાથે થોડું લોહી આવવું, કદાચ ગાંઠ ઉપસવી વગેરે, માથાના-મગજમાં કેન્સર હોય તો માથાનો દુઃખાવો, ચક્કર આવવા, આંખે ઝાંખ આવવી, હાથપગ કે મળ-મૂત્રના ભાગ પર કાબુ ઘટવો કે લકવા થઈ જવો જેવા લક્ષણો જોવા મળે છે.
આયુર્વેદે આ વાત જુદી રીતે કરી છે. આયુર્વેદને ઉપર બતાવ્યા તે લક્ષણો સાથે વાંધો નથી જ-આયુર્વેદ સંમત છે. આ ઉપરાંત આયુર્વેદ આ લક્ષણોને ત્રણે દોષો સાથે સાંકળે છે. દા.ત. ફેફસાંના કેન્સરમાં (પાનકોટ ટ્યુમરમાં) જે તે તરફના હાથમાં બહુજ દુઃખાવો થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ આફ્રુફૃસાર્બુદ (ફેફસાનું કેન્સર) વાતિક છે. કારણ કે પીડા છે. આવું ક્યાંયનું કેન્સર હોય, જો પીડાવાળું હોય તો તેને વાતાર્બુદ નામ આપવામાં આવે છે. આવું જ પિત્તર્બુદનું છે, તેમાં બળતરા થાય છે, તાવ આવે છે, થોડા પાણી જેવા ઝાડા થઈ શકે છે વગેરે. યાદ રાખો અત્યારના કેન્સર ઓકોલોજીમાં બતાવવામાં આવેલ ‘સાર્કોમાં’એ પિત્તાર્બુદ ગણાય, કફાર્બુદ હોઈ શકે, જો તેમાં ઠંડો સ્પર્શ, ખંજવાળ, ઓછામાં ઓછી પીડા, ભાર લાગવો જેવાં લક્ષણો જોવા મળે છે. ચરબીના કારણે જોવા મળતું કેન્સર-મેદાર્બુદમાં કફના બધાજ લક્ષણો હોય છે, ઉપરાંત શરીરમાં ચરબી વધે ત્યારે તે વધે છે અને ચરબી ઘટે ત્યારે તે ઘટે છે. આ ચાર અર્બુદો જ અમુક શરત હોય તો જરૂર મટાડી શકાય. બાકી રહેતા બે અર્બુદો, રક્તાર્બુદ અને માંસાર્બુદ. જેમાં લોહી ખરાબ થઈ તેને વહન કરનાર રક્તવાહિનીઓમાં પણ અર્બુદ પગ પેસારો કરે, તેને રક્તાર્બુદ કહેવામાં આવે છે. આ અર્બુદમાં રક્તવાહિનીઓ પર દબાણ વધે છે, તેમાં સંકોચ-ખેંચાઈ જાય છે. રક્તના સ્ત્રાવવાળો માંસનો ઉભાર જોવા મળે છે. આ શોથ ઉપર ઝડપથી વધે છે. અને ઉપરના ભાગમાં માંસના અંકૂર જોવા મળે છે. આ રોગોમાં રક્તક્ષયજન્ય પાંડુ તરત જ જોવા મળે છે.
આવું જ માંસાર્બુદ-માંસપેશીમાં થતા કેન્સરનું છે. જો કોઈ માંસપેશી પર સતત દબાણ કે ઉત્તેજના (આયુર્વેદમાં આને ‘અર્દિત’ કહે છે) થાય તો તે માંસપેશીમાં કેન્સર થાય છે. આ કેન્સર પથ્થર જેટલું કઠણ, પીડા વિનાનું, સ્પર્શમાં સુંવાળું, આજુબાજુની ચામડીના રંગ જેવાજ રંગવાળું, ન પાકતું અને આજુબાજુના અંગો સાથે જોડાઈને હલે ચલે નહી તેવું હોય છે. આ માંસાર્બુદ-અત્યારના રેમ્બડોમાયોમા જેવા પ્રભાવવાળું બનાવવામાં આવ્યું છે, તે અસાધ્ય છે.
હવે તમે આયુર્વેદપ્રેમી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવો છે. એટલે એક પ્રશ્ન ફરી પુછો તે શક્ય છે. આ બધા કેન્સર તો બહાર થયા હોય તો તેના ઓળખી શકાય. પણ ફેફસામાં અન્નનળી, આમાશય, મોટું આંતરડું, હ્રદય વગેરેમાં થયા હોય તેની આયુર્વેદના નિષ્ણાતોને ખબર હતી ? પ્રશ્ન અંત્યંત મહત્વનો અને તીક્ષ્ણ છે. આવા બે પુરાવા આયુર્વેદમાં છે. એક તો તેણે ગાત્ર પ્રદેશે કવચિત દોષા શબ્દ વાપરીને શરીરના કોઈપણ ભાગમાં કેન્સર થઈ શકે છે. તે બતાવ્યું છે. બીજું કેન્સર મટાડી શકાય તેમ હોવા છતાં કેટલીક સ્થિતિમાં તે ન મટે તેવું બતાવતા તે લખે છે કે હ્રદય, ફેફસાં જેવા ભાગમાં થયું હોય, અન્નનળી, મોટું આંતરડું જેવા સ્ત્રોતમાં (સોતોથ્ત) થયું હોય તો તે મટાડી શકાતું નથી.
આયુર્વેદમાં સ્થાનાનુસાર ઘણા કેન્સર બતાવવામાં આવ્યા છે. હોઠ પર થતું કેન્સર, ઔષ્ઠાર્બુદ, ગાલમાં થતું કેન્સર, કપોલાર્બુદ, જીહ્યા, મૂળ અને ગળામાં થતું કેન્સર ગલાર્બુદ, જીભનું કેન્સર જીહ્યાર્બુદ, નાકનું કેન્સર નાસાર્બુદ, આંખનું કેન્સર વર્માર્બુદ, કાનનું કેન્સર કર્ણાર્બુદ, લિંગનું કેન્સર લિંગાર્બુદ કેન્સર એટલે આયુર્વેદમાં સ્થાનની દ્રષ્ટિએ ઘણા નામના અર્બુદ છે.
ઉપરાંત આયુર્વેદમાં કેન્સર સામાન્ય લક્ષણો બતાવવામાં આવ્યા છે. પછી આ કેન્સર વાત્તિક હોય, પૌત્તિક હોય કે દ્વંદ્વજ હોય. આ કેન્સર મેદ ધાતુના આધારવાળું હોય, માંસના આધારવાળું હોય કે રક્તના આધારવાળું હોય. તેના કેટલાંક લક્ષણ અચૂક હોય છે. આ લક્ષણો છે.
– કોઈપણ કેન્સર શરૂઆત પામે ત્યારે તે ગોળાકાર હોય છે.
– તે સ્થિર હોય છે. મતલબ કે જ્યાં તે થયું હોય ત્યાં તેની મજબૂત પકડ હોય છે.
– મંદરુજા-તદ્દન નહિવત પીડા હોય છે. હા, વાતાર્બુદ તીવ્ર પીડા એક અપવાદ છે.
– મહાન્ત-તેનું કદ મોટું થતું જ જાય છે. કહેવાય છે કે માનવીના માથા જેટલું કદ જોવા મળ્યાના દાખલા છે. તમે પેપરમાં તો વાંચતા જ હશો કે ફલાણા બેનના પેટમાંથી પ્ કિલોની ગાંઠ કાઢી વગેરે.
– અનલ્પમૂલ-ન અલ્પ=અનલ્પ. જેના મૂળિયાં એકાદ બે-બે અંગ કે સીસ્ટીમમાં ન હોતા આખા શરીરમાં વ્યાપ્ત હોય-લગભગ દરેક સીસ્ટીમમાં જોવા મળે તે અલ્પ મૂલ.
– ચિર વૃદ્ધિ-સામાન્ય રીતે આપણે આગળ બતાવ્યું તેમ-કેન્સરની ગાંઠ બીજા કોઈ ઉભારવાળા રોગો ચેપના કારણે પાકે છે. કેન્સર ભાગ્યેજ પાકે છે. અને પાકે તો ક્યારેક થોડું પરું નિકળતું જોવા મળે છે. વિચારો આજથી હજારો વર્ષ પહેલાં કેન્સરને સ્પષ્ટ બતાવવું-તેની રચનાને મોર્ફોલોજિકલ સમજાવવું તે કેટલી બધી સાધના માગી લેતું કામ હશે ? કેટલી વૈજ્ઞાનિક દ્રષ્ટિ હશે ? કેટલી સચોટતા હશે આટલું વિકસીત ઓકોલોજી પણ કેન્સરના સ્વરૂપને જે આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે-તેની ના પાડી શકે તેમ નથી.
હવે તમારો એક પ્રશ્ન હશે. આયુર્વેદમાં સાદી ગાંઠ-ગ્રંથી અને અર્બુદ કેન્સર-મેલિગ્રન્ટ ટ્યુમર બતાવ્યું છે. પણ કેન્સર ઘાતક છે, તેવું સ્પષ્ટ કેમ બતાવવામાં આવ્યું નથી ? આ તમારો પ્રશ્ન બરાબર છે. જે શબ્દ પોતે પોતાની જાતને ઓળખાવતો હોય તેને ફરી બતાવવાનું જુના જમાનામાં પ્રચલન ન હતું. વધુ સ્પષ્ટ કહું તો એકલો ‘અર્બુદ’ શબ્દ જ ઘણું બતાવી જાય છે. અર્બુદમાં બે શબ્દો વ્યુત્પત્તિની દ્રષ્ટિએ છે. વ્યુત્પત્તિની એટલે શબ્દની રચના સમજાવતું વિજ્ઞાન. અર્બુદમાં અર્બ+ઉદ છે. અર્બ શબ્દ હિંસાના અર્થમાં-મારી નાંખવાના અર્થમાં છે-અર્બહિંસાયામ્ ! અને ઉદ્ એટલે ઉત્પતિના અર્થમાં છે. જે રોગ મારી નાખવા માટે ઉત્પન્ન થાય તે જ અર્બુદ. આમ અર્બુદ એટલે ઘાતક કેન્સર જ. વાત થોડી આડા પાટે ચલાવીને પણ તમને એક ઐતિહાસિક માહિતી આપવા માંગુ છું. જુના જમાનામાં અર્બ-સૈનિકના અર્થમાં પણ વપરાતો. કારણ કે સૈનિક મારવાનું કામ કરે છે.
શ્રીકૃષ્ણના કુટુંબના ઝઘડા બહુ હતા. અનિરૂદ્ધ ફરતો ફરતો ગલ્ફ દેશમાં ગયો. રાજકુમાર હતો એટલે આ વિસ્તારમાં રાજ સ્થાપવાનું વિચાર્યું. રાજ્ય સ્થાપવા માટે તો સૈન્ય જોઈએ. એટલે તેણે ભારતમાંથી હિન્દ મહાસાગરના માર્ગે સૈનિકો બોલાવવા શરૂ કર્યા. આ સૈનિકો ત્યારે અર્બ તરીકે ઓળખાતા. એટલું જ નહીં ત્યાંની સ્થાનિક પ્રજા તેને અરબ કહેતી. આમ આજની અરબ પ્રજા એ મૂળ ભારતીય સૈનિકો જ છે. જેને અનિરૂદ્ધ ભારતમાંથી સૈન્ય તરીકે લઈ ગયો હતો અને આ સૈનિકો હિન્દ મહાસાગરના જે ભાગમાંથી ગયા હતા, તે બહુ વપરાશના કારણે અરબ સમુદ્ર કહેવાવા લાગ્યો. આનો બીજો પુરાવો છે કે હજુ તેલ નહોતું મળ્યું તેટલા વર્ષ પહેલાં ૫૦-૬૦ વર્ષ પહેલાં અરબો માત્ર લડવાનું જ કામ કરતા, ભારતના ઘણા રાજ્યોમાં આરબ ‘આરબની બેરખ’ તરીકે સૈનિકોનું જ કામ કરતા. આ જ આરબો આજે પેટ્રો ડોલરના કારણે વિકાસ બની ગયા. મૂળ તેઓ ભારતીય છે.
અરબ સો કરોડ માટે પણ છે. ભારતીય વૈજ્ઞાનિકોને એ પણ ખબર હતી કે કેન્સર કોષો હજારોની સંખ્યામાં હોય છે. અને તેથી આ ગાંઠ વધતી જ જાય છે.
અર્બુદનો ત્રીજો અર્થ માઉન્ટ આબુ છે. આબુ જુના જમાનામાં અર્બુદગિરી તરીકે ઓળખાતો. તેની રચના બહુજ વિષમ હોવાથી કેન્સરની ગાંઠની સરખામણી આ પર્વત સાથે કરવામાં આવી છે. હવે જો તમે પર્વત-ડુંગરની રચનાને જુઓ તો અર્બુદ કેન્સરની ગાંઠની રચના કેવી છે, તે બહારથી પણ ખબર પડે. જેમ કે
– પર્વતની જેમ કેન્સરની ગાંઠ રચનામાં વિષમ હોય છે.
– ભૂગોળના નિયમ પ્રમાણે પર્વત જેટલો ઉપર તેટલો જ નીચે હોય છે. કેન્સરની ગાંઠ પણ ઊંડા મૂળવાળી હોય છે.
– રચનામાં પથ્થર જેવી કઠણ હોવાથી કેન્સરની ગાંઠ ‘સ્ટોનીહાર્ડ’ કહેવાય છે. એટલે આયુર્વેદમાં અર્બુદ (માંસાર્બુદ) ને ‘અશ્મવત્’ પથ્થર જેવી બતાવવામાં આવી છે.
– પર્વતની માફક સ્થિર (દ્રઢ) હોવાથી કેન્સરની ગાંઠ તેની જગ્યાએથી ચાલતી નતી. ઈમ્મોબાઈલ છે.
– ઊંડા મૂળવાળો હોવાથી પર્વત જેમ ઉખેડીને કાઢી શકાતો નથી. કેન્સર-અર્બુદની ગાંઠનો નાશ કરી શકાતો નથી.
તમારા ખ્યાલમાં હવે આવ્યું હશે કે કેન્સર-અર્બુદનું આયુર્વેદમાં કેટલું અગાધ વર્ણન છે. અને તેથી ભારતની પ્રજા સંસ્કૃતનું જ્ઞાન હોય જેમ તમારે જાનકી શબ્દનો અર્થ નથી સમજાવવો પડતો, દાશરશિનો અર્થ નથી સમજાવવો પડતો, વાસુદેવનો અર્થ નથી સમજાવવો પડતો. આ શબ્દો જ સ્વયં સ્પષ્ટ છે અને પોતાની વાત પોતે જ કહે છે. જાનકી એટલે જનક રાજાની પુત્રી, દાશરશિ એટલે દશરથ રાજાનો પુત્ર રામ અને વાસુદેવ એટલે વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ. કેવી વૈજ્ઞાનિક ભાષા છે ? તમે એમ નહીં સમજશો કે આવા નામોની પરંપરા આપણે ત્યાં જ છે. બધે જ છે. અંગ્રેજીમાં પણ ડેવિડસન એટલે ડેવિડનો છોકરો. પણ આ લોકો પાસે સંસ્કૃત જેવી સમૃદ્ધ ભાષા ન હોવાથી તેઓના રૂપો આપણા જેવા સુગમતાવાળા નથી. આમ કેન્સર માટે મેલિગ્રન્ટ જેવો શબ્દ ઉમેરવાની આયુર્વેદને જરૂર નથી.
સાધ્યાસાધ્યત્વ-પ્રોગ્નોસોસીસઃ-
કેન્સર મટે છે, ખરું ? બીજા શબ્દોમાં કેન્સર મટે તેવું-સાધ્ય છે કે ન મટે તેવું અસાધ્ય છે ? કેન્સર થયા પછી બચી ગયાના આંકડા તો સ્પષ્ટ બતાવે છે કે કેન્સર મટાડવું મુશ્કેલ છે. કારણ બહુ સરળ છે. કેન્સર એ કોઈ જગ્યાએ થયેલ ગાંઠ નથી જ. અલબત્ જ્યાં વધુ ખરાબી ત્યાં તે જોવા મળે છે. પણ તેનો અર્થ એ નથી કે તમે જ્યાંથી કાપ્યું તે ત્યાં જ હતું. પણ આ અગત્યનું નથી. અત્યારની ત્રણ જુનવાણી સારવાર-હા, આપણે જેને મોડર્ન કહીએ છીએ, તેને પશ્ચિમમાં લોકો ઓર્થોડોક્ષ કહે છે. સારવાર પછી તે સર્જરી-વાઢકાપ હોય. કીમોથેરાપી-એન્ટી કેન્સર દવાઓ અપાતી હોય કે પછી રેડિએશન-શેક હોય કેન્સર દૂર કરવાનું કામ કરે છે. સાથો સાથ કેન્સર કરવાનું કામ પણ છે, એટલે હું આને બેધારી તલવાર કહું છું. બે ધારી આગળ-પાછળ એમ બંને જગ્યાએ વાગી શકે છે. આ બાબતને થોડી વિગતથી જોઈએ.
વાઢકાપ અથવા સર્જરી કેન્સરના કોષોને કાપે ત્યારે ત્યાં હાજર રહેલ લોહીની નળીઓ અને લસિકાવાહિનીઓ પણ કપાય છે. આ ખુલ્લા થયેલા બંને માર્ગોમાં કેન્સરના કોષો પ્રવેશ મેળવે છે. અને અન્ય જગ્યાએ આ કોષ અનાજના બીજની માફક ઉગી નીકળે છે અને તે ત્યાં અડીંગો જગાવે છે. આને અર્ધ્યર્બુદ-સેકન્ડરી મેટાસ્ટેસીસ કહે છે. તો કીમોથેરાપિ પણ ઝેરી રસાયણ જ છે. તે પોતે કેન્સર કોષોનો વિનાશ કરે છે, તેમ નોર્મલ કોષોમાં પણ વિકૃતિઓ કરે છે. આ વિકૃતિઓમાં કેન્સર પણ એક હોય શકે.
રેડિએશન વીશે તો અત્યારે સામાન્ય જ્ઞાન ધરાવનારને ખબર છર કે તે કેન્સર કરનાર પદાર્થથી કેન્સર મટાડી શકાય છે. એક્સરે રેડિએશન, સોલર રેડિએશન જેમ કેન્સર કરનાર છે તેમ રેડિએશન પોતે કેન્સર કોષોને બાળે છે, પણ પ્રાકૃત કોષોમાં કેન્સરના બીજ રોપી દે છે. આમ આજની ત્રણે ત્રણ સારવાર કેન્સર પર લગભગ નકામી થઈ ગઈ છે. હા, જ્યારે આઈએસટી-ઈમ્યુનો સ્ટીમ્યુલન્ટ થેરાપી અજમાવવામાં આવે તો તે ચોક્કસ પરિણામદાયી બની શકે. ઈમ્યુનિટિનો હાસ થવાનો કેન્સરમાં પાયાની વિકૃતિ છે. ત્યારે ફરી કિમોથેરાપિ અને રેડિએશન વધુ ઈમ્યુનિટિનો નાશ કરે છે. માત્ર આયુર્વેદ ક મદદ કરી શકે. જેનો વિચાર સારવારમાં કરીશું. આમ અત્યારે તો કેન્સર અસાધ્ય જ છે.
આયુર્વેદ શું કહે છે ?
આપણે ઉપર જોયું તેમ કેન્સરના મૂર્ધન્યનિષ્ણતો-ઓકોલોજિસ્ટ તો સ્પષ્ટ માને છે કે કેન્સર મટતું નથી જ જે કંઈ સારવાર છે, તે થિગડા જેવી છે. થોડાસમય માટે પરિણામ દાયક દેખાય છે. હા, બીજો વર્ગ અને નિષ્ણાતો-જેઓ સંશોધનમાં લાગ્યા છે તેઓ માને છે કે ભવિષ્યમાં કેન્સરને સાધ્ય બનાવી શકાશે. પણ વ્યવહારમાં આજે તો ઉપર બતાવી તે જ સ્થિતિ છે. એટલું જ નહીં કેન્સરના નામે અબજો ડોલર સંશોધનમાં ખર્ચવામાં આવે છે. પણ કોઈએ તેના વર્લ્ડક્લાસ નિષ્ણાતને પૂછયું હતું કે આ તમે આ આંતરડાના કેન્સરને કાપો છો પણ તમને જ આ કેન્સર થાય તો શું કરો ? તેનો જવાબ હતો હું ઓપરેશન ન જ કરાવું.
આયુર્વેદ સાધ્યાસાધ્યમાં વિશ્વના કોઈ પણ ચિકિત્સા જગતથી આગળ છે. એટલે કે કેન્સર-અર્બુદના છ પ્રકારો – વાતાર્બુદ-પિતાર્બુદ, કફાર્બુદ, મેદાર્બુદ, રક્તાર્બુદ અને માસાંર્બુદમાં પાછલા બે તો થતાં જ અસાધ્ય છે. જ્યારે આગલા ચાર સાધ્ય છે. પણ આ સાધ્ય અર્બુદો પણ કેટલીક શરતો સાથે જ સાધ્ય છે. જેમ કે ઉપર બતાવેલ ચાર કેન્સરો-અર્બુદોમાં જો સ્ત્રાવ થતો હોય, તે હ્રદય, ફેફસાં, મગજ, કીડની જેવા મહત્વના અંગો (મર્મ-વાઈટેલ ઓર્ગનમાં થાય કે અંદરના માર્ગો (અન્નનળી, આમાશય, મોટું આંતરડું, નાનું આતરડું વગેરે)માં થાય અને થતાંની સાથે આજુબાજુના અંગોમાં જોડાયેલ હોય અને એક સ્થળે થયા પછી અન્ય સ્થળે-અધ્યર્બુદના રૂપમાં જોવા મળે તો સામાન્ય રીતે તે અસાધ્ય ગણાય છે. આમ વ્યવહારમાં મળતાં લગભગ બધાં જ અર્બુદ-કેન્સરો અસાધ્ય સ્વરૂપનાં જ જોવા મળે છે. કારણ ? કારણ બહુ જ સ્પષ્ટ છે. પી.એ.હર્ઝન કરીને એક નિષ્ણાતે આ કારણ બતાવ્યું છે. તે કહે છે. કેન્સરનું નિદાન થયા પછી દર્દી અને ડૉક્ટરની મનોદશા ભ્રમિત થઈ જાય છે. અને બીજા એવા ડ્રાસ્ટીક એકશન લે છે અને કહે છે, કાપીનાખો, બાળીનાખો અને તેનો નાશ કરી નાખો. અંગ્રેજીમાં કટ ઈઝ આઉટ, બર્નઈટ આઉટ અને ડીસ્ટ્રોય ઈટ એમ કહેવાય છે. બીજા શબ્દોમાં રોગી કાંતો સર્જરી કરાવીને, તરણોપાય-છેલ્લા ઉપાય તરીકે આયુર્વેદને શરણમાં આવે છે. એટલે આયુર્વેદમાં બતાવવામાં આવી તેવી અસાધ્ય અવસ્થાજ હોય છે અને છતાં વ્યવહારમાં આયુર્વેદ ઘણું કરે છે. સારવારની શ્રેષ્ઠ રીત આપણે સારવારમાં જોઈશું.