દિવાળીના ફટાકડા સાથે સંકળાયેલો એક પ્રસંગ દિવાળી આવતાં જ યાદ આવી ગયો.
૧૯૬૨ની દિવાળીએ ચીની સરહદ પર દેશભરમાં સંભળાય તેવા ફટાકડા ફૂટી રહ્યા હતા. કદાચ તે દિવસે ધનતેરસ હશે. ત્યારે હું લોકભારતી વિદ્યાપીઠમાં ચિકિત્સક હતો.
રેડિયો પર સમાચાર લેવા શ્રી બાલુભાઈ વૈદ્યના અનુજ મનુભાઈ દવેના ઘેર ગયો ત્યારે જોયું તો ઘરમાં હમણાં જ કંઈક બની ગયું હોય તેવું લાગ્યું.
જોયું તો તેમના બાર-તેર વરસના અરુણ (આજે તેઓ લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી છે – જુ.) ના હાથમાં મોટો ફટાકડો ફૂટી જવાથી અગ્નિદગ્ધ વ્રણ થયાં હતાં. હથેળીમાં ફોલ્લા અને તેના અસહ્ય દાહને લીધે અરુણ રડી રહ્યો હતો. જાણવા મળ્યું કે બુચભાઈ (ન.પ્ર.બુચ) ને ત્યાંથી બર્નોલ લાવીને લગાડ્યા છતાં આરામ થયો નહોતો.
…. હું દોડતોકને ગયો જયંતિભાઈ શેઠના આંગણામાં. જોયું તો પૂરું પાણી પીને કુંવાર ખૂબ પુષ્ટ બનેલી. એક લાબરું (કુંવારના છોડનું એક સળંગ એવું માંસલ પાન) લઈ આવ્યો.
એક તરફથી ઉપરની છાલ ઉતારી, ગર્ભ ઉપર ચપ્પુ ઘસી, દાઝેલા ભાગ ઉપર તેનો રસ પડવા દીધો. અને ઉપર ગર્ભનાં બરફ જેવાં ચોસલાં મૂક્યાં. ટાઢક તો તે જ ક્ષણે વળી ગઈ ને આંખમાંની આંસુની ધાર પણ સૂકાઈ ગઈ ને મોં પર હાસ્ય ! રાત્રે એક વખત ફરીને લગાડવાનું સૂચવેલું.
સવારે જોયું તો નવો ફોલ્લો થયો નહોતો. હતા તે ફોલ્લા મૂરઝાઈ ગયા હતા !
બે દિવસના વધુ ઉપચારથી થયેલા તદ્દન આરામને લીધે સંસ્થાનાં કેટલાંક આંગણાંમાં કુંવારબહેનની સન્માનપૂર્વક પધરામણી થઈ ગઈ !
* * *
કુંવારમાતાનો બીજો એક કિસ્સો વધુ અસરકારક ને ચમત્કારરુપ મળેલો. રસોયણ બહેન સાકરબહેન ખાખરા બનાવતાં હતાં. ગરમ ગરમ પાણી કેડથી પગ સુધી પડેલું તેથી નિતંબ, સાથળ અને પગના મોટા ભાગની ચામડીની ખોળ ઊતરી ગયેલી. બાજુમાં બેઠેલા ત્રણેક વરસના દીકરા જાદવને પણ ખૂબ છાંટા ઉડેલા. તાત્કાલિક રાહત માટે છાત્રાલયની બહેનોએ બર્નોલની બેએક ટ્યુબ લગાડી દીધેલી. પણ વેદના શમતી નહોતી. બાળકની ચીસો અસહ્ય દાહને લીધે દ્રાવક હતી. હોસ્પિટલ લઈ જવાની કોઈ શક્યતા નહોતી.
મને કુંવાર પર વધુ વિશ્વાસ હતો. સંસ્થામાં હતી તે પૂરતી નહોતી. મસ્જિદ બાજુ તપાસ કરાવી પણ ન મળી. એક વિદ્યાર્થીએ કોઈ વાડીમાં જોઈ હશે તે યાદ કરાવ્યું. સાઈકલ પર તત્કાલ બે જણાને મોકલ્યા. મોટાં અને રસભરપુર કુંવારનાં બે લાબરાં લાવ્યા. બેત્રણ ચપ્પુ વડે તેનો રસ અને ગર્ભ દગ્ધ ભાગો પર લગાડતાં જ દરદીએ કહ્યું, ‘હાશ ! હવે શાંતિ થઈ ! ટ્યુબને બદલે પહેલેથી જ આ લગાડ્યું હોત તો !’
સવાર થતાંમાં તો સારો એવો ફાયદો જણાયો. પ્રયોગ ખાતર કુંવારની સાથે કેટલાક ભાગો પર અન્ય ઉપચારો પણ કરેલા જેમાં કુંવારનો જ વિજય થયેલો !
* * *
આવા તો કેટલાય કેસમાં મેં કુંવારને અનુભવી છે. જાણે દગ્ધવ્રણને શમાવવા રુઝાવવા જ કુદરતે ટ્યુબ બનાવી હોય તેવું પ્રત્યેક વખતે પ્રતીત થયું છે.
બહેનોના વર્ગોમાં, પ્રવચનોમાં ને પ્રદર્શનોમાં મેં એનો પ્રચાર કર્યા જ કર્યો છે. વ્યાપક રીતે સારી સફળતાના સમાચારો મળતા રહ્યા છે. કેટલીક બહેનો તો રસોડામાં કુંવારનું એકાદ લાબરું ટાંગી રાખવા ટેવાઈ છે !
(સ્વ. વૈદ્ય શોભન વસાણી કૃત ‘અનુભવનું અમૃત’ ભાગ – ૧ માંથી)
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
સ્વ. વૈદ્ય શોભનનાં આયુર્વેદ સબંધિત લેખ મેળવવા માટે,