મામેજ્જક ઘનવટી
મામેજ્જક એટલે મામેજવો. ખેતરોમાં અને વગડામાં તેના સર્વત્ર નાના નાના કડવા છોડ ઊગી નીકળે છે. સુંઘવો ન ગમે તેવી તીવ્ર ગંધવાળો મામેજવો મફતમાં મળે છે. તેને લાવી સાફ કરી તેનો રસ કાઢી આ રસને ગરમ કરતાં માવા જેવો કાળો લોંદો બની જાય ત્યારે તેમાંથી વટાણા જેવડી ગોળી વાળી, છાંયે સૂકવી, કાચની બાટલીમાં ભરી રાખવી. સવારે સાંજે ૪-૪ ગોળી ભૂકો કરીને કે ચાવીને લેવાથી દરેક પ્રકારના ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ ખાંસી મટે છે. બ્લડ સુગરનો ઊંચો અંક હોય તેવા દર્દીને આ ઔષધ ખૂબ જ ઉપયોગી છે. નવો પ્રમેહ હોય તો સાવ મટી પણ જાય છે. જામનગરના પોસ્ટ ગ્રેજ્યુએટ સંશોધન કેન્દ્રમાં અસંખ્ય દર્દીઓ ઉપર ટ્રાયલ લીધા બાદ તે ઔષધ ખૂબ જ અસરકારક સિદ્ધ થયેલ છે. તેનો તાજો રસ લેવામાં આવે તો તેનું પરિણામ વધુ ત્વરિત અને આશ્ચર્યજનક જોવા મળે. કડવો રસ કફનો નાશ કરનાર અને મધુરતાનો વિરોધી હોવાથી શર્કરા મેહ (ડાયાબિટીસ)માં ખૂબ ઉપયોગી છે. તે ઉષ્ણ હોવાથી તેમજ તેમાં પાચક ગુણ હોવાથી પેન્ક્રિયાસને સક્રિય કરી ઇન્સ્યુલીન પેદા કરવામાં મદદગાર થાય છે. જેથી કૃત્રિમ ઇન્સ્યુલીનથી છુટકારો મેળવી શકાય છે. આ ઔષધ નિર્દોષ હોવાથી કોઈ રિએકશન આવતું નથી.
બ્લડયુરિયામાં શર્કરાના ટકા જતા હોય તેવા દર્દીએ ચાર-છ માસ તેનું સતત સેવન કરવું અને આહારમાં આમળાં, હળદર, કારેલાં, મેથી વગેરે વધુ લેવાં. તેણે ગોળ, ખાંડ, દૂધ, ઘી, માખણ, શિખંડ, આઇસ્ક્રીમ, મીઠાઈઓ, સૂકા મેવા, દહીં, બધાં મીઠાં ફળ વગેરેનો ત્યાગ કરવો. સવારે વહેલા ઊઠવું, બપોરે સૂવું નહિ, પરિશ્રમ-વ્યાયામ કરવો.
મામેજવો મેલેરિયા વગેરે તાવનું પણ મહૌષધ છે. જીર્ણ જ્વર, શીત જ્વર, વિષમ જ્વર, મેલેરિયાના બધા પ્રકારમાં ૬૪ ભાગ મામેજવો અને ૧-૧ ભાગ અતિવિષની કળી, કડુ અને લીંડીપીપર મેળવીને તૈયાર કરેલી મામેજ્જક ઘનવટી ખૂબ જ અસરકારક છે. તેમાં મામેજવાનાં પાનને સાફ કરી તેનો રસ કાઢી ૬૪૦ મિ.લિ. લેવો. તેને ગરમ કરી ઘન (માવા જેવું)
તૈયાર થતાં તેમાં ૧૦-૧૦ ગ્રામ કહેલાં ત્રણેય ઔષધો ઉમેરી વટાણા જેવડી ગોળી બનાવી લેવી. (એકલા મામેજવાની પણ ઘનવટી કરી શકાય છે. કારણ કે અતિવિષ મોંઘું છે ને સાચું મળવું મુશ્કેલ છે.) બાળકને ૧ અને મોટાને ૨ ગોળી પાણી સાથે સવારે-સાંજે-રાત્રે આપવી. કઠણ હોવાથી ભૂકો કરીને આપવી અથવા ચાવીને લેવી.
મામેજવો કડવો હોવાથી કૃમિને પણ મટાડતો હોવાથી ઉપરોક્ત મામેજ્જક ઘનવટી કૃમિવાળાં બાળકોને હંમેશાં પણ આપી શકાય. કડવાણીરૂપે તેનો ઉપયોગ કરી શકાય.
સંદર્ભ: “તમારો રોગ–તમારું આરોગ્ય”માંથી સાભાર.
નોંધ : આયુર્વેદને લગતાં લખાણો વિદ્વાન અને અનુભવી લેખકો પાસેથી સ્વીકારવામાં આવશે. લેખક પોતાનાં લખાણો અને પરિચય તથા ફોટોગ્રાફ નીચેના સરનામે મોકલી શકશે : jjugalkishor@gmail.com વોટસએપ ફોન : 9428802482