“વંદું છું હું વનસ્પતિ, ઔષધિઓ દેનાર,
આયુષ, બળ ને જ્ઞાન દઈ, કરતી બુદ્ધિમાન.”
નરહરિભાઈ ભટ્ટ
આવી વનસ્પતિને હંમેશાં લાખ લાખ વંદના કરતા ને સતત વનસ્પતિનું ૠણ અનુભવતા શ્રી નરહરિભાઈ નારણભાઈ ભટ્ટ ગામડાગામના એક સીધાસાદા માનવી. દહેગામ તાલુકાના ખાનપુર ગામમાં ૧૯૧૭ આસપાસ જન્મ. ગળથૂથીમાં જ આયુર્વેદની ભક્તિ પામેલા નરહરિભાઈનું જીવન અને કવન માનવસેવા, વનસ્પતિપ્રેમ અને ઈશ્વરભક્તીથી ઊભરાય છે.
અમદાવાદમાં ટેક્ષ્ટાઈલ મીલના કામદાર તરીકે જીવન વિતાવનાર શ્રી નરહરિભાઈમાં રહેલી શક્તિઓ તક મળતાં જ પ્રગટ થતી રહી. મીલકામદાર તરીકે તેઓ ગાંધીજીએ સ્થાપેલા મજૂર મહાજન સંઘમાં સીધા સંકળાયેલા હતા જ. પરંતુ તેમની સેવાભાવનાએ તેમને સેવાદળના સૈનિક તરીકે સક્રિય બનવાની તક ઝડપી લીધી. આને કારણે તેમને શ્રમિક જગતમાં નામના પણ ઘણી મળી. સેવાદળને કારણે જ તેઓ કામદાર વીમા યોજનાની સલાહકાર સમિતિના સભ્ય બન્યા. એ જ કારણસર ‘મજૂર સંદેશ’ નામના સંસ્થાના મુખપત્ર દ્વારા કવિરૂપેય ખ્યાતિ પામ્યા.
તેમનો બીજો ગુણ તે વનસ્પતિપ્રેમ. નાનપણથી જ તે બંધાયો હતો. ગામડામાં ખેતરનાં કામોમાં કોઈને દાતરડું કે કોઈ સાધન વાગી જાય ત્યારે હાથવગા ઉપચારમાં યોજાતા ઘાબાજરિયું કે કુકડવેલના ચમત્કારોથી તેઓ અભિભૂત થયેલા.
એવામાં પંદરેક વરસની ઉંમરે ગાંધીજીએ લખેલી પુસ્તિકા ‘આરોગ્ય વિષે સામાન્યજ્ઞાન’ તેમના વાંચવામાં આવી. તેની અસરમાં તેમણે સાજા રહેવાની ને માંદા ન પડવાની વાત જાણી ને કોઠે કરી લીધી. દિનચર્યા અને ૠતુચર્યાનું સ્થાન તેમના જીવનમાં કાયમી થઈ ગયું.
સેવાદળમાં હતા ત્યારે વીમાયોજનાના દવાખાનાના એક વૈદ્યરાજ શ્રી પુરુષોત્તમ જાનીનો કટાક્ષ “સેવાદળમાં રહેનારાએ આવા માંદલા શરીરે ન જીવાય. આવો મારી સાથે ને નરવા બનો.” તેમને અખાડામાં જતા કરી દે છે. પછી તો આયુર્વેદનું વાચન પણ વધતું જ ગયું.
પણ યરવડાની જેલમાં હતા ત્યારે એમને એક બીમારી વળગી. બરોળ વધી. કોઈ ઉપચાર કારગત ન નીવડ્યા, એવામાં એમને કોચરબ આશ્રમ નજીકના મનુવર્યજી પાસે યોગની તાલીમ મળી. એને લઈને એમનો એ રોગ મટ્યો. પણ છેક ૧૯૬૭–’૬૮માં સાયકલ પર વાગવાથી ઘૂંટણની ઈજા ભોગવવાની આવી જેણે એમને એક નવી જ દિશાનું પગરણ માંડી આપ્યું અને તેઓ ઔષધીય વનસ્પતિઓનાં ૨૦૦ જેટલાં કાવ્યો લખી શક્યા !!
ઘૂંટણની બીમારી તો એમને મીલમાંથી રાજીનામું આપવું પડે તે હદે લઈ ગઈ. કોઈ ઉપાય ન થયો ત્યારે વીમા યોજનાના દવાખાનામાં વૈદ્ય તરીકે સેવા આપનાર વૈદ્ય શોભનની સારવાર મળી ગઈ. બે જ અઠવાડિયામાં ઘૂંટણ સો ટકા સારો થઈ ગયો !! આ જ બાબત તેમને નવેસરથી આયુર્વેદ અને શોભન સાથે જોડી આપનારી બની રહી.
ત્રીજી એમની નિષ્ઠા રહી તે ઈશ્વર પ્રત્યે, ધાર્મિક અને આધિભૌતિક બાબતો પ્રત્યે ઉપરાંત વેદોક્ત વિધિઓ સાથે… તેઓ ગોરપદુંય કરતા અને સાથે સાથે વૈદિક વિધિઓના ભાગરૂપે કેટલાય સંસ્કારો કરાવતા, જેમાં ગ્રામીણ ટુચકાય આવી જતા ! મુંજની દોરીને રૂ–તેલમાં બોળી, સળગાવીને કોઈનો આંખનો ઝોંકો ઉતારવો, પેચોટી ખસી ગયેલાને ઠીક કરી આપવું તથા ક્ષીણ શરીર થઈ ગયેલાં બાળકોની એક વિશિષ્ટ પ્રકારની સારવાર કરવી વગેરે તેમને લોકપ્રિય બનાવનાર ગણાય. આવાં બાળકોની કમરે તેઓ નાગરવેલનાં પાનનો રસ ઘસીને શરીરમાંથી કાંટા જેવો પદાર્થ કાઢતા તે તો કોઈનેય ન સમજાય તેવું હતું !
ૠષિઓ અને વડવાઓએ જે બતાવ્યું છે તેનાં વૈજ્ઞાનિક કારણો–તથ્યો શોધવામાં તેમને બહુ રસ. આ બધાંમાં કાંઈક તો સંકેતો હશે જ તેવી તેમની શ્રદ્ધા એમની પાસે ઘણા પ્રયોગો કરાવનારી હતી. આયુર્વેદ અને ઈશ્વર પરની તેની શ્રદ્ધા તેમના કવનનું આધારભૂત તત્ત્વ છે. એમના જીવનવ્યવહારોમાં અને કવનમાં આ તત્વો ધ્રુવપંક્તિ બનીને વહે છે.
એમની એક માંદગી એમને લગભગ મત્યુશૈયા સુધી ખેંચી જાય છે. આ વખતેય શોભન વચ્ચે આવ્યા ! નરહરિભાઈને પાછા વાળ્યા એટલું જ નહીં, ગુજરાત માટે એક ચમત્કારિક કામગીરીને પ્રેરનારા પણ બન્યા.
માંદગીના બીછાને સમય પસાર કરવા માટે શોભન તેમને પોતાનાં આયુર્વેદીય ભાવનાભર્યાં કાવ્યોની કેસેટ સાંભળવા માટે આપતા ગયા. આ કેસેટનાં કાવ્યો સાંભળીને ભટ્ટજીની અંદર રહેલો આયુર્વેદીય ઔષધિઓનો ભાવક જાગી ઊઠ્યો. એમણે એક કાવ્ય લીમડા વિશે લખીને શોભનને બતાવ્યું. શોભને ખુશ થઈને એવાં વધુ કાવ્યો લખવા માત્ર અછડતું સૂચન જ કર્યું, પણ બીછાને પડેલા આ જીવને તો જાણે ઢાળ મળી ગયો ! ધસારાબંધ કાવ્યો રચાવા માંડ્યાં. આંકડો સોએક ઉપર ગયો ત્યારે આ કાવ્યો મને બતાવીને શોભનજીએ મારો અભિપ્રાય માંગ્યો. હું ૧૯૬૨–’૬૫નો એમનો વિદ્યાર્થી હતો. પણ સાહિત્યના માણસ તરીકે મેં કહ્યું કે વાનસ્પતિક અને ઔષધીય બાબતો ઉત્તમ છે પણ કાવ્યત્વ બાબતે બહુ તકલીફ છે. એમણે પૂછ્યું કે શું થઈ શકે ? મેં કહ્યું કે એને મઠારી શકાય તો કામ થાય. મને એમણે લગભગ આજ્ઞા જ કરી દીધી !
એમનાં ૧૨૦ જેટલાં પદ્યોને કંઈક કાવ્ય કહી શકાય એવું રૂપ આપવા મહિનાઓ ગયા. શબ્દો, વાનસ્પતિક નામો, ઔષધિઓના ગુણો, ઉપચારો અને ભાવનાઓ જેમની તેમ રાખવાનું અનિવાર્ય હતું. છતાં તેય થઈ શક્યું… … …
અને એમ એમનો ઐતિહાસિક કાવ્યસંગ્રહ ‘ઔષધિગાન ભાગ – ૧’ શ્રી શોભન દ્વારા પ્રગટ થયો ! ઔષધીય વનસ્પતિઓનાં ગુણ ગાતાં કાવ્યોનો ગુજરાતનો એ પ્રથમ સંગ્રહ બન્યો….
(સંક્ષિપ્ત પરિચયઃ જુગલકિશોર)