કેન્સર(૨)
રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ
પહેલા કારણનો વિચાર કરો તો જણાશે કે બહારના બધા જ કેન્સર કરનાર દ્રવ્યો-કાર્સિનોજન્સ શરીરના બહારના ભાગે છે કે અંદરના ભાગે સતત સંપર્કમાં રહે તો જ તે કેન્સર કરી શકે છે. આપણે અગાઉ જોઈ ગયા કે જાપાનમાં બે વિજ્ઞાનીઓએ સસલાના કાનમાં ડામર સતત ઘસ્યા કર્યો. ત્યારે ત્યાં કેન્સર થયું. આંતરડામાં ખાસ કરીને મોટા આંતરડામાં કબજિયાતના કારણે મળ સાથે રહેતા કેન્સરના દ્રવ્યો જ ત્યાં કેન્સર કરી શકે છે. જુના જમાનામાં મલ્લયુદ્ધો બહુ થતા ત્યાં કેન્સર થતું જોવા મળતું એટલે ચોક્ક્સ ભાગ પર મુઠ્ઠી મારી શકતો એટલે મુઠ્ઠીના પ્રહારો જેમાં વધુ થતાં ત્યાં કેન્સર થતું જોવા મળતું એટલે આયુર્વેદમાં મુષ્ટિપ્રહારનો ઉલ્લેખ છે. કહેવાની ભાગ્યેજ જરૂર છે કે આજે ધરતી પર કોલસા-સળગતા રાખતાં થતું ‘કાંગરી કેન્સર’ જે કાશ્મીરના ગરીબ પ્રજાજનોમાં થતું જોવા મળે છે. ધોતી કેન્સર, કછોટા કેન્સર એ આ સતત પીડા પામતા અંગોમાં થતા કેન્સરનાં ઉદાહરણો છે. તો મોઢામાં તમાકુ ભરી રાખતાં કે સોપારીનો ડુચો ભરી રાખતાં, જોવા મળતાં કેન્સર વધુ ધુમ્રપાનથી થતાં કેન્સર પણ આ ‘સતત પીડન’નાં ઉદાહરણો છે.
બીજું ઉદાહરણ પ્રદુષ્ટ આહાર-પેયનું છે. પ્રદુષ્ટ એટલે પોલ્યુટેડ. અનાજ, ફળો, શાકભાજી કે માંસ પ્રદુષિત હોય તો પણ કેન્સર થઈ શકે છે. તે વાત આયુર્વેદમાં હજારો વર્ષથી પ્રચલિત છે. હા, અન્ય ખાદ્ય સામગ્રી કરતાં માંસ જો પ્રદુષિત હોય તો કેન્સરનું જોખમ વધે છે. એટલે ત્યાં ‘પ્રદુષત માંસસ્ય’ શબ્દ વાપરવામાં આવ્યો છે. પ્રદુષિત કેવો કાળો કેર વર્તાવે તે તો તમે ‘મેડ કાઉ-ગાયો’ના કિસ્સામાં વાંચ્યું હશે ? આ માટે યુરોપ કંટ્રીમાં હજારો ગાયોની કત્લ કરવામાં આવી હતી. અને લોકો-માંસાહારીઓ માંસ ખાતા થરથરી ગયા હતા.
ત્રીજું કારણ માંસાહારનો વધુ પડતો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. કહેવાની જરૂર નથી કે માંસમાં રેષા હોતા નથી. એટલે તેમાં જો પ્રદુષણ જમા થયું હોય તો આહારની સાથે તે પુરેપુરું શોષાઈ જાય છે. જ્યારે અનાજમાં છોડા, રેસાઓ હોવાના કારણે તે મોટાભાગે મળ માર્ગે નીકળી જાય છે. એટલે વધુ માંસાહાર, વધુ કેન્સર એવું સૂત્ર બતાવી શકાય. તમે રોજ છાપાઓમાં વાંચો છો કે પશ્ચિમના દેશોમાં શાકાહારીઓનું પ્રમાણ વધતું જાય રે. તેઓ કેન્સરથી બચવા માંગે છે. આયુર્વેદમાં આ કારણને ‘માંસ પરાયણ’ શબ્દથી નવાજ્યો છે. બોલો છે ને ગાગરમાં સાગર ?
હવે શું તમે એમ માનવા તૈયાર થશો કે કેન્સર શબ્દ અને તેનાં કારણો સૌ પ્રથમ હીપોક્રેટસએ બતાવ્યાં હતાં ? આજે કોઈ ઓકોલોજિસ્ટ-કેન્સર નિષ્ણાતને પૂછો કે હીપોક્રેટસ અને ગેલન દ્વારા બતાવવામાં આવેલ કારણો કેટલાં વૈજ્ઞાનિક છે ? તો કહેશે કે સહેજ પણ નહીં ? અને સામે પક્ષે સુશ્રુત દ્વારા બતાવવામાં આવેલ કેન્સરનાં તદ્દન સૂત્રાત્મક કારણો આજે પણ એટલાં જ વૈજ્ઞાનિક છે. હવે જો હીપોક્રેટસને ફાધર ઓફ મેડિસિન્સ કહેવા હોય તો સુશ્રુતને કોના ફાધર કહેશો ? યાદ રાખો હીપોક્રેટસનો ગાળો અઢી હજાર વર્ષ પહેલાં છે, સુશ્રુતનો સમય ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાંનો છે. ટૂંકમાં ઓગણીસમી સદીનો અંત અને વીસમી સદીની શરૂઆત પહેલાં આજના શ્રેષ્ઠ ગણાતા કેન્સરવિજ્ઞાન પાસે કેન્સર કેમ થાય છે તે ખબર નહોતી. જ્યારે આયુર્વેદવાળાઓને હજારો વર્ષ પહેલાં કેન્સરના કારણોનું વૈજ્ઞાનીક જ્ઞાન હતું. અને બીજું કેન્સર અને અન્ય રોગના જે ચાર કારણો-મ્યુક્સ, યલો બાઈલ, બ્લેક બાઈલ અને બ્લડ બતાવવામાં આવ્યાં છે, તે કેન્સરની દ્રષ્ટિએ અપ્રસ્તુત હોવા છતાં કહેવું જોઈએ કે તે પણ આયુર્વેદે બતાવેલ ચાર કારણોની જ વાત છે. આરબો દ્વારા અને ભારતીય ક્ષત્રિયો દ્વારા આ જ્ઞાન ગ્રીક પ્રજાને થયું હતું તેનો આ પુરાવો છે.
કેન્સરના કારણ અંગે હવે જો તમારો કોઈ પ્રશ્ન બચ્યો હોય તો એક જ બચ્યો હોઈ શકે કે અમે અમારા વ્યવહારમાં કેન્સર કરનારાં કેટલાં કારણોથી બચીએ તે બતાવો. તમારે કેન્સર કરનારાં કારણોથી બચવું છે ? શક્ય જ નથી. હા, શહેર કરતાં ગામડાવાળાઓને માટે થોડો બચાવ છે. બાકી અમેરીકન લેખકના શબ્દો યાદ કરો, તેણે કેન્સર કરનાર દ્રવ્યોથી બચવું હોય તો ‘શ્વાસ લેવાનું બંધ કરો, ખાવા-પીવાનું બંધ કરો અને બહાર જવાનું બંધ કરો’ શું આ શક્ય છે ? લગભગ અશક્ય છે, છતાં—
- જેટલું વાતાવરણ વધુ ખુલ્લું તેટલું પ્રદુષણ ઓછું.
- શહેરમાં બહાર નીકળો તો રીક્ષાના, સ્કુટરના અને ડીઝલવાળા વાહનોના ઘૂમાડા માત્ર કેન્સરનાં ઘર છે.
- ઘરમાં વપરાતા ટૂથપેસ્ટ અને પ્લાસ્ટિકના બ્રશો કેન્સર કરી શકે છે.
ડીટરજન્ટ અને તેની બનાવટોવાળી બધી જ કોસ્મેટિક્સ આઈટમ કેન્સર કરે છે. એર ફ્રેશનરથી માંડીને ફ્રીઝ કોઈથી, તમો બચી શકો તેમ નથી.
- સિગારેટ, બીડી, તમાકુ, ગુટખા, બહુ પાન, બહુ સોપારી કેન્સર કરે છે.
તમે ખાઓ છો તે અનાજ, શાકભાજી, દૂધ, ઘી બધામાં પ્રદુષણ કરનારાં તત્વો આવી ગયાં છે. તમે ખાઓ છો તે અનાજ, શાકભાજીઓ ફર્ટિલાઈઝર નાંખીને ઉછેર્યા હશે. તમે વાવેલા ફળો આજ ફર્ટિલાઈઝરથી ઉછેર્યા હશે તો કેન્સર કરશે. છાણિયું ખાતર નહીં કરે. તમે જો જંતુનાશક દવાઓ આ શાકભાજી, ફળો અને અનાજ પર છાંટ્યા હશે તો કેન્સર કરશે અને માંદગીમાં તમે જે દવાઓ સ્ટ્રેપ્ટોમાઈસીન, ક્લોરોફેનિકોલ, એનાલ્જેસિક કે ટ્રાંકવિલાઈઝર લેતા હો તો તે પણ કેન્સર કરી શકે છે.

