Category Archives: General

‘આયુર્વેદ પરિવાર’

હજારો વરસ પૂર્વે માનવજીવનને રોગમુક્ત રાખવા માટે “રોગ આવે જ નહીં” એ માટેના ઉપાય સૂચવતી દિનચર્યા, ઋતુચર્યા અને જીવનચર્યા જેણે ચીંધીને માનવીને ‘સહજ શતાયુ’ થવાના માર્ગો બતાવ્યા હતા તે આયુર્વેદને આપણે ભૂલી રહ્યાં છીએ !

આપણી જીવનશૈલી, આપણા આહાર, આપણા વિહાર અને જાતજાતના અનારોગ્ય આપનારા રિવાજો–તહેવારોથી દોરવાઈને આજે આપણે સૌ જાણેઅજાણે શારીરિક–માનસિક ઉપરાંત સામાજિક રીતે કથળી રહ્યાં છીએ.

આવે સમયે, હજી પણ આપણો આયુર્વેદ આપણને નિરામય જીવનની ખાત્રી આપતો ઊભો છે. આજના આધુનિક યુગમાં એવી છાપ છે કે આયુર્વેદ હવે સમયની બહારનો થઈ ચૂક્યો છે. આયુર્વેદ પાસે સંશોધનવૃત્તિ નથી; સંશોધનનાં સાધનો નથી; સમય સાથે રહેવા માટે જરૂરી સગવડો નથી વગેરે વગેરે.

પરંતુ – ઉપરોક્ત છાપને થોડીઘણી માન્ય રાખીને પણ – જો આપણે થોડું ઊંડાણમાં જઈને તપાસીશું તો એ છાપને ભૂંસી નાખવા માટે પૂરતી તક છે. પંચમ વેદ તરીકે ઓળખાઈને સ્થાપિત થયેલી આ કોઈ સામાન્ય પથી માત્ર નથી. એ શાસ્ત્ર છે – સિદ્ધ થયેલું શાસ્ત્ર !

આ શાસ્ત્રને વ્યવહારુ બનાવવા માટે, આપણા સૌના જીવનમાં રોજબરોજની જીવનરીતિ બનાવવા માટે એને પ્રસારવાની જરૂર છે. પ્રસારવા માટે પ્રચારવાની જરૂર છે. કારણ કે આજનો જમાનો પ્રચારનો જમાનો છે. ચળકતું પિત્તળ પણ સોનું બનીને બજારમાં ઊભું છે ! આવે સમયે શુદ્ધ સુવર્ણની ઓળખ જનસમસ્તને કરાવવાનું હવે જરૂરી અને તાકીદનું બની ગયું છે.

આયુટ્રસ્ટ, એના સ્થાપકશ્રીની આયુર્વેદવિભાવનાને મૂર્તરૂપ આપવા તત્પર છે. આ માટે અનેક કાર્યક્રમોની વિચારણા ટ્રસ્ટની છેલ્લી સભામાં થઈ હતી. આના જ ભાગરૂપે ગુજરાતભરના આયુર્વેદચાહકો, વૈદ્યો, આયુર્વેદના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોને આયુપરિવારરૂપે જોવા ઇચ્છે છે. ભવિષ્યના કાર્યક્રમોની જાહેરાત હવે પછી સમયસમય પર આ સ્થાનેથી થતી રહે તેવી યોજના પણ વિચારાઈ હોઈ સૌ સહયાત્રીઓને વિનંતી કરવાની કે આપનું ઈમેઈલ એડ્રેસ, વોટસએપ નંબર, ફોન નંબર વગેરે સાથેના વોટસએપ પર જણાવીને આ મહાકાર્યને આપનો સહયોગ આપશો.

સંપર્ક માટે :

વોટસએપ ફોન નં. 9428802482 / ઇમેઇલ એડ્રેસ : jjugalkishor@gmail.com

“રોજિન્દો આહાર” વિશે લેખક

મારે લાંબા અનુભવે ભારપૂર્વક કહેવું જોઈએ કે –

ઉપચાર કરતાં પ્રતિકાર ઇચ્છનીયએ સૂત્ર અનુસાર રોગો થયા પછી તેના ઉપાય કરવા સમય, શક્તિ અને સંપત્તિ વેડફવાં તે મૂર્ખામી છે. તેને બદલે રોગ થાય જ નહીં તેવા આહાર-વિહાર યોજવા તે ડહાપણભર્યું છે. આપણા પૂર્વજોમાં આ ડહાપણ હતું તેથી તેમણે આયુર્વેદિક શાસ્ત્રમાં આહાર-વિહારને ઘણું મહત્ત્વ આપી દિનચર્યા, ઋતુચર્યા તેમજ આહારનિયમોની રચના કરી.

આરોગ્ય રક્ષા અર્ધો આધાર આહાર હોવાથી આ પુસ્તકમાં રોજીંદા આહાર”ની રોજિંદી વાતો લખવામાં આવી છે. તેમાં સદા પથ્ય અને સદા લેવામાં આવતાં દ્રવ્યો વિશે
શક્ય તેટલી શાસ્ત્રીય અને વહેવારુ માહિતી આપવામાં આવી છે. મારે લાંબા અનુભવે ભારપૂર્વક કહેવું જોઈએ કે… આહાર વિષેની સુવ્યવસ્થિત, સ્થિર, સરવાળે હિતકારી, સરળ અને સ્વાવલંબી વિચારણા જેટલી આયુર્વેદમાં કરવામાં આવી છે
તેવી અન્ય કોઈ આરોગ્ય વિજ્ઞાનમાં કરવામાં આવી નથી. આયુર્વેદના આ જ્ઞાન પુનઃ ઘર ઘરમાં, શાળાઓમાં, કૉલેજમાં, સંસ્થાઓમાં મુક્ત રીતે આપવામાં આવે તો આપણી માંદગીમાં આશ્ચર્યજનક ઘટાડો થયા વિના ન રહે..

આહારજ્ઞાનના જિજ્ઞાસુ વાચકોએ મારા નિત્ય નિરોગી, આહાર, રોજિંદો આયુર્વેદ, ફળ : આહાર રૂપે ઔષધ રૂપે. શાકભાજી-કઠોળ : આહારરૂપે ઔષધ રૂપે, મસાલા
મુખવાસ : આહાર રૂપે ઔષધ રૂપે તેમજ આહાર વિવેક પુસ્તક અવશ્ય વાંચવાં.

આયુ સેન્ટર                                                                                         શોભન
૩૦૩, હરેકૃષ્ણ કોમ્લેક્સ,                                                               ૨૯-૯-૯૩

તા.ક. ઉપરોક્ત પુસ્તિકા “રોજિન્દો આહાર”માંનાં ૩૫ પ્રકરણોમાં જીવનની અનેક ઉપયોગી રોજિન્દી વાતો એક પછી એક અહીં દર શનિવારે મૂકવામાં આવશે. આશા છે, વાચકો તેને પસંગ કરશે જ. – સં.

અમેરિકામાં આયુર્વેદની ધૂમ અને ધૂન

આજે સવાર સવારમાં જ ફેસબુક પર DNA ચેનલ પર એક વીડિયો જોવા–સાંભળવા મળ્યો. વાંચીને સાનંદાશ્ચર્ય થયું. અમેરિકામાં જાણે કે શોભનભાઈનું જ એક પુસ્તક શીર્ષકરૂપે આયુર્વેદની ધૂમ મચાવી રહ્યું ન હોય : “આયુર્વેદ હવે ઘરઘરમાં” !!

ચેનલમાં પ્રવક્તાએ જે વિગતો આપી તેનો ભાવાનુવાદ ટૂંકમાં લગભગ આ પ્રમાણે હતો :

  • અમેરિકા હવે આદૂંનો સ્વાદ માણવા આતુર છે.
  • હળદરને હેલ્ધી લાઇફ બનાવવા અસરકારક ઔષધરૂપે પ્રયોજવા ધારે છે.
  • તુલસીને બીમારીઓ સામે લડવા માટે તલવારરૂપે વીંઝવા માગે છે.
  • અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં આયુર્વેદની લોકપ્રિયતા ઊભી થઈ ચૂકી છે
  • અમેરિકાના હેલ્થ વિભાગે કૅન્સરના ઉપાયને ધ્યાનમાં લઈને ભારતની આયુર્વેદસંસ્થાઓ સાથે સંપર્ક શરૂ કરી દીધો છે.
  • આદૂંની એક વિશેષ જાત પર કૅન્સરના ઈલાજ બાબત સંશોધન થઈ રહ્યું છે.
  • ૩૫૭૪ પેપર્સ કૅન્સરના સંશોધન અંગે તૈયાર થયાં છે; હળદર પર ૧૧૬૧ પેપર, આદૂંના ફાયદા પર ૨૫૦૦ પેપર, સૂંઠના ફાયદા પર ૬૬૮ પેપર, જીરૂના લાભો અંગે ૫૮૨ પેપર તૈયાર થયાની માહિતી આ ચેનલ પરથી જાણવા મળી છે !!

અમેરિકામાં માતાઓ પોતાનાં બાળકોને શરદી–ઉધરસ જેવી તકલીફોમાં દવાખાને લઈ જવાને બદલે ઘરે જ હળદરવાળું દૂધ વિશ્વાસથી પીવડાવે છે !

હોટેલોમાં હવે હળદર, લવિંગ, આદૂં, કાળાં મરીનાં મિશ્રણથી તૈયાર થયેલાં જાતજાતનાં પીણાં લોકપ્રિય થયાં છે. “ટર્મરિક કૉફી”નું નામ યાદ રાખી લેવું પડશે કારણ કે હવે ભારતમાં વાયા અમેરિકા આ પ્રકારનાં પીણાં આવી રહ્યાં છે ! (ગામડાંમાં જ તૈયાર થયેલાં શાકભાજી શહેરમાં જઈને ગામમાં વેચાવા આવે તેવી વાત કહેવાય !)

ચેનલના કહેવા મુજબ અમેરિકામાં ત્રણેક લાખ લોકો આયુર્વેદના સિદ્ધાંતો મુજબ જીનરીતિ અપનાવી ચૂક્યા છે.

આસો માસની તેરશને દિવસે ભારતમાં સોનું ખરીદવાનો રિવાજ છે પણ મોટાભાગનાને ખબર નહીં હોય કે આ ધનતેરશ એ આયુર્વેદના દેવતા ધન્વન્તરિ દેવનો દિવસ છે ! આયુર્વેદના અનુયાયીઓ આ દિવસે તેમની પૂજા કરે છે.

આશા રાખીએ કે ભારતના લોકો વાયા અમેરિકા આયુર્વેદને અપનાવીને પોતાની અઅક્ષમ્ય ભૂલ સુધારશે.

સૌજન્ય અને સંદર્ભ : DNA ચેનલ : https://www.facebook.com/NirogStreet/videos/938506349835342/

આયુર્વેદ : રાષ્ટ્ર-ચિકિત્સા

આયુર્વેદ

आयुर्हिताहितं व्याधिर्निदानं शमनं तथा ।

विद्यते यत्र विद्वदिभः स आयुर्वेद उच्यते ।।भावप्रकाश

આયુષ્ય માટે હિતકર શું અને અહિતકર શું ? રોગોનાં કારણ અને ઉપાય શાં ? એ બધું વિદ્વાનો જે શાસ્ત્ર દ્વારા જાણે છે તેને ‘આયુર્વેદ’ કહેવામાં આવે છે.

આયુર્વેદ-ચિકિત્સા જ રાષ્ટ્ર માટે સૌથી વધુ ઉચિત ચિકિત્સા પ્રણાલી છે, કારણ કે-

તે ભારતીય સંસ્કૃતિનું મુખ્ય અંગ છે; ઋષિમુનિઓનો અમર વારસો છે; આપણા ભગીરથ પુરુષાર્થનું પ્રતીક છે.

તે હજારો વર્ષોના અનુભવથી રચાયેલ છે; હજારો વર્ષો પસાર થયા છતાં તેમાંનું કશું પણ ખોટું ઠરી શક્યું નથી, ઊલટાનું સત્યની કસોટીમાં દિનપ્રતિદિન વધુ ને વધુ ઉત્તીર્ણ થતું જાય છે.

તેનાં મૂળ હજારો વર્ષ પહેલાં નંખાયેલા છે અને તે તિબેટ, ચીન, બ્રહ્મદેશ, સિલોન, જાવા, સુમાત્રા, અરબસ્તાન, ઈરાન અને ગ્રીસ સુધી પણ ફેલાયેલાં છે !

તે ગામડે-ગામડે, શહેરે-શહેર અને ઘેર-ઘેર પ્રત્યેક ભારતવાસીઓની રગેરગમાં વસી ગયેલ છે. તેનાં ઔષધો સર્વત્ર મળી શકે તેવા, સસ્તાં, હિતકર અને નિર્દોષ છે.

ગુલામીનાં સેંકડો વર્ષ પસાર થવા છતાં, દેશની ૮૨ ટકા જનતા આજે પણ એનું જ શરણ સ્વીકારી તંદુરસ્તી જાળવે છે, મેળવે છે. સ્વસ્થવૃત્ત અને સદ્દવૃત્ત દ્વારા તે તન કે મનમાં, રોગના એક પણ અંશને દાખલ થવા દેતી નથી અને દાખલ થયેલાને પૂર્વરૂપમાં જ પથ્ય દ્વારા આગળ વધતો અટકાવે છે.

તે એક રોગને કાઢતાં તેની સાથે સંબંધ ધરાવનાર અનેક રોગોને જડમૂળથી દૂર કરે છે. જૂનામાં જૂના અને દરેક જાતના સાધ્ય રોગોને શોધન, શમન કે પથ્ય દ્વારા બહાર ફેંકી દે છે.

યુગોથી વારસાગત સંબંધ હોવાથી તેમાં આપેલા ઉપાયો, નિયમો કે ઉપચારો પ્રત્યેક માણસને અનુકૂળ બને તેવા છે. તેને અપનાવવાથી માણસ પોતાની જાતે રોગ, તેનાં કારણ અને ઔષધો વિષે જાણકાર થઈ જાય છે તેમ જ તેને નીરોગી રહેવા માટેનો સાચો માર્ગ પણ મળી જાય છે.

તે માત્ર રોગની ચિકિત્સાનું જ શાસ્ત્ર નથી પણ જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શનાર અદ્રિતીય વિજ્ઞાન છે.

તે સ્વાવલંબન, સ્વદેશી અને રાષ્ટ્રપ્રેમના તાણાવાણાથી વણાયેલ છે. અને એ રીતે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાષ્ટ્રિય દ્રષ્ટિએ દેશને સૌથી વધુ અનુકૂળ છે.

ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા સમયે, વધુ વિસ્તારમાં તે આપણી આરોગ્ય-સમસ્યાને હલ કરી શકે તેમ છે.

ટૂંકમાં, આરોગ્યશાસ્ત્ર અને ચિકિત્સાશાસ્ત્રની જે લાયકાત હોવી જોઈએ તે બધી આયુર્વેદમાં છે અને એ રીતે તે આપણી રાષ્ટ્ર-ચિકિત્સા છે.

વૈદ્ય શોભન વસાણી (શોભનકૃત ‘રોજિંદો આયુર્વેદ’માંથી સાભાર)

હેરડાય સામે લાલબત્તી

આજકાલ નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યાઓ ખૂબ જ જોવા મળે છે જે લોકો માટે ખૂબ ચિંતાનો વિષય બની જાય છે. પરંતુ  આના ઉપચાર કુદરતી દ્રવ્યો દ્વારા કઈ રીતે કરવા તેનું જ્ઞાન પણ ન હોવાને કારણે તથા આ સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ શકતા નથી તેવી માન્યતાને કારણે લોકો હેરડાય તરફ વધુને વધુ આકર્ષાય છે.

એક મોજણી પ્રમાણે સફેદ વાળથી કંટાળેલા ૮૭ ટકા લોકો હેરડાય કરે છે. અથવા કરાવે છે. આ લોકો જાણતા નથી કે એકનો ઉપાય કરતાં તેઓ બીજી ઘણી વધારાની ઉપાધીઓ ઉભી કરે છે. હેરડાય આપણા શરીર માટે એટલી નુકશાનકર્તા છે કે તેના જેટલું ખરાબ એકે સાધન નથી.

અમેરિકામાં થયેલ સંશોધન મુજબ ડાઈમાં વપરાતું પેરાફિનાઈલીન ડાયામાઈન આંખમાં મોતિયો અને ઝામર જેવા રોગો પેદા કરે છે. અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યુટના સંશોધન મુજબ હેરડાઈમાં વપરાતા ૧૩ રસાયણો કેન્સર માટે જવાબદાર છે.

હેરડાયથી થોડા જ સમય પછી વાળ ઉતરવા લાગે છે. ટાલ પણ પડે છે. કેટલાકને તો ત્વચા પર એલર્જી થાય છે. રેશીઝ પડે છે. કેટલાકને સોરાયસીસ થાય છે, જે ચામડીનો ખરાબમાં ખરાબ રોગ છે. ક્યારેક ખંજવાળ આવે છે, પછી સોજો થાય, ખોપરીની ચામડી ઉખડવા લાગે, કેટલાકને ખસ, ખરજવું પણ થાય છે. અરે, હેરડાઈથી કેટલાકને કેન્સર પણ થાય છે.

હેરડાયથી આંખોને ઘણું નુકશાન થાય છે. હેરડાયથી સેક્સ ઉપર પણ ઘણી અસર થાય છે. તેનાથી સેક્સહોર્મોન્સ ઓછા થાય છે. પરિણામે દાંપત્યજીવન પર પણ ગંભીર અસર થાય છે.

આમ હેરડાયથી સૌંદર્ય તો થોડું મેળવી શકાતું હશે પણ આપણે તે સાથે દશ ગણું નુકશાન પણ વહોરી લઈએ છીએ. તે આપણામાંથી કોઈ જાણતું નથી.

અને સફેદ વાળ માટે હેરડાય સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એવા ભ્રામક ખ્યાલ નીચે આપણે જીવીએ ત્યાં સુધી હેરડાય કર્યા સિવાય રહી શકતા નથી, પરંતુ તેમ નથી. પ્રાચીન કાળમાં પણ પ્રકૃતિમાંથી મળતી વનસ્પતિઓ વડે વાળને રંગતા. હજી પણ આયુર્વેદ પાસે તે માટેના તંદુરસ્ત, આરોગ્યવર્ધક ઉપચારો છે જ પણ આયુર્વેદના ઘણા અભ્યાસીઓ આ ઉપાયો અંગે નહિવત્ જાણકારી ધરાવે છે. કારણ કે એમાં તેમણે મૂળ તો રસ જ લીધો હોતો નથી. હજી પણ ટ્રીટમેન્ટ દ્વારા સફેદ વાળને આયુર્વેદિક વનસ્પતિઓ દ્વારા મૂળમાંથી કાળા બનાવી શકાય છે અને વાળ અને શરીરના સામાન્ય આરોગ્યને લેશ માત્ર હાનિ પહોંચાડ્યા વિના. કેટલાકને તો ૪-૬ માસમાં જ સારો ફાયદો થયાના દાખલા છે.

પરંતુ આપણને ધીરજ નથી. એના કરતા તો આપણને આખી જીંદગી હેરડાય કરવાનું વધુ ગમે છે. કારણ કે તે તાત્કાલિક પરિણામ આપે છે. પછી ભલેને ગમે તેટલું અને કાયમી નુકશાન થતું હોય.

વૈદ્ય નીતાબહેન ગોસ્વામી લિખિત “વાળનું સૌંદર્ય”માંથી સાભાર.

સંપર્ક : Phone : 9825071774 mail : drnitaben@sify.com

વૈદ્ય મિત્રો !

આયુ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓના ભાગ રૂપે શરૂ થયેલા આ બ્લૉગ આયુ ડાયજેસ્ટમાં આપ સૌનું સ્વાગત છે !

આ બ્લૉગનાં પાનાં પર આયુર્વેદ વિષયક લખાણો – જેમાં રોગ–ચિકિત્સા, ઔષધયોજના, વનસ્પતિ પરિચય, ચિકિત્સાના અનુભવો, ગ્રંથપરિચય જેવા અનેક વિષયો પર આપ લખીને અમને મોકલશો તો આયુ ડાયજેસ્ટ પર તેને પ્રગટ કરીને આયુર્વેદપ્રસારમાં આપનું એ યોગદાન ગણીશું.

લખાણમાં કાવ્યો, લેખો, સંશોધનલેખો જેવાં સાહિત્યસ્વરૂપોને આવકારવામાં આવે છે.

આપનો ટૂંકો પરિચય, સરનામું તથા નાની સાઇઝનો ફોટો અને ઇમેઇલ આઇડી લેખની સાથે અવશ્ય મોકલશો.

વૈદ્ય શોભનની સ્મૃતિમાં ભજનસંધ્યા

ગઈ કાલે સાંજે અમદાવાદના આશ્રમરોડ પર આવેલા વલ્લભસદનના હૉલમાં, બરાબર સાતને ટકોરે ખ્યાતનામ ભજનિક શ્રી હેમંત ચૌહાણે શ્રી ગણેશને સ્મરીને આ ભજનસંધ્યાને સુરલહરીઓથી ગુંજતી કરી દીધી હતી.

જૂનાં ભજનોની સાથે સાથે શ્રી શોભનરચિત હૈયામાં ઊતરી જાય એવાં કેટલાંક ગીતો–ભજનો એમણે સંભળાવ્યાં. આખા દિવસના કાર્યક્રમો આટોપીને સીધા જ કાર્યક્રમમાં આવી ગયેલા હેમંતભાઈએ પોતાના પ્રિય કવિ–વૈદ્ય શોભનની સ્મૃતિમાં દિલ દઈને ભજનો લલકાર્યાં હતાં.

આ ઉપરાંત સુમધુર કંઠથી જાણીતા સંગીતકાર શ્રી વિષ્ણુ પનારાએ પણ કેટલીક રચનાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમમાં શ્રી શોભનના નાનાભાઈ, જાણીતા વૈદ્ય–લેખક શ્રી વત્સલ વસાણીનાં ધર્મપત્ની શ્રીમતી નીલાબહેન ઉપરાંત આયુ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સંગીતકારો અને હૉલને સાંકડો કરી મૂકતા મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓએ સંગીતના સૂર અને તાલેતાલે ભાવાંજલિ અર્પીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સભાનું સંચાલન ખ્યાતનામ કવિ અને ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી માધવ રામાનુજે કર્યું  હતું.

 

 

આયુટ્રસ્ટ–પ્રકાશનની બે ઇ–બુકો

આયુર્વેદ ચિકિત્સાના ૫૦ કેસોની સફળ સારવારની વિગતો માટે વાંચો :

(૧)

Ayurved_Chikitsa

(અનુભવનું અમૃત ભાગ ૮)

તથા

(૨)

અનુભવનું અમૃત ૯ ઇબુક final

(અનુભવનું અમૃત ભાગ ૯)

 

વધુ સંપર્કો માટે :

વૈદ્ય શ્રી એમ. એચ. બારોટ : drkumar_barot@yahoo.com

વૈદ્ય શ્રી નીતાબહેન ગોસ્વામી : drnitaben@sify.com

વૈદ્ય શ્રી રાજેશભાઈ ઠક્કર vdrajeshthakkar@gmail.com

vtv પર દર શુક્રવારે ૨–૦થી ૨–૩૦ જુઓ–જાણો આયુર્વેદ !!

‘आयु-Digest’ બ્લૉગના સંચાલકોમાંના એક શ્રી કુમારભાઈ બારોટ હવે વીટીવી પર ઍંકરરૂપે નીયમીત રીતે આયુર્વેદ અંગેના પ્રશ્નોની ચર્ચા ચલાવશે જેમાં ટેલીફોન દ્વારા કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. 

આવતી કાલે તા. ૧૩, ૦૪, ૨૦૧૨ના રોજ બપોરે બેથી અઢીના સમયે આ કાર્યક્રમ જોવાનો લાભ અચૂક લેશો…

પછીના શુક્રવારે ખાસઃ

રાજવૈદ્ય એમ. એચ. બારોટનું કૅન્સર પરનું  વિદ્વત્તાપૂર્ણ વક્તવ્ય આ જ ચૅનલ પર, આ જ સમયે રજૂ થશે……સૌને આ મહત્ત્વના વિષય પર લાભ લેવા જણાવવામાં આવે છે.

અને હવે, આ નવો સ્વાસ્થ્ય–બ્લૉગ : ‘दीर्घायु’ !!

શ્રી કુમાર બારોટનો નવો બ્લૉગ :

  ‘दीर्घायु’ 

(આયુર્વેદના મૂળ ગ્રંથોનું આકંઠ પાન કરનાર અને આયુર્વેદ યુનિવર્સિટીમાં ઉચ્ચ હોદ્દાઓ ધારણ કરનાર સિદ્ધ ચિકિત્સક શ્રી એમ. એચ. બારોટ સાહેબના જ્ઞાન અને અનુભવની રજૂઆત એટલે આ બ્લોગ)

http://rajvaidyamh.wordpress.com/

સવાલોના જવાબ માટે સંપર્કસૂત્ર >>>

drkumar_barot@yahoo.com