હજારો વરસ પૂર્વે માનવજીવનને રોગમુક્ત રાખવા માટે “રોગ આવે જ નહીં” એ માટેના ઉપાય સૂચવતી દિનચર્યા, ઋતુચર્યા અને જીવનચર્યા જેણે ચીંધીને માનવીને ‘સહજ શતાયુ’ થવાના માર્ગો બતાવ્યા હતા તે આયુર્વેદને આપણે ભૂલી રહ્યાં છીએ !
આપણી જીવનશૈલી, આપણા આહાર, આપણા વિહાર અને જાતજાતના અનારોગ્ય આપનારા રિવાજો–તહેવારોથી દોરવાઈને આજે આપણે સૌ જાણેઅજાણે શારીરિક–માનસિક ઉપરાંત સામાજિક રીતે કથળી રહ્યાં છીએ.
આવે સમયે, હજી પણ આપણો આયુર્વેદ આપણને નિરામય જીવનની ખાત્રી આપતો ઊભો છે. આજના આધુનિક યુગમાં એવી છાપ છે કે આયુર્વેદ હવે સમયની બહારનો થઈ ચૂક્યો છે. આયુર્વેદ પાસે સંશોધનવૃત્તિ નથી; સંશોધનનાં સાધનો નથી; સમય સાથે રહેવા માટે જરૂરી સગવડો નથી વગેરે વગેરે.
પરંતુ – ઉપરોક્ત છાપને થોડીઘણી માન્ય રાખીને પણ – જો આપણે થોડું ઊંડાણમાં જઈને તપાસીશું તો એ છાપને ભૂંસી નાખવા માટે પૂરતી તક છે. પંચમ વેદ તરીકે ઓળખાઈને સ્થાપિત થયેલી આ કોઈ સામાન્ય પથી માત્ર નથી. એ શાસ્ત્ર છે – સિદ્ધ થયેલું શાસ્ત્ર !
આ શાસ્ત્રને વ્યવહારુ બનાવવા માટે, આપણા સૌના જીવનમાં રોજબરોજની જીવનરીતિ બનાવવા માટે એને પ્રસારવાની જરૂર છે. પ્રસારવા માટે પ્રચારવાની જરૂર છે. કારણ કે આજનો જમાનો પ્રચારનો જમાનો છે. ચળકતું પિત્તળ પણ સોનું બનીને બજારમાં ઊભું છે ! આવે સમયે શુદ્ધ સુવર્ણની ઓળખ જનસમસ્તને કરાવવાનું હવે જરૂરી અને તાકીદનું બની ગયું છે.
આયુટ્રસ્ટ, એના સ્થાપકશ્રીની આયુર્વેદવિભાવનાને મૂર્તરૂપ આપવા તત્પર છે. આ માટે અનેક કાર્યક્રમોની વિચારણા ટ્રસ્ટની છેલ્લી સભામાં થઈ હતી. આના જ ભાગરૂપે ગુજરાતભરના આયુર્વેદચાહકો, વૈદ્યો, આયુર્વેદના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોને આયુપરિવારરૂપે જોવા ઇચ્છે છે. ભવિષ્યના કાર્યક્રમોની જાહેરાત હવે પછી સમયસમય પર આ સ્થાનેથી થતી રહે તેવી યોજના પણ વિચારાઈ હોઈ સૌ સહયાત્રીઓને વિનંતી કરવાની કે આપનું ઈમેઈલ એડ્રેસ, વોટસએપ નંબર, ફોન નંબર વગેરે સાથેના વોટસએપ પર જણાવીને આ મહાકાર્યને આપનો સહયોગ આપશો.
સંપર્ક માટે :
વોટસએપ ફોન નં. 9428802482 / ઇમેઇલ એડ્રેસ : jjugalkishor@gmail.com