આહ્વાન !
શ્રી નરહરિભાઈ અને શ્રી જુગલભાઈ બંનેએ પ્રસ્તાવનામાં લખ્યું છે તે પ્રમાણે “ઔષધિગાન’નો આ ગીતસંગ્રહ એક અકસ્માત ઘટના છે. ૮૦ વર્ષ પછીની ઉંમરે, અસ્વસ્થ અવસ્થામાં, એકસો જેટલાં કાવ્યો અને તે પણ આયુર્વેદના દ્રવ્ય ગુણ વિજ્ઞાન વિષયમાં તૈયાર કરવાં, (પોતાનો એ વિષય ન હોવા છતાં) તે વિચારણીય બાબત તો ખરી જ. નરહરિભાઈનો આ પુરુષાર્થ આયુર્વેદ પ્રેમી અને વનૌષધિ પ્રેમી માટે યાદગાર મૂડી બની રહેશે. પદ્યરચનાવાળાં આવાં પુસ્તકો ખપતાં ન હોવાથી તેને પ્રગટ કરવા સન્માર્ગે કેવળ સારી રકમ વાપરી નાખવાની બાબત બને. અને એ પ્રમાણે આયુ પ્રકાશને પણ આ સાહસ કર્યું ગણાય.
વૈદ્ય શ્રી બાપાલાલભાઈ શતાબ્દી વર્ષે વનૌષધિઓને લગતાં ઘણાં નવાં કાર્યો આયુ ટ્રસ્ટ દ્વારા થયાં તેમાં દિવ્યૌષધિ પ્રદર્શન, ઔષધિબાગ સહકાર, સચિત્ર દિવ્યૌષધિદર્શન સેટનું પ્રકાશન તેમજ વનૌષધિ પ્રેમીઓનું સન્માન વગેરેની સાથે આ ‘ઔષધિગાન’નું પ્રકાશન પણ મહત્ત્વનું પ્રદાન બનશે. આ વર્ષે આયુ ટ્રસ્ટે એકસો દિવ્યૌષધિને અનેક સ્વરૂપે આમ જનતા સુધી પહોંચાડવાનું નક્કી કરેલું તેમાં શ્રી અશોકભાઈ ડાભી દ્વારા જે એકસો દિવ્યૌષધિનું ‘ચિત્ર-પ્રદર્શન’ તૈયાર થયું તેમ શ્રી નરહરિભાઈ દ્વારા એ જ વનસ્પતિઓનું ‘ગીત-પ્રદર્શન’ પદ્યમાં તૈયાર થયું તે સુખદ સંજોગ છે. ઘણા ઓછા ગાળામાં શ્રી નરહરિભાઈએ આ સો જેટલાં ગીતો લખ્યાં તેને શ્રી નરહરિભાઈનું સન્માન કરતી વખતે તા. ૧૫-૯-‘૯૬ના રોજ પુસ્તકાકારે પ્રગટ કરવા તેવો નિર્ણય આયુ ટ્રસ્ટની મિટિંગમાં લેવાયો તેથી ખૂબ ઉતાવળે આ સંગ્રહને તૈયાર કરવો પડ્યો. તેથી સો ગીતને બદલે થોડાં ઓછાં પ્રગટ થઈ શક્યાં. (જોકે, નરહરિભાઈનો ગીતસર્જનનો ઉત્સાહ વધ્યો છે. રોજ રોજ નવાં ગીતો આજે પણ બને છે. તેમનો એક બીજો સંગ્રહ તૈયાર થાય તેવી આશા રાખીએ.)
આ બધાં ગીતોને કાવ્યત્વની દૃષ્ટિએ, વ્યાકરણ દૃષ્ટિએ તપાસવા-મઠારવા, ફેર કરવા, પ્રેસ કોપી બનાવી આપવા ગુજરાત યુનિવર્સિટી સંચાલિત શ્રમિક વિદ્યાપીઠના નિયામક અને લોકભારતીના સ્નાતક તેમજ ગુજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક શ્રી જુગલકિશોર જે. વ્યાસે ઓછા દિવસમાં ઘણી મહેનત કરીને પ્રતિસંસ્કાર કરી આપવાનું કાર્ય કર્યું છે તે આ સંગ્રહના સદનસીબ સમજું છું.
વર્ષો પહેલાં આ પ્રકારનું એક પુસ્તક ‘આયુર્વેદ ચમત્કાર દર્શન’ના નામે અમદાવાદના કોઈ મંદિરના કોઈ સાધુ દ્વારા રચાઈને પ્રગટ થયેલું જે આજ અપ્રાપ્ય છે, ત્યારે આ પુસ્તકને સૌ આવકાર્યા વિના નહીં રહે, આવાં ભાવપૂર્ણ ગીતો આયુર્વેદ જગતને–વનસ્પતિ જગતને આપીને શ્રી નરહરિભાઈએ આયુર્વેદ પર મોટો ઉપકાર કર્યો છે. કાવ્ય કેવાં છે ? તે કરતાં કાવ્યો કેવા ભાવથી લખાયાં છે તે બાબત મારે મન ઘણી મોટી છે.
અંતમાં, તેમના જ શબ્દો ટાંકીને કહેવું પૂરું કરીશ.
“જાગો ! ઊઠો ! ને ધ્યાન દ્યો ! જાણો નિજ સ્વરૂપ !
શિવ કરવાને જીવને, પ્રભુ થયા તરુરૂપ !’
અહીં “જાગો, ઊઠો, જંપ નહીં નિજ ધ્યેયને પામ્યા વિના એ “ઉત્તિષ્ઠત, જાગ્રત…’ સ્વામી વિવેકાનંદના ઉદ્ધોધનની યાદ દેવડાવે છે. ઋગ્વેદથી માંડીને વૈદ્ય શ્રી બાપાલાલભાઈના નિઘંટુ આદર્શ સુધી લખાયેલ અગણિત નિઘંટુઓ અને ચરકાદિ સંહિતાની આ પુરુષાર્થભૂમિ–તપોભૂમિ પર પ્રભુ સ્વરૂપ તરુઓના માહાત્મ્યનું પુનઃપ્રસ્થાપન થાય, આયુર્વેદની પુનઃ પ્રતિષ્ઠા થાય તેવા યુગના મંડાણ માટેનું આ આહ્વાન છે.
આયુ સેન્ટર – વૈદ્ય શોભન ૧-૯-’૯૬
સંદર્ભ : સ્વ. નરહરિ ભટ્ટ રચિત “ઔષધિગાન”માંથી સાભાર.
અગત્યની નોંધ : ઉપરોક્ત પ્રસ્તાવના જે પુસ્તકની છે તે “ઔષધિગાન ભાગ – ૧”માંનાં ગીતોને એક પછી એક અહીં દર રવિવારે મૂકવામાં આવશે. આ ગીતો સાચવી રાખવા જેવાં ઉપયોગી બની રહેશે તેવી આશા સાથે – સંપાદક.