અડદ શક્તિપ્રદ ખરા પણ… …

અડદ વિષે આટલું જાણો

સ્વ. શ્રી શોભન

        શિયાળામાં સહજ રીતે આપણો જઠરાગ્નિ વધુ પ્રદીપ્ત બને છે. ત્યારે અડદ સહેલાઈથી પચાવી શકાતા હોવાથી, ઉપરાંત તે ગરમ, બળવર્ધક, મૂત્રલ અને પિત્તકર હોવાથી અને ખાસ કરીને તો પૌષ્ટિક હોવાથી ખાવાની પ્રથા છે. શિયાળામાં અડદનો ઉપયોગ સવિશેષ રૂપે અડદિયાપાક દ્વારા કરવામાં આવે છે. શુદ્ધ ઘી અને સૂંઠ, ગંઠોડા, પીપર, જાયફળ જેવા પાચન અને સ્તંભન મસાલા ઉમેરીને તેને વધુ સુપાચ્ય બનાવવામાં આવે છે. અને સવારે એક નાનો અડદિયો લાડુ પાચનશક્તિ પ્રમાણે ખાવામાં આવે છે. જેને માફક આવે તેને બાર મહિનાની શક્તિ પ્રદાન કરવાનું કામ આ અડદિયો પાક કરે છે. ખેડૂતો, મજૂરો, ખૂબ ઠંડી પડતી હોય તેવા પ્રદેશના રહેવાસીઓ વગેરે માટે તો ખૂબ અનુકૂળ પૌષ્ટિક આહાર ગણી શકાય. કૌંચાપાકનું શિયાળામાં મહત્ત્વ સર્વવિદિત છે, જ્યારે આ અડદમાં પણ કૌંચાને મળતા વૃષ્ય અને શુક્રવર્ધક ગુણ હોવાથી ઘરગથ્થુ રૂપે અડદિયોપાક સહજપ્રાપ્ય અને સોંઘો પડે.

છતાં સાવધાન !

આવા સારા ગુણ છતાં મગ-તુવેરની જેમ આયુર્વેદે તેને રોજના ખોરાકમાં લેવા સામે ચેતવણી આપી છે. કઠોળમાં હીનગુણવાળા ગણાવી તેનો ક્યારેક જ ન છૂટકે ઉપયોગ કરવાનું કહ્યું છે. અને તે પણ વાયુના રોગોમાં લસણ, તલતેલ, હિંગ વગેરે મેળવીને.

વાયુ પ્રકૃતિમાં તે કદાચ હંમેશા હિતાવહ નીવડે ખરા. અડદ ભારે, ચીકણા, મધુર, જડ, દુર્જર વગેરે ગુણવાળા હોવાથી પિત્ત કરનારા છે. વળી તે નિદ્રાપદ હોવાથી, બુદ્ધિને મંદ કરનારા હોવાથી બુદ્ધિજીવીએ તેનો વધુ ઉપયોગ કરવા જેવો નથી. શુક્રવિરેચક અને વિષયેચ્છાને વધારનારા હોવાથી વિદ્યાર્થી, બ્રહ્મચારી, સાધુ, સન્યાસી, તપસ્વીઓ વગેરે માટે આહારમાં તેને વર્જ્ય ગણાવ્યા છે. ઊંઘણશી, મેદસ્વી, આળસુ, કામી લોકો તેમજ સ્વપ્નદોષ કે શુક્રસ્રાવના દરદીએ અડદ ન ખાવા. અજીર્ણ-મંદાગ્નિના દરદી અડદ ખાય તો આફરો ચડતો હોય છે. પિત્તલ હોવાથી તેના વધુ સેવનથી સ્વભાવમાં ગુસ્સો પણ આવતો હોય છે. દૂધ, ગોળ અને મૂળા સાથે અડદ વિરુદ્ધ હોવાથી તેવો વિરુદ્ધ આહાર લેનારને ચામડીના રોગો વગેરે ઘણા રોગો પેદા થાય છે.

 

Leave a comment